You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં કોરોના વાઇરસના શંકાસ્પદ દરદીએ હૉસ્પિટલમાંથી કૂદીને આત્મહત્યા કરી - Top News
ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર દિલ્હીમાં કોરોનાના એક શંકાસ્પદ દરદીએ સફદરજંગ હૉસ્પિટલના સાતમા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી છે.
ઑસ્ટ્રેલિયાથી પર આવેલી આ વ્યક્તિશંકાસ્પદ લાગતા ઍરપૉર્ટ ઑથોરિટીએ તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. હૉસ્પિટલે તેમનો નમૂનો તપાસ માટે મોકલ્યા હતા અને રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી.
દિલ્હી પોલીસના દક્ષિણ-પશ્વિમ વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર દેવેન્દર આર્યાએ જણાવ્યું કે, કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીએ સફદરજંગ હૉસ્પિટલમાંથી કૂદકો મારીને આપઘાત કર્યો છે. વ્યક્તિનું નામ તનવીર સિંઘ હતું. ઑસ્ટ્રેલિયાના સિડનીથી પરત ફર્યા પછી તેમને રાત્રે 9 વાગે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
કૉંગ્રેસને મત આપવાનો કોઈ ઇરાદો નથી : ગોધરાના ભાજપના ધારાસભ્ય
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ વિધાનસભામાં કહ્યું કે તેઓ ભાજપમાં જ રહેશે તેઓ કૉંગ્રેસમાં જોડાવાના નથી અને આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યને મત આપવાના નથી.
રાઉલજીએ વિધાનસભામાં અધ્યક્ષને સંબોધીને કહ્યું, "મેં પહેલાં પણ મુખ્ય મંત્રી(વિજય રૂપાણી), જીતુ વાઘાણી (પ્રદેશ પ્રમુખ) અને મારા મતવિસ્તારના 25000 લોકોને મેં કહ્યું છે કે હું આ છેલ્લો કૂદકો મારી રહ્યો છું અને હું સ્મશાન જઈશ ત્યાં સુધી ભાજપમાં રહીશ. હું કોઈ બીજા પક્ષમાં જઈ રહ્યો નથી અને હું લોકોને વિનંતી કરું છું મને રાજ્યસભાની ચૂંટણી માર્ચ 26 સુધી હેરાન ન કરશો."
શરૂઆતમાં તેમણે કહ્યું હતું, "હું તમારી પાસેથી રક્ષણ માગુ છું. હું જ્યારે વિધાનસભાના પરિસરમાં પહોંચ્યો, ત્યારે મીડિયાના લોકો મને ફોર્સ(કૉંગ્રેસમાં જશે કે ભાજપમાં તે અંગે) કરી રહ્યા હતા. તેઓ મારા ઘરે પણ બાઇટ માટે આવ્યા, મેં બાઇટ આપવાની ના પાડી. મેં તેમને કહ્યું હતું કે હું મારી વાત વિધાનસભામાં કહીશ."
તેમણે કૉંગ્રેસે 'મંદ પડેલું યુનિટ' ગણાવી કહ્યું, "કોઈપણ વ્યક્તિ મંદ યુનિટમાં જોડાવાનું પસંદ કરતી નથી. હું ફરીથી કહી રહ્યો છું કે હું કૉંગ્રેસમાં જોડાવાનો નથી કે હું કૉંગ્રેસને વોટ કરવાનો નથી."
ઉલ્લેખનીય છે કે રાઉલજીએ જનતા દળમાંથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 1990માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 1991માં તેઓ ભાજપમાં જોડાયા હતા. તે શંકરસિંહના વિશ્વાસપાત્ર હતા. 1995માં તેઓ ભાજપમાંથી છુટા પડીને શંકરસિંહની રાષ્ટ્રિય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2007 અને 2012ની ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2017ની ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાયા અને વિજેતા બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિર્ભયા કેસમાં એક દોષીના પત્નીની છૂટાછેડાની અરજી
બહુચર્ચિત નિર્ભયા ગૅંગ રેપ અને મર્ડર કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. ફાંસીની સજા પામેલા દોષીઓ પૈકી એક અક્ષય સિંહ ઠાકુરનાં પત્નીએ ઔરંગાબાદની અદાલતમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે.
નિર્ભયા કેસમાં અનેક કાયદાકીય આંટીઘૂંટીઓ પછી દોષીઓ અક્ષય સિંહ, મુકેશ સિંહ, પવન ગુપ્તા અને વિનય શર્મા સામે ફરીથી 20 માર્ચનું ડૅથ વૉરંટ જાહેર થયેલું છે.
ઔરંગાબાદાની અદાલતમાં દાખલ કરવામાં આવેલી અક્ષય સિંહ ઠાકુરનાં પત્નીએ કહ્યું કે તેઓ બાકીનું જીવન વિધવા તરીકે જીવવા નથી માગતા અને તેથી છૂટાછેડા ઇચ્છે છે.
12 માર્ચે દાખલ કરાયેલી અરજી પર આજે સુનાવણી થશે. અક્ષય સિંહ ઠાકુરના લગ્ન નિર્ભયાકાંડના બે વર્ષ અગાઉ 2010માં થયા હતા. તેમને એક 9 વર્ષનો પુત્ર છે.
રાજ્યસભા ચૂંટણી : 37 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર 55 સીટ પર યોજાનારી રાજ્ય સભાની ચૂંટણીમાં 37 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. બાકીની 18 સીટ માટે 26મી માર્ચે ચૂંટણી યોજાશે.
બિનહરીફ ચૂંટાવવામાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે, રાજ્ય સભા ડેપ્યુટી ચૅરમૅન હરિવંશ નારાયણ સિંઘનો સમાવેશ થાય છે.
કૉંગ્રેસમાંથી શિવસેનામાં જોડાયેલાં પ્રિયંકા ચતુર્વેદી પણ બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત કૉંગ્રેસમાંથી વરિષ્ઠ વકીલ કે.ટી.એસ તુલસી અને દીપેન્દરસિંઘ હુડ્ડા પણ ચૂંટાયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચાર સીટ પર પાંચ ઉમેદવાર હોવાના કારણે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર અને કૉંગ્રેસે બે ઉમેદવાર ઊભા રાખ્યા છે.
ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમિલાબહેન બારા અને નરહરિ અમીન ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કૉંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડી રહ્યા છે. કૉંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજીનામાં આપ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે રાષ્ટ્રજોગ સંબોધન
સમાચાર સંસ્થા એએનઆઇના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ રાષ્ટ્રજોગ સંબોધનમાં તેઓ કોરોના વાઇરસ એટલે કોવિડ-19 અને તેની સામે લડવા માટે થઈ રહેલી તૈયારીને લઈને વાત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 151 છે. જ્યારે હાલ સુધી 3 લોકોના મૃત્યુ થયા છે. આ 151 લોકમાં 25 લોકો વિદેશી નાગરિકો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો