ભારતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ચીનમાં કેટલાય સેંકડો લોકોનો ભોગ લેનારા કોરોના વાઇરસનો ભારતમાં પ્રથમ કેસ કેરળમાં નોંધાયો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર કેરળના થ્રિસ્સુરમાં એક યુવતીમાં વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં છે. યુવતી વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે અને ભારત પરત ફર્યાં છે. નોંધનીય છે કે વુહાનમાંથી આ વાઇરસ ફેલાયો છે.

અહેવાલ અનુસાર રાજ્યનાં સ્વાસ્થ્યમંત્રી કે. કે. શૈલજાએ જણાવ્યું છે, "તાવ અને ગળું બળવાની ફરિયાદ બાદ વિદ્યાર્થિનીને દાખલ કરાઈ અને આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવી છે."

"જે વિદ્યાર્થિનીમાં વાઇરસ પોઝિટિવ જોવા મળ્યો એની સ્થિતિ હવે સ્થિર છે અને ચિંતાનું કોઈ કારણ નથી."

અખબાર વધુમાં જણાવે છે કે વુહાનમાં અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓ પોતાની મેળે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાંથી એક વિદ્યાર્થિનીમાં વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

કોરોના વાઇરસ વૈશ્વિક કટોકટી : WHO

ચીનમાં ફેલાયેલો કોરોના વાઇરસના ચીન બહાર પણ પ્રસરી રહ્યો હોવાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ ઘટનાને વૈશ્વિક કટોકટી જાહેર કરી દીધી છે.

સ્વાસ્થ્ય સંગઠનના વડા ટૅડરોઝ ઍધનોન ગેબ્રીએસસે જણાવ્યું, "આ જાહેરાત પાછળનું કારણ જે ચીનમાં ઘટી રહ્યું છે એ નથી, પણ જે વિશ્વમાં ઘટી રહ્યું છે એ છે."

ચીનમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 213 લોકો માર્યા ગયા છે અને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે નબળી સ્વાસ્થ્યસેવા ધરાવતાં રાષ્ટ્રોમાં આ વાઇરસ ફેલાઈ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એવું પણ જણાવ્યું છે કે વિશ્વનાં 18 રાષ્ટ્રોમાં સંબંધિત કેસો નોંધાયા છે પણ ચીન બહાર કોઈનું મૃત્યુ થયું નથી. મોટા ભાગના કિસ્સામાં ચીનના વુહાનમાંથી આવનારી વ્યક્તિમાં વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં છે.

નિર્ભયા કેસ : જલ્લાદને બોલાવાયા

દિલ્હીની એક કોર્ટે તિહાડ જેલના તંત્રને નોટિસ ફટકારી છે. નોટિસમાં જેલતંત્ર સમક્ષ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે ચારેય દોષિતોની ફાંસી ટાળવા અંગેની એક અરજી પર શુક્રવારે જવાબ આપવા કહ્યું છે.

વિશેષ ન્યાયાધીશ એ. કે. જૈને તિહાડ જેલના અધિક્ષકને શુક્રવારે સવાર દસ વાગ્યા સુધીમાં આ અરજી પર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

આ દરમિયાન જેલના તંત્રે પવન નામના જલ્લાદને મેરઠથી બોલાવ્યા છે. દોષિતોને પહેલી ફેબ્રુઆરીએ ફાંસી આપવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો