કોરોના અને રામમંદિર મામલે શરદ પવારના ભાજપ પર પ્રહાર - TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે રામમંદિર, કોરોનાનું સંક્રમણ અને અર્થતંત્રના મુદ્દે નામ લીધા વગર જ ભાજપ પર નિશાન તાક્યું.
તેમણે રવિવારે સોલાપુરમાં પત્રકારોને કહ્યું, "કેટલાક લોકોને લાગે છે કે રામમંદિર બનાવવાથી કોરોના ખતમ થઈ જશે. આપણે આપણી પ્રાથમિકતા નક્કી કરવી પડશે. એ નક્કી કરવું પડશે કે મહત્ત્વનું શું છે?"
તેમણે એવું પણ કહ્યું કે સરકારે દેશની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.
નોંધનીય છે કે તેમના આ નિવેદનના એક દિવસ પહેલાં જ શનિવારે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ અંગે 'રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ'ની બીજી બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ ટ્રસ્ટના સભ્યો અને ભાજપના નેતા કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે મંદિરનો પાયો નાખવા માટે ત્રીજી કે પાંચમી ઑગસ્ટની તારીખનો પ્રસ્તાવ રખાયો છે.
ટ્રસ્ટે એવું પણ કહ્યું કે ભૂમિપૂજનની તારીખનો નિર્ણય વડા પ્રધાનકાર્યાલય કરશે.

અયોધ્યામાં રામમંદિરનું ઑગસ્ટમાં ખાતમુહૂર્ત, મોદીને આમંત્રણ

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યામાં રામમંદિરના ખાતમુહૂર્ત માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સત્તાવાર રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'NDTV'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે શનિવારે ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે પાંચમી ઑગસ્ટે મંદિરના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરાશે.
રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હતી.
અખબાર કહે છે કે ભૂમિપૂજનની તારીખને લઈને મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં ત્રીજી અને પાંચમી ઑગસ્ટ એમ બે તારીખો અંગે વાત થઈ હતી.
આ બેઠકમાં વડા પ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ અને મંદિરનિર્માણની સમિતિના ચૅરમૅન નૃપેન્દ્ર મિશ્રા પણ સામેલ થયા હતા.
ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના હવાલાથી અખબાર લખે છે કે ભૂમિપૂજનની તારીખ અંગે વડા પ્રધાનનું કાર્યાલય નિર્ણય લેશે.

આસામમાં પૂરને કારણે લાખો લોકો પ્રભાવિત

ઇમેજ સ્રોત, EPA/STR
આસામમાં ભારે પૂરને કારણે 79 લોકોએ જીવ ગુમાવ્યા છે, એવું શનિવારે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજનમેન્ટ ઑથોરિટી(ASDMA)એ માહિતી આપતા કહ્યું.
'હિન્દુસ્તાન ટાઇમ્સ' અખબારના અહેવાલ પ્રમાણે ASDMAએ જાહેર કરેલા પૂરના અહેવાલ પ્રમાણે બ્રહ્મપુત્રા નદી રાજ્યમાં અનેક જગ્યાઓએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી.
અત્યાર સુધી રાજ્યના 26 જિલ્લાઓ પૂરને કારણે પ્રભીવિત થયા છે અને 2,678 ગામોમાં પૂરના પાણીએ વિનાશક સ્થિતિ સર્જી છે.
સાથે જ રાજ્ય સરકારે શનિવારે એમ પણ જણાવ્યું કે પૂરને કારણે ગોલાઘાટ જિલ્લાના કાઝીરંગા નેશનલ પાર્કમાં 96 પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યાં છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















