IND vs PAK : સુનિલ ગાવસ્કરે ભારત-પાકિસ્તાનની વન ડે મૅચ વિશે શું કહ્યું?

    • લેેખક, વિનાયક ગાયકવાડ
    • પદ, બીબીસી સંવાદદાતા, મૅન્ચેસ્ટરથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

રવિવારે વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્ત્વની મૅચ યોજાઈ છે.

ભારત અને પાકિસ્તાન જ્યારે પણ આમનેસામને હોય છે, ત્યારે ક્રિકેટનો રોમાંચ અનેકગણો વધી જાય છે.

આ મૅચ વિશે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો મત શું છે?

આ મુકાબલાને આપ કઈ રીતે જુઓ છો?

હું મૅચ રમાય તે માટે પ્રાર્થના કરું છું. મૅન્ચેસ્ટરની મોસમ ઘણી ટ્રિકી છે. આ મૅચ પાકિસ્તાન માટે વધુ અગત્યની છે. જો તેઓ હારી જાય તો તેમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળશે.

ભારતીય ટીમ માટે પણ બહુ અપેક્ષાઓ રહેલી છે. તેથી જો હવામાન બરાબર રહેશે તો આપણને એક મજેદાર મૅચ જોવા મળશે.

વરસાદની ચર્ચા છે, ICCએ રિઝર્વ ડે ન રાખવો જોઈએ?

જુઓ રોજ મૅચ રમાઈ રહી છે, તેથી રિઝર્વ ડે ન રાખી શકાય. જો કોઈ મૅચ આગળના દિવસ માટે ટળી જાય તો એક દિવસમાં ત્રણ-ત્રણ મૅચ રમવાની સ્થિતિ ઊભી થશે. તો તકલીફ વધી જશે.

આઈસીસીએ આ અંગે જરૂર વિચાર્યું હશે. ભારત જ્યારે ગઈ વખતે ઇંગ્લૅન્ડના પ્રવાસે આવ્યું હતું ત્યારે કોઈ સમસ્યા નહોતી આવી.

તમારી દૃષ્ટિએ ભારતની ટીમ કેવી છે? શું આ ટીમ વર્લ્ડ કપ જીતી શકશે?

ભારતની ટીમ બહુ સંતુલિત છે, પણ મારી પ્રિય ટીમ ઇંગ્લૅન્ડ છે. ઇંગ્લૅન્ડ સંપૂર્ણ રીતે ઓલરાઉન્ડર ટીમ છે. તેઓ પોતાની હોમ પીચ પર પણ રમી રહ્યા છે, તેથી તેમને એનો વધુ ફાયદો થશે.

જો ફાઇનલમાં ભારત અને ઇંગ્લૅન્ડ પહોંચે તો ઇંગ્લૅન્ડને તેનો ફાયદો થશે. અહીંની પરિસ્થિતિનો જેટલો અનુભવ તેમને છે એટલો કોઈને નથી.

ભારત-પાકિસ્તાનની મૅચ વિશે આપનું શું અનુમાન છે?

ભારતીય ટીમ તડકામાં રમવાનું પસંદ કરશે. જો તડકો નહીં નીકળે તો ભારતીય ટીમને નુકસાન થશે. પાકિસ્તાનની ટીમ પણ તડકામાં જ રમવાનું પસંદ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો