મોદી સરકારનું જળશક્તિ મંત્રાલય રૂપાણી સરકારથી નારાજ કેમ? Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે નદીઓમાં પ્રદૂષણ રોકવાના પ્રોજેક્ટના કામમાં વિલંબને લઈને ગુજરાત સરકારના કામથી અસંતોષ વ્યક્ત કર્યો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે રાજ્યની સાબરમતી અને તાપી નદી માટે 'નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન' હેઠળ આ પ્રોજેક્ટ મંજૂર કરાયા હતા. આ પ્લાન અંતર્ગત ગંગા બૅઝિન સિવાયની નદીઓમાં પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર તરફથી ફંડ આપવામાં આવે છે.

ગુજરાતમાં આ યોજનામાં ફાળવાયેલા પ્રોજેક્ટમાં અસામાન્ય વિલંબ થઈ રહ્યો હોવાનું કેન્દ્રના મંત્રાલયે નોંધ્યું છે.

આ મામલે કેન્દ્રના જળશક્તિમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે 4 ઑગસ્ટે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.

પત્રમાં તેમણે જણાવ્યું કે 'સાબરમતી નદી પરના પ્રોજેક્ટ માટે વર્ષ 2014માં ફંડની ફાળવણી કરવાનાં છ વર્ષ બાદ પણ કાર્ય પૂર્ણ થયું નથી, જ્યારે તાપી નદી પરના પ્રોજેક્ટ માટે ફંડની ફાળવણીને 16 મહિના થઈ ગયા હોવા છતા જમીન ઉપર આજની તારીખે પણ કામમાં કોઈ પ્રગતિ આવી નથી.'

સાબરમતી નદીના પ્રોજેક્ટ માટે 2014મં 444 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી પણ વિલંબને કારણે તેમના મંત્રાલયને પ્રોજેક્ટ પૂરો કરવાની તારીખ બે વાર લંબાવી હવે માર્ચ 2021 સુધીની કરવી પડી છે, એમ પત્રમાં કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું છે.

તાપી નદીમાં પ્રદૂષણ રોકવાના પ્રોજેક્ટ માટે 971.25 કરોડ રૂપિયાના કુલ ફંડની ફાળવણીમાંથી 13 કરોડ રૂપિયાનો પહેલો હિસ્સો માર્ચ 2019માં ચૂકવાયો હતો.

કેન્દ્રીય મંત્રીએ મુખ્ય મંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે આવા અસામાન્ય વિલંબને કારણે યોજનાનો જે હેતુ છે તેના લાભથી રાજ્ય વંચિત રહી જાય છે.

ઇમરાન ખાનનું કાશ્મીર મુદ્દે નિવેદન

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે થયેલી સંધિને મામલે પોતાનો મત જાહેર કર્યો, જેમાં તેમણે કાશ્મીરનો પણ ઉલ્લેખ જોડી દીધો.

ઈમરાન ખાને 13 ઑગસ્ટે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે "કાયદ-એ-આઝમ મહમદ અલી ઝીણાએ 1948માં જ સ્પષ્ટ કરી દીધું હતું કે આપણે ઇઝરાયલને ત્યાં સુધી માન્યતા ન આપી શકીએ જ્યાં સુધી પેલેસ્ટાઇનવાસીઓને એમનો હક નથી મળી જતો."

ઇમરાન ખાને ઉમેર્યું કે "પેલેસ્ટાઇનવાસીઓ માટે પણ અલગ દેશ સાથેની ટુ નેશન થિયરી હતી અને જો ઇઝરાયલને માન્યતા આપી દઈએ તો, કાશ્મીરમાં પણ એ જ સ્થિતિ છે, તો આપણે એ મુદ્દો પણ છોડી દેવો જોઇએ, અને એટલા માટે પાકિસ્તાન ક્યારેય ઇઝરાયલને માન્યતા ન આપી શકે."

પાકિસ્તાનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા રહી ટીએસએ રાધવન કહે છે કે ઇમરાન ખાને જે કહ્યું એ તો તેઓ વારંવાર કહેતા આવ્યા જ છે એમાં કંઈ નવું નથી.

આ પહેલાં જનરલ પરવેઝ મુશર્રફના શાસન કાળમાં પણ પાકિસ્તાન તરફથી ઇઝરાયલ સાથે સંબંધ વધારવા મુદ્દે પહેલ થઈ હતી, જ્યારે 2005માં તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં પાકિસ્તાનના તે સમયના વિદેશમંત્રી ખુર્શિદ મહેમૂદ કસૂરી તે સમયના ઇઝરાયલના વિદેશમંત્રી સિલ્વન શેલોમને મળ્યા હતા.

જોકે પરવેઝ મુશર્રફે તે સમયે કહ્યું હતું કે સંપર્ક થયો છે સંબંધ નથી બંધાયા.

વિદ્યાર્થીઓ માટે કોવિડ સંબંધી ફરજીયાત ડ્યૂટી મામલે ચુકાદો સુરક્ષિત

મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ મહામારી સંબંધી ડ્યૂટી ફરજીયાત કરવા સામેની અરજી મામલે ચુકાદો ગુજરાત હાઈકોર્ટે હાલ સુરક્ષિત રાખ્યો છે.

'અમદાવાદ મીરર' અખબારના અહેવાલ પ્રમાણે NHL મ્યુનિસિપલ મેડિકલ કૉલેજો અને AMC-MET મેડિકલ કૉલેજોનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 146 વિદ્યાર્થીઓ તરફથી મેડિકલ વિદ્યાર્થીઓ માટે કોવિડ-19ની ડ્યૂટી ફરજિયાત કરવાના રાજ્ય સરકારના પગલા સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે મામલે ચુકાદો ગુજરાત હાઇકોર્ટે સુરક્ષિત રાખ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું છે કે વિદ્યાર્થીઓને વધુ અનુભવ મળે તે હેતુસર તેમને ડ્યૂટી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ આને માટે હજુ જરુરી લાયકાત નથી ધરાવતા અને તેમને આ ડ્યૂટીમાં સામેલ ન કરવા જોઈએ.

એએમસીની દલીલ હતી કે કોવિડ-19 મહામારીના સમયમાં લોકોના ટેસ્ટ કરવા માટે અને કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે તેને વધુ વર્કફોર્સની જરૂર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો