GSEB SSC RESULT : ધોરણ 10નું 60.64 ટકા પરિણામ, સુરત ટૉપ પર

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા આજે દસમા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

મંગળવારે સવારે આઠ વાગ્યાથી જાહેર કરાયેલું આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી જોઈ શકાય છે. ધોરણ દસનું પરિણામ 60.64 ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 6.33 ટકા ઓછું છે.

વળી, આ વર્ષે 90 ટકા કરતાં વધારે માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે કુલ 16,71 વિદ્યાર્થીઓને 90 ટકા માર્ક મળ્યા છે.

સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. સુરત જિલ્લામાં 74.66 ટકા પરિણામ જાહેર થયું છે.તેમજ દાહોદ જિલ્લાનું સૌથી વધુ ઓછું 47.47 ટકા પરિણામ જાહેર થયું છે.

આ વખતે પરીક્ષામાં કુલ 804268 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 792942 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 480845 પરીક્ષાર્થીઓ પ્રમાણપાત્ર બનતા નિયમિત ઉમેદવારોનું પરિણામ 60.64 ટકા જાહેર થયું હતું.

રાજ્યનાં 931 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાનું સપ્રેડા કેન્દ્ર 94.78 ટકા મેળવીને મોખરે રહ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાનું રૂવાબારી કેન્દ્ર14.09 ટકા સાથે સૌથી છેલ્લું રહ્યું હતું.

બોર્ડે હાલ સુધી માર્કશીટવિતરણની તારીખ જાહેર કરી નથી.

બોર્ડે કહ્યું છે કે ધોરણ-10 અને સંસ્કૃતિ પ્રથમાના માર્ચ-2020ના ઉમેદવારોની માર્કશીટવિતરણની તારીખ હવે પછી જાહેર કરાશે.

આ ઉપરાંત માર્કની ચકાસણી અને દફતરચકાસણી વગેરે બાબતોની સૂચના પણ પાછળથી જાહેર કરવામાં આવશે.

5 માર્ચથી 21 માર્ચ સુધી ચાલેલી ધોરણ-10ની પરીક્ષામાં 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું કુલ પરિણામ 66.97 ટકા આવ્યું હતું. ગત વર્ષે 8 લાખ 23 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

રાજ્યના સુરત જિલ્લાનું પરિણામ સૌથી ઉંચું 79.63 ટકા આવ્યું હતું જ્યારે છોટા ઉદ્દેપુર જિલ્લાનું પરિણામ 46.38 ટકા આવ્યું હતું.

કોરોના વાઇરસ પછી ભારતમાં કેવું હશે શિક્ષણ?

ભારતમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું, જેનાં કારણે વેપારી તથા વ્યવસાયિક ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ કરી દેવામાં આવી, જેનાં કારણે પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુધી લગભગ 33 કરોડ વિદ્યાર્થીઓએ ઘરે બેસવું પડ્યું.

ભારત સહિત વિશ્વભરમાં 70 ટકા વિદ્યાર્થીઓ ઉપર મહામારી અને લૉકડાઉનની નકારાત્મક અસર પડી છે. ધીમે-ધીમે લૉકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઑગસ્ટ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે.

માનવસંસાધન મંત્રાલય, કેન્દ્રીય ગૃહમંત્રાલય તથા આરોગ્ય મંત્રાલય મળીને આ અંગેની ગાઇડલાઇન્સ તૈયાર કરી રહ્યાં છે.

નવા શૈક્ષણિક પરિવેશમાં સ્કૂલો ખુલશે ત્યારે ભણવાની અને ભણાવવાની પદ્ધતિ જડમૂળથી બદલાઈ જશે. ભણવાની સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

બીબીસીએ કેન્દ્રીય માનવસંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંક સાથે ભારતમાં બદલાતા શિક્ષણ અંગે વાત કરી હતી.

કેન્દ્રીય માનવસંસાધન વિકાસપ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે દાવો કર્યો હતો કે જ્યારે બાળકો શાળાએ જઈ શકે તેમ ન હતાં, ત્યારે ઑનલાઇન ક્લાસરૂમના માધ્યમથી શાળા બાળકોનાં ઘરે પહોંચી હતી.

'શું ઈ-લર્નિંગ એ ક્લાસરૂમનો વિકલ્પ છે?' તેવા સવાલના જવાબમાં પોખરિયાલે કહ્યું કે હાલ તો તેના સિવાય કોઈ વિકલ્પ નથી. બાળકોનો અભ્યાસ સદંતર અટકી જાય, તેને બદલે તેમને ઘેરબેઠાં અભ્યાસ કરવાની તક મળી રહી છે.

તેમણે કહ્યું, "શિક્ષણ મંત્રાલયે બાળકોને ઘરેબેઠાં ઑનલાઇન શિક્ષણ મળે તે માટે પ્રયાસ કર્યાં છે. અમે બાળકોને નિરાશ તથા વાલીઓને હેરાન નથી થવા દીધાં. શિક્ષકો તથા વાલીઓ મળીને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે પ્રયાસરત છે."

ડૉ. પોખરિયાલના કહેવા પ્રમાણે, સ્કૂલસ્તરના શિક્ષણ માટે દેશમાં 'દીક્ષા' અને 'ઈ-પાઠશાલા' જેવા ઑનલાઇન શૈક્ષણિક પ્લૅટફૉર્મ છે, પરંતુ જો કોઈ બાળક પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો 'સ્વયંપ્રભા'ની 32 ચેનલો મારફ તેમના સુધી શિક્ષણ પહોંચાડવામાં આવી રહ્યું છે અને જરૂર પડ્યે આગામી સમયમાં રેડિયોનો પણ ઉપયોગ કરાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો