You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર, શિવસેના-એનસીપી-કૉંગ્રેસની સરકારે બહુમત સાબિત કર્યો
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી 'મહા વિકાસ અઘાડી' સરકારે બહુમતનો આંકડો પાર કરી લીધો છે.
મુખ્ય મંત્રીપદના શપથગ્રહણ બાદ આજે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમની સરકારની પહેલી પરીક્ષા હતી.
આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર-ટેસ્ટ યોજાયો, જેમાં ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં બહુમત સાબિત કર્યો.
ભાજપે વૉકઆઉટ કર્યું હતું અને ગૃહમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેની સરકારમાં વિશ્વાસમતમાં આપ્યો હતો.
4 સભ્યોએ પ્રસ્તાવની વિરુદ્ધ કે તરફેણ કરવાને બદલે તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તટસ્થ રહેનારમાં એક ધારાસભ્ય રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પણ છે.
આમ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી 'મહા વિકાસ અઘાડી' સરકારે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું અને 4 સભ્યોએ તટસ્થ રહેવાનું પસંદ કર્યું હતું.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "વિધાનસભાનું આ સત્ર નિયમ પ્રમાણે નથી. આ સત્ર વંદે માતરમના ગાન વગર શરૂ થયું છે, જે નિયમોનું ઉલ્લંઘન છે."
વિધાનસભાનું આ ખાસ સત્ર નિયમાનુસાર બોલાવાયું ન હોવાનું જણાવીને ભાજપે સદનમાં હોબાળો મચાવી દીધો અને કહ્યું કે દાદાગીરી નહીં ચાલે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હોબાળા વચ્ચે અશોક ચવ્હાણે બહુમત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું, "આ સરકારને ભય હતો એટલે તેમણે તમામ નિયમોને બાજુ પર મૂકીને સ્પીકરની ચૂંટણી પહેલાં ફ્લોર-ટેસ્ટનું આયોજન કર્યું."
"એટલે જ તેમણે પોતાના ધારાસભ્યોને આટલા દિવસો સુધી હોટલમાં કેદમાં રાખ્યાં અને અહીં લાવી જે રીતે મતદાન કરાવ્યું એ તમામ કામ બંધારણને બાજુમાં રાખીને કરાયું છે. બંધારણ વિરુદ્ધનું કામ અમે ન કરી શકીએ એટલે અમે ગૃહનો બહિષ્કાર કર્યો છે."
"અમે રાજ્યપાલને પણ પત્ર લખ્યો છે અને જો બંધારણવિરુદ્ધ કામ થતું હોય તો રાજ્યપાલે તેને બરખાસ્ત કરવું જોઈએ."
ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીએ દેવેન્દ્ર ફડણવીસે ફ્લોર ટેસ્ટ માટે બોલાવાયેલું આ વિશેષ સત્ર નિયમોને નેવે મૂકીને બોલાવાયું હોવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું હતું, "મંત્રીઓએ સોગંદ બંધારણને હાથમાં રાખીને નથી લીધી. પ્રૉટેમ સ્પીકરને હઠાવીને બીજા પ્રૉટેમ સ્પીકર કેમ બનાવાયા? જ્યાં સુધી નવા સ્પીકરની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રૉટેમ સ્પીકરનું રહેવું જરૂરી હોય છે."
"જો આ એ જ અધિવેશન ચાલી રહ્યું હોય તો પ્રૉટેમ સ્પીકર કેમ બદલવામાં આવ્યા? દેશના ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. એવો તે શો ડર હતો કે જરૂરિયાત હતી કે પ્રૉટેમ સ્પીકરને બદલવામાં આવ્યા? સ્પીકરની ચૂંટણી પહેલા ફ્લોર ટેસ્ટ ન કરી શકાય."
આ માટે તેમણે પોતાની સરકારનું પણ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, "2014માં જ્યારે અમારી સરકાર બની હતી ત્યારે પણ પહેલાં અધ્યક્ષની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ વસ્તુઓ નિયમોને બાજુમાં રાખીને કરાઈ રહી છે."
જોકે, પ્રૉટૅમ સ્પીકર દિલીપ પાટીલે કહ્યું કે રાજ્યપાલે સત્રની મંજૂરી આપેલી છે અને એટલે સત્ર નિયમાનુસાર જ શરૂ થયું છે. આટલું કહીને તેમણે ફડણવીસની વાત ફગાવી દીધી હતી.
સ્પીકરે શું કહ્યું?
ભાજપના હોબાળા દરમિયાન સ્પીકરે ફરી એક વખત ગૃહમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી. તેમણે કહ્યું, "આપ તમામ પોતાની બેઠકો પર બેસી જાઓ."
"દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મુદ્દા ઉઠાવ્યા છે, જેનો સંબંધ રાજ્યપાલ સાથે છે. એટલે એ અંગે હું કંઈ પણ કહેવા નથી માગતો."
"પ્રૉટેમ સ્પીકર પર તેમણે જે પણ કહ્યું હું માત્ર એટલું જ કહેવા માગું છું કે મંત્રીમંડળને પ્રૉટેમ સ્પીકર પસંદ કરવાનો અધિકાર હોય છે અને એ અંતર્ગત જ મને ચૂંટવામાં આવ્યો જેને રાજ્યપાલે મંજૂરી આપી છે. "
આ પહેલાં વિશ્વાસમત માટે ઉદ્ધવ ઠાકરે વિધાનસભા પહોંચ્યા હતા અને તેમણે સૌ પ્રથમ શિવાજી મહારાજની પ્રતિમાને નમન કર્યા હતા.
આ ફ્લોર-ટેસ્ટની વાત કરીએ તો શિવસેનાના સાંસદ સંજય રાઉતને ભરોસો છે કે તેમને વિધાનસભામાં વિશ્વાસમત મળશે જ.
તેમણે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું છે કે તેમને 170 કરતાં વધુ સાંસદોનું સમર્થન મળશે. NCP નેતા અજિત પવારે પણ સંજય રાઉતના દાવાને સમર્થન આપ્યું છે.
આ તરફ કૉંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વમુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, "ઓછામાં ઓછા 162 અને વધુમાં વધુ 170... આટલા ધારાસભ્યોનું અમને સમર્થન મળશે."
'અમે લોકોને ન્યાય અપાવવા માટે કામ કરીશું'
ફ્લોર-ટેસ્ટ બાદ આવતીકાલે વિધાનસભા અધ્યક્ષની પસંદગી થશે.
શિવસેના- કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનમાં સ્પીકરનું પદ કૉંગ્રેસના ખાતામાં ગયું છે અને કૉંગ્રેસે નાના પટોલેને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે ભાજપે કિસન કથોરેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
નામાંકન નોંધાવ્યા બાદ નાના પટોલેએ કહ્યું, "દેશમાં મહારાષ્ટ્ર વિધાનસભાની પોતાની અલગ ઓળખ છે. હું તે ઓળખને જાળવી રાખવા પ્રયાસ કરીશ. હું રાજ્યના લોકો માટે કામ કરીશ."
નાના પટોલે અંગે વાત કરતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, "નાના ખેડૂતોના નેતા છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના આગામી સ્પીકર હશે. તેઓ ખેડૂતોનું નેતૃત્વ સારી રીતે કરશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો