'દેશ કે ગદ્દારો કો, ગોળી મારો...' જેવા નારા ભાજપને કેટલા કામ લાગ્યા?

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

"દેશ કે ગદ્દારો કો "ગોલી મારો સા*** કો."

"આતંકવાદીઓને બિરયાની પિરસવાની જગ્યાએ બુલેટ (બંદૂકની ગોળી) ખવડાવવી જોઈએ."

"શાહીનબાગના લોકો ઘરમાં ઘૂસીને તમારી વહુઓ-દીકરીઓ પર બળાત્કાર કરશે."

"અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે."

આ સામાન્ય વાક્યો નથી પરંતુ દિલ્હીની ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે કરાયેલાં અનેક પ્રયત્નોનાં ઉદાહરણ હતાં.

આમ તો દેશમાં સ્મશાન-કબ્રસ્તાન જેવો ચૂંટણીપ્રચાર યુપીમાં જોઈ ચૂક્યા છે, પરંતુ દિલ્હી ચૂંટણીમાં ધ્રુવીકરણના પ્રયત્નો કરવા માટે યાદગાર ચૂંટણીમાંથી એક ચૂંટણી માનવામાં આવશે.

ભડકાઉ ભાષણો એવાં રહ્યાં કે પાર્ટીના સ્ટાર પ્રચારકોને ચૂંટણીપંચે કૅમ્પેન કરવાથી રોકી દીધા.

શું દિલ્હી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પાસે બીજા મુદ્દા ન હતા?

આ કહેવું પણ ખોટું છે. વડા પ્રધાન મોદીએ દેશના વિકાસની વાતો દોહરાવી અને કેજરીવાલ સરકારને "કેન્દ્ર સરકારની સારી સ્કીમને લાગુ કરવામાં અડચણ ઊભી કરવા" માટે જવાબદાર ઠેરવી.

તેમણે કેજરીવાલને મોહલ્લા ક્લિનિકના પ્રભાવને ઓછો કરવા વારંવાર કહ્યું કે દિલ્હી સરકારે આયુષ્યમાન ભારત સ્કીમને લાગુ નથી કરી.

પરંતુ મોટા પ્રમાણમાં નાની-નાની સભાઓનું આયોજન કરીને પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર જેવા નેતાઓએ શાહીનબાગ, દેશદ્રોહ, પાકિસ્તાન અને આતંકવાદની વાત કરતા રહ્યા.

અમિત શાહ અને અનેક મોટા નેતાઓએ ભારતની સરહદોને મજબૂત અને દેશને 'દુશ્મનોની પહોંચથી બહાર' બતાવી.

તેમણે વારંવાર યાદ અપાવ્યું કે ભારતે કેવી રીતે પાકિસ્તાનની ખરાબ હાલત કરી લીધી છે અને હવે તે ડરથી કાંપી રહ્યું છે.

નિષ્ફળ રહ્યા ધ્રુવીકરણના પ્રયત્ન

વાત રોજગારી, પીવાનું સાફ પાણી, સારા રસ્તાઓ અને મૂળભૂત સુવિધાઓમાં પ્રાથમિક પરિવર્તન લાવવાની પણ થઈ. વધારે વિદેશી રોકાણ, ગરીબો માટે ઘર અને તેમના બાળકોને સારું શિક્ષણ આપવાની પણ વાત થઈ.

પરંતુ આ બધાની વચ્ચે કેટલાક મુદ્દે સવાર-સાંજની ચાની જેમ લગભગ દરેક ચૂંટણીસભાનાં ભાષણોમાં તરી રહેલા તે તમામ મામલા ધ્રુવીકરણને ઊંડા કરવાના પ્રયત્નથી જ કરવામાં આવી રહ્યા હતા.

કોણ કેટલું ભારતીય છે, કોની અંદર રાષ્ટ્રવાદની ભાવના વધારે છે અને કોનામાં કેટલો દમ છે, જે નાગરિક્તા કાયદાનો વિરોધ કરી રહ્યા હતા તે ઇચ્છતા ન હતા કે પડોશી દેશોમાં યાતનાઓ ભોગવી રહેલાં અલ્પસંખ્યકોને નાગરિકતા મળે.

વારંવાર બાંગ્લાદેશના ઘૂસણખોર અને રોહિંગ્યા મુસ્લિમોની વાત થઈ અને ભાજપ સાથે જોડાયેલા નેતા સતત કહી રહ્યા છે કે ભારતમાં કેવી રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઘૂસી આવ્યા છે અને કેન્દ્ર સરકાર તેમને કાઢવા માટે કેવા પ્રયત્નો કરી રહી છે.

બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા ક્યારેક એક કરોડ, તો ક્યારેક બે કરોડ કહેવાઈ.

એમ પણ કહેવામાં આવ્યું કે જેમને ભારત પસંદ નથી તેમને બીજે જવાથી કોણે રોક્યા છે અને સેંક્ડો વર્ષો સુધી વિદેશી શાસકોએ ભારતના બહુમતી હિંદુઓ પર શાસન કર્યું, હવે વધારે સહન નહીં કરવામાં આવે.

ફોક્સ એના પર પણ કરવામાં આવ્યું કે દેશવાસીઓને એનઆરસી અને સીએએ જેવા કાયદાઓની જરૂરિયાત કેમ છે. સોશિયલ મીડિયાથી લઈને ચૂંટણીના મંચ પરથી ભારેભરખમ લાઉડસ્પીકરોથી પણ વધારે વાતો કંઈક આ પ્રકારે નીકળી.

ભારતીય જનતા પાર્ટીએ પોતાના 250 સંસદ સભ્યોને મેદાનમાં ઉતારી દીધા.

એટલું જ નહીં દેશના અન્ય રાજ્યના મુખ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રી રાત-દિવસ પ્રચાર કરતા રહ્યા. એટલે સુધી કે સંસદસભ્યોને રાત્રે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું કહેવાયું.

અહીં ઝૂંપડપટ્ટીમાં કેજરીવાલની પકડને ઢીલી કરવાનો પ્રયાસ કરાયો.

સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતવાના પ્રયત્નો પહેલી વાર થયા છે એવું પણ નથી.

2019ની લોકસભા ચૂંટણી સહિત ગત કેટલીય વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન નજીક આવતા-આવતા પોતાના સ્ટાર પ્રચારકોને વધારે જુસ્સા સાથે ઉતાર્યા હતા.

ભગવા વસ્ત્ર પહેરનાર યોગી આદિત્યનાથ, બંગાળમાં ભાજપને 2 લોકસભા સીટથી 18 સુધી સુધી પહોંચાડનાર દિલીપ ઘોષથી લઈને સંસદસભ્ય સની દેઓલ અને રવિ કિશન ઘણા સક્રિય રહ્યા છે અને દિલ્હીમાં પણ કૅમ્પ કરે છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં ભાજપે ભલે સરકાર ગુમાવી છે. જાણકારોને લાગી રહ્યુ છે કે ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસોમાં 'ધર્મ અને એક નવા પ્રકારના રાષ્ટ્રવાદ'થી ભરેલું ભાષણ અને સોશિયલ મીડિયા કૅમ્પેન ઘણું પ્રભાવક હોય છે.

મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાની પ્રક્રિયા ચાલુ છે અને પ્રારંભિક પરિણામોમાં આપ પાર્ટીને લીડ મળી રહી છે અને ભાજપે પહેલાંથી સારું પ્રદર્શન કર્યું છે.

ગત ચૂંટણીમાં દિલ્હીની 70 સીટમાંથી ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી.

હાલ સુધીનાં પરિણામોમાં આ વખતે ભાજપને કદાચ 10 સીટનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ ધ્રુવીકરણનો રાજકીય ફાયદો તો છે, પરંતુ ધ્રુવીકરણની સીમા પણ દેખાઈ રહી છે કે સરકાર ફરીથી આમ આદમી પાર્ટીની બની રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો