પાકિસ્તાનમાં ભૂકંપમાં 20 લોકોનાં મૃત્યુ થયાં અને 300 લોકો ઘાયલ, દિલ્હી સુધી અસર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની અસર ઉત્તર ભારત સહિત નવી દિલ્હી સુધી જોવા મળી છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સહિત પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં મંગળવારે બપોરે આવેલા તીવ્ર ભૂકંપમાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે અને 300 લોકો ઘાયલ થયા છે.

જોકે, મૃત્યુ પામનારા લોકોની સંખ્યાને લઈને હજી મતભેદ છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં મીરપુરના ડીઆઈજી ગુલફરાઝ ખાને કહ્યું કે અત્યાર સુધી મૃતકોની સંખ્યા 22 થઈ ગઈ છે અને 300થી વધારે લોકો ઘાયલ છે.

જોકે, પાકિસ્તાનમાં કુદરતી આપદા નિયંત્રણ અને બચાવના એકમ નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના લે. જનરલ મોહમ્મદ અફઝલે ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અત્યાર સુધી ફક્ત 10 લોકોનાં મૃત્યુ થયાં છે અને 100 લોકો ઘાયલ છે.

યુનાઈટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 હતી તેમજ ભૂકંપનું કેન્દ્ર ઝેલમથી 5 કિલોમિટર દૂર આવેલું છે.

પાકિસ્તાનના હવામાન વિભાગ તરફથી આપવામાં આવેસલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાની સમય અનુસાર સાંજે 4 વાગ્યાને 43 મિનિટ પર એક આફટ્ર શૉક પણ આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આગામી 24 કલાકમાં હળવાથી ભારે આફ્ટર શૉક્સ આવી શકે છે.

પાકિસ્તાન પ્રશાસિત કાસ્મીર ઉપરાંત રાજધાની ઇસ્લામાબાદ, લાહોર, પેશાવર અને અન્ય અનેક શહેરોમાંથી નુકસાનની ખબરો મળી છે.

એનડીએમએના નિર્દેશક કર્નલ અલાઉદ્દીને બીબીસીને કહ્યું કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 250 મકાનોને નુકસાન થયું છે.

પાકિસ્તાની સેનાનું કહેવું છે કે સેના પીડિતો વિસ્તારોમાં પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવની કામગીરી ચાલું છે.

આ ભૂંકપની અસર દિલ્હી સહિત ભારતમાં પણ જોવા મલી છે.

ભૂકંપનું કેન્દ્ર ઝેલમ અને મીરપુર શહેર વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે.

નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના લે. જનરલ મોહમ્મદ અફઝલે મીડિયાને જણાવ્યું હતું કે તેમણે ઝેલમ અને મિરપુર ખાતે બચાવ ટુકડીઓ ટીમ તહેનાત કરી દીધી છે, તેમજ નુકસાનનું આકલન ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થયું છે તે દુર્ગમ વિસ્તારો નથી. તેથી ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવકાર્ય ઝડપી બનશે.

પાકિસ્તાનનાં શહેરો સિયાલકોટ, સરગોધા, મનસેહરા, ગુજરાત, ચિત્રાલ, માલાકંડ, મુલતાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

બીબીસીના સંવાદદાતા મિરઝા ઔરગંઝેબે કહ્યું કે જાટલાન નજીક બે પુલ તૂટી ગયા છે.

ગોરિસયાં, જાતનાલ, ભીમબેર વિસ્તારમાં અનેક ઘરો પડી ગયાં હોવાની માહિતી મળી છે.

5.8ની તીવ્રતાના આ ભૂકંપના કારણે પાકિસ્તાનનાં વિવિધ શહેરોમાં લોકો ઇમારતો અને ઑફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા.

જોકે, ભારતની નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના ડિરેક્ટર જે. એલ ગૌતમે કહ્યું કે 6.3ની તીવ્રતાનો ભૂકંપ ભારત-પાકિસ્તાન સરહદે નોંધાયો છે. દિલ્હીમાં પણ તેનો આંચકો અનુભવાયો. આ ઉપરાંત પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં આંચકો અનુભવાયો છે.

આમાં વધુ વિગતો હજી ઉમરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો