ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્ર વિધાન પરિષદની યાદીમાં એકનાથ ખડસે, પંકજા મુંડે બાકાત થતાં ડખો

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના મહામારીના સૌથી વધારે કેસો અત્યારે મહારાષ્ટ્રમાં છે ત્યારે આગામી 21 મેના રોજ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ નવ સીટ માટે ચૂંટણી યોજાવાની છે.

આ માટે ભાજપે વિધાન પરિષદની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે અને તેને લઈને અસંતોષ પણ બહાર આવ્યો છે.

ભાજપની આ યાદીમાં ગોપીચંદ પાડલકર, રણજિત સિંહ મોહિતે-પાટિલ, પ્રવીણ દટકે અને ડૉ. અજિત ગોપચંડેને તક આપવામાં આવી છે.

જોકે પાર્ટીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસે, પંકજા મુંડે, વિનોદ તાવડે અને ચંદ્રશેખર બાવનકુલે આ વખતે વિધાન પરિષદમાં નહીં જઈ શકે.

યાદીમા નામ ન હોવાને લઈને એકનાથ ખડસેએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

બીબીસી મરાઠા સાથે વાત કરતાં ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે તેઓ આવતી કાલે આ મામલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે.

નિયમ મુજબ 27 મે સુધી ઉદ્ધવ ઠાકરે જો ધારાસભ્ય ઘોષિત ન થાય તો તેમણે રાજીનામું આપવું પડે.

રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે હવે સરળતાથી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાઈ આવશે અને વિધાનમંડળના સભ્ય હોવાની બંધારણીય અનિર્વાયતા પૂરી કરશે.

અગાઉ શિવસેના-એનસીપી-કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલને ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદમાં ચૂંટાયેલા જાહેર કરવાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેમની સરકારને અસ્થિર કરવાની કોશિશ થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી.

આ વાતચીતના બીજા દિવસે રાજ્યપાલે ચૂંટણીપંચને ચૂંટણી માટે અનુરોધ કર્યો છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ બી.એસ. કોશિયારીએ અગાઉ ચૂંટણીપંચને કહ્યું કે તેઓ રાજ્યની નવ વિધાન પરિષદની સીટો પર ચૂંટણી કરાવે.

રાજ્યપાલે ચૂંટણીપંચને પત્ર લખીને અનુરોધ કર્યો હતો કે તેઓ રાજ્યમાં પ્રવર્તમાન અનિશ્ચિતતાને સમાપ્ત કરવા માટે વિધાન પરિષદની નવી સીટ પર ચૂંટણી કરાવે, જે સીટો 24 એપ્રિલથી ખાલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો