વડોદરા ગૅંગરેપ કેસ : બે આરોપીઓ દસ દિવસ બાદ ઝડપાયા, શું છે સમગ્ર ઘટના?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વડોદરામાં નવલખી મેદાનમાં ઘટેલી બળાત્કારની ઘટનામાં બન્ને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓને પકડી પાડ્યા છે.

બીબીસીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપન ભદ્રને આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું, "બન્ને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. આરોપીને વડોદરા પોલીસને સોંપી દેવામાં આવશે અને આ મામલે વિસ્તૃત પત્રકારપરિષદ પણ યોજવામાં આવશે."

28 નવેમ્બરે સાંજે વડોદરામાં બળાત્કારની આ ઘટના ઘટી હતી. જેમાં સગીરા પર બે શખ્સોએ કથિત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ઘટના બાદ પોલીસે આરોપીના સ્કૅચ જાહેર કર્યા હતા  અને શોધખોળ આદરી હતી. 

શું છે સમગ્ર મામલો?

28 નવેમ્બરે સાંજે સગીરા અને તેમના મંગેતર શહેરના નવલખી કંપાઉન્ડ પાસે આવેલા જીઈબી ક્વાર્ટર પાસે બેઠાં હતાં, ત્યારે આ ઘટના ઘટી હતી.

એ વખતે ઝાડીમાંથી આવેલા આરોપીઓએ મંગેતરને માર મારીને ભગાડી મૂક્યા, પીડિતાને ઝાડીઓમાં ઢસડી ગયા હતા. જ્યાં તેમનાં પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

પોલીસને આપેલી વિગતો અનુસાર મંગેતરને ભગાડી દીધા બાદ આરોપીઓએ સગીરાનું અપહરણ કરી લીધું હતું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

વડોદરા શહેરના ઝોન-2ના ડીસીપી સંદીપ ચૌધરીએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું, "ઘટના વખતે પીડિતાના મંગેતરે રસ્તા પર આવીને બૂમાબૂમ કરતાં ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસની પી.સી.આર. વાન મદદે પહોંચી હતી."

પોલીસજવાનોએ પીડિતાની શોધખોળ કરી હતી. જે દરમિયાન ઝાડીની અંદર તેમની ભાળ લાગી હતી.

સગીરાએ આરોપીઓનાં કરેલાં વર્ણનો અનુસાર આરોપીઓનાં સ્કૅચ તૈયાર કરવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો