ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ ખૂલશે, ધોરણ 6થી 8ના વર્ગો 18 ફેબ્રુઆરીથી શરૂ કરાશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાત સરકારના શિક્ષણવિભાગ દ્વારા આગામી 18 ફેબ્રુઆરીથી ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ભૌતિક શાળાકીય શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે કે પાછલા અમુક દિવસો દરમિયાન રાજ્ય સરકારે કૉલેજો અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે શાળાકીય શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે ફરીથી શરૂ થયેલી સ્કૂલો અને કૉલેજોના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધવા લાગી છે. ત્યારે શિક્ષણવિભાગ દ્વારા ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે પણ શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે, રાજ્યના શિક્ષણસચિવ વિનોદ રાવે કહ્યું કે, આગામી દિવસોમાં છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ભૌતિક શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે. તેમજ આ શાળામાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓ પાસેથી સંમતિપત્ર મેળવવાનો રહેશે.

નોંધનીય છે કે કોરોનાની મહામારીના કારણે અટકી પડેલા ભૌતિક શિક્ષણકાર્યનું ચક્ર તાજેતરમાં જ શરૂ થયું છે. અને સરકાર દ્વારા તબક્કાવાર આ વ્યવસ્થાનો વ્યાપ વધારાઈ રહ્યો છે.

આગામી દિવસોમાં ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ભૌતિક શિક્ષણકાર્ય શરૂ કરવા બાબતે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને શાળાઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આ બાબત જારી કરવામાં આવેલ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે.

એક તરફ ભૌતિક શિક્ષણકાર્ય પૂર્વવત્ બનાવવાની દિશામાં આગેકૂચ કરવાની સાથે શાળાઓને ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પણ યથાવત્ જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે.

ભૌતિક શિક્ષણકાર્યની કામગીરીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત શાળાના તમામ સ્ટાફને જરૂરી તમામ સુરક્ષાનાં પગલાં અને સૂચનો અનુસરવાની તાકીદ કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો