TOP NEWS: ગુજરાત જળકાર્યક્ષમતા મામલે દેશભરમાં શીર્ષસ્થાને

પ્રકાશિત

જળશક્તિ મંત્રાલય દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના જળવિભાગોની સમીક્ષામાં ગુજરાતને જળકાર્યક્ષમતા માટેના માપદંડમાં મોખરાનું સ્થાન અપાયું છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર આ રૅન્કિંગમાં રાજસ્થાનને ત્રીજું સ્થાન અપાયું છે, જ્યારે સૌથી ખરાબ પ્રદર્શનો કરતાં રાજ્યોમાં દિલ્હીનો સમાવેશ કરાયો છે.

જોકે દિલ્હીએ ગત વર્ષની તુલનામાં સારું પ્રદર્શન કર્યું છે.

ગત વર્ષની રૅન્કિંગમાં તેલંગણાને ટોચનું સ્થાન મળ્યું હતું, જ્યારે આ વખતે ગુજરાતે એ સિદ્ધિ મેળવી છે.

આ રૅન્કિંગ માટે વિભાગો દ્વારા ઉપલબ્ધિ, ફાયનાન્સ, રિયલ ટાઇમ ડેટા એક્વિઝિશન સિસ્ટમ, વિશ્લેષણાત્મક કાર્ય, તાલીમ અને એમઆઈએસ અપડેટ કરવાના માપદંડોનો આધાર લેવામાં આવે છે.

નાગરિકતા માત્ર અધિકાર નથી

નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પર ચાલુ વિવાદ પર ભારતના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ કહ્યું કે નાગરિકતા માત્ર લોકોના અધિકાર અંગે જ નથી, પરંતુ સમાજ પ્રત્યેના તેનાં કર્તવ્યો અંગે પણ છે.

નાગપુરમાં એક વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં જસ્ટિસ બોબડેએ કહ્યું કે કેટલીક શિક્ષણ સંસ્થાઓની માનસિકતા 'કૉમર્શિયલ' થઈ ગઈ છે.

તેઓએ કહ્યું કે શિક્ષણનો મુખ્ય હેતુ બુદ્ધિ અને ચરિત્રના વિકાસ કરવાનો છે, પરંતુ કમનસીબે કેટલીક સંસ્થાઓ વાણિજ્યિક માનસિકતાવાળી બની ગઈ છે.

જસ્ટિસ બોબડેએ વધુમાં કહ્યું કે વિશ્વવિદ્યાલયના શિક્ષણનો હેતુ શો હોય, એનો જવાબ આપણે શોધવો જોઈએ.

પાકિસ્તાનના સેનાપ્રવક્તા બદલાયા

મેજર જનરલ આસિફ ગફુરને પાકિસ્તાન સેનાના પ્રવક્તાપદેથી હઠાવી દીધી છે.

જનરલ ગફુર સોશિયલ મીડિયામાં ઘણા ચર્ચિત રહેતા હતા અને ઘણી વાર ટ્વિટર પર ટ્રૅન્ડ પણ થયા હતા.

તેમને પ્રવક્તાપદેથી હઠાવાયા તો ઘણા લોકોએ તેમનાં કામની સરાહના કરી, તો કેટલાકે ટીકા પણ કરી.

જતાં પહેલાં તેમણે એક ટ્વીટ કર્યું હતું જે ઘણું વિવાદિત રહ્યું હતું.

તેમણે ભારતનાં જાણીતા અભિનેત્રી દીપિકા પાદુકોણના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. દીપિકા જેએનયુમાં વિદ્યાર્થીઓને મળવા ગયાં હતાં, જેને લઈને ગફુરે દીપિકાનાં વખાણ કર્યાં હતાં.

જોકે આ ટ્વીટની ટીકા થતાં તેઓએ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું.

સિરીઝની અંતિમ વન ડે

આજે વિશ્વની બે સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ટીમ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ મૅચ રમાશે.

મુંબઈમાં રમાયેલી મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટ હરાવ્યું હતું અને રાજકોટમાં ભારતીય ટીમે વાપસી કરી અને ઑસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી.

હવે અંતિમ વન ડે બેંગલુરુના જાણીતા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

પહેલી મૅચમાં ભારતીય બૉલરો નબળા સાબિત થયા હતા. તો રાજકોટ ખાતેની બીજી વન ડેમાં ભારતીય બૅટ્સમૅનોએ 340 રનનો આંકડો પહોંચાડ્યો હતો.

341 રનનો પીછો કરતા ઑસ્ટ્રેલિયન ટીમ 50મી ઓવરમાં 304 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

આ મૅચમાં કઈ ટીમનું પલ્લું ભારે છે એ કહેવું મુશ્કેલ છે. જોકે ભારત ઘરઆંગણે રમી રહ્યું હોવાથી ઑસ્ટ્રેલિયા માટે મોટો પડકાર રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો