જ્યારે ચીનને જ્યૉર્જ ફર્નાન્ડીઝે ગણાવ્યું દુશ્મન નંબર -1

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

જ્યૉર્જ ફર્નાન્ડીઝ હંમેશાં સ્પષ્ટ અને ખરું બોલવાની ટેવવાળી વ્યક્તિ હતી. તેઓ અવારનવાર વિવાદોમાં ફસાઈ જતી હતી.

તેમને ગમે તે પ્રશ્ન પૂછી શકાતો. તેઓ ક્યારેય 'ઑફ ધ રૅકર્ડ' બોલવાનું પસંદ નહોતા કરતા.

આવા જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમણે કહ્યું કે, 'ચીન આપણો પ્રતિસ્પર્ધી નહીં, પરંતુ દુશ્મન નંબર 1 છે', ત્યારે સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ હતી.

થયું કંઈક એવું કે વર્ષ 1998માં હોમ ટીવીના 'ફોકસ વિધ કરન' કાર્યક્રમમાં કરણ થાપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે કહ્યું કે:

"આપણા દેશના લોકો વાસ્તવિકતાનો સામનો કરવાથી ખચકાય છે અને ચીનના ઇરાદાઓ પર પ્રશ્ન નથી ઉઠાવતા."

"જેવી રીતે ચીન પાકિસ્તાનને મિસાઇલો અને મ્યાનમારના સૈનિકશાસનને સૈનિકસહાયતા પૂરી પાડી રહ્યું છે અને જે રીતે તે ભારતને જમીન અને સમુદ્રમાર્ગે ઘેરવાના પ્રયત્નો કરી રહ્યું છે, આ બધા પરથી તો એવું જ લાગે છે કે તે આપણો ભાવી દુશ્મન નંબર 1 છે."

તેમના આ વક્તવ્યે ભારતની વિદેશનીતિના ઘડવૈયાની સાથોસાથ ચીનની સરકારમાં સર્વોચ્ચ સ્થાને બેઠેલા નેતાઓ અને અધિકારીઓને પણ એક પ્રકારે હચમચાવી મૂક્યા હતા.

ચીની થળસેનાધ્યક્ષના પરત ફરવાનો કર્યો ઇંતેજાર

રસપ્રદ વાત તો એ છે કે જ્યારે ફર્નાન્ડીઝ ચીન માટે આટલા કઠોર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, એ દરમિયાન જ ચીનના થળસેનાધ્યક્ષ જનરલ ફૂ ક્વાન યૂ ભારતની યાત્રાએ આવેલા હતા.

ફર્નાન્ડીઝે એ ઇન્ટરવ્યૂના પ્રોડ્યૂસરને ફોન કરીને કહ્યું હતું કે તેઓ ચીની જનરલ જ્યાં સુધી ભારતમાં છે ત્યાં સુધી તેનું પ્રસારણ ન કરે, કારણ કે વડા પ્રધાન વાજપેયી ચીન સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં નથી પડવા માગતા.

ફર્નાન્ડીઝની વિનંતી પર એ ઇન્ટરવ્યૂ બે અઠવાડિયાં બાદ પ્રસારિત કરાયું. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે ફર્નાન્ડીઝે તેમણે કોઈ ભૂલથી આ વાત નહોતી કરી, કારણ કે થોડાક દિવસ બાદ કૃષ્ણ મેનન મેમોરિયલ લેક્ચરમાં તેમણે આ જ વાત ફરીથી કરી હતી.

પૉર્ટ બ્લૅરની યાત્રાથી પાછા ફરતી વખતે જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે શું ભારત ચીનની સરહદેથી પોતાના સૈનિક હઠાવવાની યોજના બનાવી રહ્યું છે તો ફર્નાન્ડીઝે કહ્યું 'બિલકુલ નહીં'.

ચીન વિરુદ્ધ આ પહેલાં પણ બોલતા હતા

આ પ્રથમ બનાવ નહોતો જ્યારે જ્યૉર્જે ચીન વિરુદ્ધ ટિપ્પણી કરી હોય.

એ સમયે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં સ્કૂલ ઑફ ઇંટરનેશનલ સ્ટડીઝના ડીન અને જાણીતા ચીનના મામલાઓના વિશેષજ્ઞ પ્રોફેસર જી. પી. દેશપાંડે એક રસપ્રદ કિસ્સો સંભળાવતા.

વીપી સિંહની સરકારમાં રેલવેમંત્રી બન્યા બાદ જ્યૉર્જે પોતાનું પ્રથમ વક્તવ્ય તિબ્બતની સ્વતંત્રતા વિશે આપ્યું હતું.

'જ્યારે હું ચીનમાં ગયો ત્યારે મારાથી આ વિશે દરેક સ્થળે પ્રશ્નો કરવામાં આવાતા. હું તેમને એટલું જ કહેતો કે જ્યૉર્જ ભારતના રેલવેમંત્રી છે, વડા પ્રધાન કે વિદેશમંત્રી નહીં. હું એ વાતની સ્પષ્ટતા કરી કરીને થાકી ગયો હતો કે ભારતની તિબ્બત વિશેની નીતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યો.'

પરંતુ ત્યારની અને અત્યારની પરિસ્થિતિમાં ફેર એટલો હતો કે હવે જ્યૉર્જ ભારતના સંરક્ષણમંત્રી હતા અને તેમના આ નિવેદને વડા પ્રધાન કાર્યાલય અને વિદેશમંત્રાલયની મુસીબત વધારી દીધી હતી.

ચીન અને ભારતમાં સખત વિરોધ

ફર્નાન્ડીઝના આ નિવેદનના એક દિવસ બાદ જ્યારે વૉઇસ ઑફ અમેરિકાના સંવાદદાતાએ ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા ઝૂ બાંગ ઝાઓને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, 'ફર્નાન્ડીઝનું આ નિવેદન એટલું હાસ્યાસ્પદ છે કે અમને તેનું ખંડન કરવાની પણ કોઈ જરૂર લાગતી નથી.'

તેમણે એટલું જરૂર કહ્યું કે, 'ફર્નાન્ડીઝ બે પાડોશીઓ વચ્ચે સુધરી રહેલા સંબંધોને ગંભીર નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.'

ભારતમાં પણ ફર્નાન્ડીઝના આ નિવેદનનો વિરોધ થયો હતો.

માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચૂરીએ જ્યૉર્જ પર ભારત અને ચીન વચ્ચેના સુધરી રહેલા સંબંધોમાં અવરોધ પેદા કરવાનો આરોપ લગાવ્યો.

પૂર્વ વડા પ્રધાન ઇંદર કુમાર ગુજરાલે પણ આ વાતને 'ઍડવેન્ચરિઝ્મ'ની સંજ્ઞા આપી અને કહ્યું કે આ બધું વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા વિદેશનીતિને યોગ્ય મહત્ત્વ ન આપવાનું પરિણામ છે.

તેમણે ફર્નાન્ડીઝની સાથોસાથ વાજપેયી પર પણ હુમલો કરતાં કહ્યું કે તેઓ ફર્નાન્ડીઝને વિદેશનીતિમાં દખલ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

ગુજરાલની આ ટીકાની અસર એ થઈ કે વડા પ્રધાન કાર્યાલયે આ બાબત અંગે સ્પષ્ટતા કરવી પડી કે, 'સંરક્ષણમંત્રીના વિચારો ભારત સરકારના વિચારોનું પ્રતિબિંબ નથી અને ભારતની ચીન અંગેની નીતિમાં કોઈ પણ પ્રકારનો આમૂલ પરિવર્તન નથી થયો.'

વડા પ્રધાન કાર્યાલયે જાળવ્યું અંતર

વિદેશમંત્રાલયે પણ સ્પષ્ટતા કરીને વડા પ્રધાન વાજપેયીને ફર્નાન્ડીઝના આ નિવેદનથી અલગ બતાવવાના પૂરતા પ્રયત્નો કર્યા. તેમની તરફથી એ કહેવાયું કે જનતા પાર્ટીની સરકારમાં વિદેશમંત્રી તરીકે વાજપેયીએ ચીન સાથેના સંબંધો સામાન્ય કરવા માટે વ્યક્તિગત રસ દાખવ્યો હતો.

પીએમઓના એક અધિકારીએ તો એ પણ કહી દીધું કે ફર્નાન્ડીઝનું આ નિવેદન અનુચિત અને બિનજરૂરી છે. આવી પ્રતિક્રિયાથી કેટલાક એવું અનુમાન પણ કરવા લાગ્યા કે ક્યાંક વાજપેયી અન્ય કોઈ સંરક્ષણમંત્રીની શોધમાં તો નથી લાગી ગયા?

તેમજ કેટલાક તો એવું પણ અનુમાન કરવા લાગ્યા કે ક્યાંક ભારતની વિદેશનીતિના અસલી ઘડવૈયાઓ ફર્નાન્ડીઝની આડમાં ચીનને વાસ્તવિકતાનાં દર્શન તો નથી કરાવી રહ્યા ને?

પરંતુ વાજપેયીએ વ્યક્તિગત સ્તરે ફર્નાન્ડીઝના આ નિવેદનનો કોઈ સમર્થન કે વિરોધ કરવા માટે આગળ ન આવ્યા.

પૂર્વ વિદેશસચિવ એ. પી. વેંકટેશ્વરને જણાવ્યું કે, 'જો વાજપેયી આવું કરતા તો તેઓ ચીનના હાથનું રમકડું લાગતા અને જો ચીનને આ વાતની ખબર પડી જાય કે તમે તેને ખુશ કરવા માટે નમી રહ્યા છો, તો તેઓ નિશ્ચિતપણે તેનો લાભ ઉઠાવતા.'

ડ્રૅગનને જાગૃત કરવા સાથે સરખામણી

પરંતુ ફર્નાન્ડીઝના આ કાર્ય પાછળ એક પૃષ્ઠભૂમિ છે. તેઓ હંમેશાંથી પોતાના કૉમ્યુનિસ્ટવિરોધી વિચારો માટે જાણીતા હતા અને તિબ્બત અને મ્યાંમારના લોકશાહીસમર્થકઆંદોલનોનો તેમણે ભરપૂર સાથ આપ્યો.

વિદેશમંત્રાલયના વધુ એક અધિકારીએ આ મુદ્દે રક્ષામંત્રી અને વડા પ્રધાન કાર્યાલય અને વિદેશમંત્રાલય વચ્ચે ચાલી રહેલી તકરાર પર એક રસપ્રદ ટિપ્પણી કરી કે, 'પહેલાં તો તમે સૂતેલા ડ્રેગનને જાગૃત કર્યો. જ્યારે તે જાગી ગયો ત્યારે તેને લાલ કપડું બતાવ્યું અને હવે જ્યારે ડ્રેગન આગ ઓકવા લાગ્યું છે તો તમે તેનાથી બચવા માટે આમતેમ ભાગવા લાગ્યા.'

ચીન તરફથી પણ આ મામલે એ રસપ્રદ ટિપ્પણી એ સમયે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇનીઝ સ્ટડીઝના સહ-પ્રમુખ પ્રોફેસર ટૅન ચુંગ તરફથી આવી.

તેમણે કહ્યું, 'ચીનીઓની યાદશક્તિ બહુ સારી છે. ભારતના લોકો બેદરકારીથી બોલે છે, ચીની નહીં.'

આ આખા પ્રકરણથી સૌથી વધારી રાજી પાકિસ્તાન થયું, કારણ કે પહેલી વાર તેને લાગ્યું કે ભારતની સરકાર પાકિસ્તાનની સરખામણીએ ચીનને વધારે મહત્ત્વ આપી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો