Exit Poll : ઝારખંડમાં ભાજપ ગુમાવી શકે છે સત્તા, નાના પક્ષો કિંગમૅકર બનશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઝારખંડમાં આજે છેલ્લાં ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ આવેલાં ઍક્ઝિટ પોલ મુજબ ભાજપ ચૂંટણી હારી શકે છે અને તેની સત્તા જઈ શકે છે.

ઍક્ઝિટ પોલ પર જોઈએ તો ઝારખંડમાં અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષો ફરીથી કિંગમૅકર બની શકે છે.

આઇએએનએસ-સી વૉટર-એબીપીના અહેવાલ અનુસાર ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભા જોવા મળી શકે છે.

જેમાં કૉંગ્રેસ અને જેએમએમને ખૂબ નાની લીડ મળી શકે છે. તેમના અહેવાલ મુજબ ભાજપને 32, કૉંગ્રેસ અને તેના ગઠબંધનને 35 સીટ મળી શકે છે. જ્યારે એજેએસયુને 5 સીટ મળી શકે છે અને અન્યોને 9 સીટ મળી શકે છે.

ઉલ્લેખનીય છે ઍક્ઝિટ પોલના તારણો સાચા પડે જ તેવું નથી હોતું.

ઇન્ડિયા ટુડે-માય એક્સિસના અહેવાલ અનુસાર ઝારખંડમાં કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર બનવાની સંભાવના છે.

કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા 38થી 50 સીટ જીતી શકે તેમ લાગી રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 22-32 સીટ મેળવી શકે છે.

ઍક્ઝિટ પોલ અનુસાર ઝારખંડ વિકાસ મોરચા(જેવીએમ) 2થી 4 સીટ અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (એજેએસયુ) 3થી 5 સીટ જીતી શકે છે.

ઇન્ડિયા ટુડેના ઍક્ઝિટ પોલ અનુસાર કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનને 37 ટકા વોટ મળી શકે છે. જ્યારે ભાજપને 34 ટકા વોટ મળી શકે છે.

ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં 81 સીટ માટે 5 તબક્કામાં મતદાન થયું હતું. પહેલાં અને બીજાતબક્કામાં 13-13 સીટ પર મતદાન થયું. જ્યારે ત્રીજા અને ચોથા તબક્કામાં 15-15 સીટ પર અને છેલ્લાં તબક્કામાં 16 સીટ પર મતદાન થયું હતું.

ઝારખંડમાં મુખ્યમંત્રી રઘુવર દાસના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 2000ની સાલમાં બિહારથી છુટા થઈને ઝારખંડ અસ્તિત્વમાં આવ્યું તે પછી 5 વર્ષનો સમય પૂર્ણ કરનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી છે.

ભાજપે 2014ની ચૂંટણીમાં 37 સીટ જીતી હતી. એ સમયે ભાજપને ઝારખંડ મુક્તિ મોરચાના 6 સભ્યોનું સમર્થન હતું

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો