You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણા: વલ્લભગઢમાં વિદ્યાર્થિનીની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ
હરિયાણાના વલ્લભગઢમાં અગ્રવાલ કૉલેજની બહાર વિદ્યાર્થિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે ગુનામાં સામેલ બે યુવકોની ધરપકડ કરી છે.
ઘટનાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ માગ કરી રહ્યા છે કે આરોપીઓને કડક સજા આપવામાં આવે.
હત્યાની આ ઘટના સોમવારે બની હતી અને સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ મંગળવારે પોલીસે આ કેસમાં બે આરોપીઓ તૌસિફ અને મદદગાર રેહાનની ધરપકડ કરી છે.
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
બી. કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા નિકિતા તોમર પરીક્ષા આપવા માટે સોમવારે કૉલેજ ગયાં હતાં. સાંજે 4:30 વાગે પરીક્ષા પૂર્ણ કરીને તેઓ કૉલેજની બહાર આવ્યાં ત્યારે બે યુવાનોએ તેમનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો.
નિકિતાએ પ્રતિકાર કરતાં, એક યુવકે એકદમ નજીકથી ગોળી ચલાવી, જેના કારણે તેઓ જમીન પર ઢળી પડ્યાં.
નિકિતાને ગોળી મારી બંને યુવકો ત્યાંથી ભાગી ગયા. નિકિતાને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં, જ્યાં તેમનું મૃત્યું નીપજ્યું હતું.
ઘટનાસ્થળે શું બન્યું?
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં એક યુવક નિકિતાને કારની અંદર ખેંચી જવાનો પ્રયાસ કરે છે. નિકિતા પોતાના છોડાવી લે છે અને યુવક ગુસ્સે થઈને તેમને ગોળી મારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભોગ બનનારા પિતાએ મીડિયા સમક્ષ કહ્યું કે 2018માં પણ એ જ આરોપીએ નિકિતાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે વખતે પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. જોકે બાદમાં પરિવારે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
ઘટનાના કારણે નિકિતાના પરિવારજનો આઘાતમાં છે. નિકિતાની માતાએ માગ કરી છે કે આરોપીઓને સખત સજા કરવામાં આવે.
ઘટનાના કારણે લોકો પણ રોષમાં છે. મંગળવાર બપોરે મોટી સંખ્યામાં લોકો વલ્લભગઢ-સોહના રોડ પર વિરોધપ્રદર્શન કર્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો