ટ્રિપલ તલાક : સુપ્રીમ કોર્ટ નરેન્દ્ર મોદી સરકારે ઘડેલા કાયદા પર સુનાવણી કરવા સહમત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ટ્રિપલ તલાકને દંડાત્મક અપરાધ ઠેરવતા કેન્દ્ર સરકારે પસાર કરેલા કાયદા પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

આ મામલે અલગ-અલગ 3 પિટિશન થઈ હતી અને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પર નજર રાખતા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતીએ કહ્યું કે જસ્ટિસ રમન્નાએ ભારત સરકારને નોટિસ મોકલી છે.

પિટિશન કરનાર જમાત-ઉલેમા-એ-હિંદે કહ્યું કે દેશમાં પત્નીને તજી દેવી અપરાધ નથી માનવામાં આવતું અને આ કાયદા મુજબ 3 તલાકને બિનજામીનપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે જેથી મુસ્લિમ પુરૂષોને 3 વર્ષ માટે જેલમાં નાખી શકાય.

સંગઠનનું કહેવું છે કે 3 વર્ષની સજાની જોગવાઈ અસંગત અને વધારે પડતી છે.

ગત મહિને કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વિપક્ષોના ભારે વિરોધ છતાં ટ્રિપલ તલાક અંગે કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

ટ્રિપલ તલાક બિલમાં શું છે કાયદાકીય જોગવાઈઓ?

  • ટ્રિપલ તલાકના કાયદામાં ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે.
  • આ કાયદા મુજબ ટ્રિપલ તલાક બિન-જામીનપાત્ર ગુનો ગણાશે અને આરોપીને પોલીસ સ્ટેશનમાં જામીન નહીં મળી શકે.
  • સુનાવણી અગાઉ જામીન માટે આરોપીને મૅજિસ્ટ્રેટ પાસે જવું પડશે. ત્યાં પત્નીની સુનાવણી બાદ જ પતિને જામીન મળી શકશે.
  • કાયદા મુજબ પતિ પત્નીને ભરણપોષણ આપવા સહમત છે તેની મૅજિસ્ટ્રેટ જામીન અગાઉ ખાતરી કરશે. કાયદા મુજબ વળતરની રકમ મૅજિસ્ટ્રેટ નક્કી કરશે.

શું છે તત્કાળ ટ્રિપલ તલાક?

તત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે.

તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમના લગ્નજીવનનો અંત આણી શકે છે.

'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મૅસેજ કે ઈ-મેઇલ મારફત એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે.

સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ વર્ષના ઑગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો