You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંડર-19 વર્લ્ડકપ ફાઇનલ : ભારતે ઇંગ્લૅન્ડને જીત માટે આપ્યું 412 રનનું વિશાળ લક્ષ્ય – ન્યૂઝ અપડેટ
આઇસીસી મેન્સ અંડર-19 વર્લ્ડકપ 2026 ફાઇનલ મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે 412 રનનું લક્ષ્ય મૂક્યું છે. ભારતે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા.
ભારતીય ઇનિંગમાં બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ 175 રન બનાવ્યા. તેમણે 80 બૉલની પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા.
તેમજ કપ્તાન આયુષ મ્હાત્રેએ 53 રનની ઇનિંગ રમી. ભારતના મધ્ય ક્રમના બૅટ્સમૅનોએ ટીમના સ્કોરમાં સારું યોગદાન કર્યું. જોકે, ઝડપી રન બનાવવાના પ્રયાસમાં ભારતીય ટીમ સતત વિકેટો ગુમાવતી રહી.
ફાઇનલ મૅચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ટૉસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ઇંગ્લૅન્ડની ટીમ 7.3 ઓવરમાં એક વિકેટના નુકસાને 33 રન જ બનાવી શકી છે.
આ મૅચ ઝિમ્બાબ્વેના પાટનગર હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે.
ઇસ્લામાબાદમાં 'આત્મઘાતી વિસ્ફોટ'માં ઓછામાં ઓછા 31નાં મોત, 160થી વધુ ઈજાગ્રસ્ત
ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબાડામાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 31 લોકોનાં મૃત્યુ થયાં છે અને 160 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બીબીસી ઉર્દૂ પ્રમાણે પોલીસ અધિકારીઓએ આને 'આત્મઘાતી હુમલો' ગણાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિલ્લા વહીવટી તંત્રના પ્રવક્તા અનુસાર અત્યાર સુધી જુદી જુદી હૉસ્પિટલોમાં 15 લોકોને મૃત અવસ્થામાં લવાયા છે.
પ્રવક્તા અનુસાર શહેરની ત્રણ હૉસ્પિટલોમાં ઇમર્જન્સી લાગુ કરી દેવાઈ છે, જ્યારે આસિસ્ટન્ટ કમિશનરોને જુદી જુદી હૉસ્પિટલોમાં ઈજાગ્રસ્તોના ઇલાજની દેખરેખ માટે તહેનાત કરાયા છે.
જિલ્લા વહીવટી તંત્ર અનુસાર ધડાકાવાળી જગ્યાને સંપૂર્ણપણે સીલ કરી દેવાઈ છે.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના નિર્દેશ અનુસાર રાજ્ય મંત્રી (ગૃહ) તલાલ ચૌધરી ઇસ્લામાબાદની પિમ્સ હૉસ્પિટલે પહોંચ્યા, જ્યાં તેમણે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી.
મુલાકાત વખતે તલાલ ચૌધરીએ કહ્યું કે ઈજાગ્રસ્તોને ઇલાજની શ્રેષ્ઠતમ સુવિધાઓ પૂરી પડાશે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ આ ધડાકાની ઘટનાની નિંદા કરી છે.
પોતાના નિવેદનમાં શરીફે ધડાકામાં મૃત્યુ પામેલા લોકો અંગે દુ:ખ અને અફસોસ વ્યક્ત કરતાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
લોકસભા 9મી ફેબ્રુઆરી સવારે 11 વાગ્યા સુધી સ્થગિત
લોકસભાની કાર્યવાહી 9મી ફેબ્રુઆરી, 2026ની સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે.
લોકસભામાં શુક્રવારે પણ પ્રશ્નકાળ ન ચાલી શક્યો. કાર્યવાહી શરૂ થયા બાદ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષોના નારા પર વાંધો ઉઠાવતા કહ્યું કે "તમે આયોજનબદ્ધ રીતે સદનને ચાલવા નથી દેવા માગતા. તમે સદનની મર્યાદાને સમાપ્ત કરી દેવા માગો છો. આ પ્રકારે ગૃહ નહીં ચાલી શકે."
ત્યાર પછી લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ, પરંતુ બાદમાં તેને સ્થગિત કરી દેવાઈ.
નગીનાથી સાંસદ અને આઝાદ સમાજ પાર્ટી- કાંશીરામના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું, "ગૃહ નહીં ચાલ્યું કારણકે સત્તાપક્ષ આલોચના સાંભળવા નથી માંગતો. જ્યાં સુધી સત્તા નહીં ચાહે, ગૃહ નહીં ચાલે. હું વિપક્ષના સાથીઓને પણ કહીશ કે તેમણે કોશિશ કરવી જોઈએ કે ગૃહ ચાલી શકે."
અન્ડર-19 વર્લ્ડકપ 2026 ફાઇનલ : ભારતે ઇંગ્લૅન્ડ સામે ટૉસ જીત્યો, પહેલા બેટિંગનો નિર્ણય
આઈસીસી મૅન્સ અંડર-19 વર્લ્ડકપ 2026ની ફાઇનલ મૅચમાં આજે ટીમ ઇન્ડિયાનો મુકાબલો ઇંગ્લૅન્ડની ટીમ સાથે છે.
ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો છે.
આ મૅચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેના સ્પૉર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે.
વેબ સિરીઝ 'ઘૂસખોર પંડત'ની સામે યુપીમાં કેસ કેમ થયો?
વેબ સિરીઝ 'ઘૂસખોર પંડત'ના ડાયરેક્ટર અને તેની ટીમ સામે લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
લખનઉ પોલીસ કમિશ્નરેટ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલી પ્રેસનોટમાં આ માહિતી આપવામાં આવી છે.
પ્રેસનોટમાં વેબ સિરીઝ પર 'જાતિ આધારિત અપમાન, સામાજિક રોષ ભડકાવવાનો પ્રયાસ અને શાંતિ ભંગ કરવાનો' આરોપ મૂકવામાં આવ્યો છે.
પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે, "વેબ સિરીઝનું શીર્ષક એક વિશેષ સમુદાય/જાતિ (બ્રાહ્મણ)ને લક્ષ્ય બનાવી અપમાનિત કરવાની ભાવનાથી રાખવામાં આવ્યું છે."
આમાં આગળ જણાવાયું છે, "ફિલ્મના નામ અને વિષયવસ્તુને લઈને બ્રાહ્મણ સમાજ તેમજ અનેક સામાજિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સંગઠનોએ તેના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપી છે."
આ તરફ, ફિલ્મના ડાયરેક્ટર નીરજ પાંડે પણ પોતાની ફિલ્મ 'ઘૂસખોર પંડત' અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે.
તેમણે પોસ્ટમાં લખ્યું, "અમારી ફિલ્મ એક કલ્પિત કૉપ ડ્રામા છે અને 'પંડત' શબ્દનો ઉપયોગ માત્ર એક કલ્પિત પાત્રના બોલચાલના નામ તરીકે કરવામાં આવ્યો છે."
તેમણે ઉમેર્યું, "કથા એક વ્યક્તિના કામ અને નિર્ણયોને કેન્દ્રમાં રાખે છે અને તે કોઈ જાતિ, ધર્મ અથવા સમુદાય પર કોઈ ટિપ્પણી કરતી નથી કે તેનું પ્રતિનિધિત્વ કરતી નથી."
તેમણે લખ્યું, "અમે સમજીએ છીએ કે ફિલ્મના શીર્ષકથી કેટલાક દર્શકોને દુઃખ પહોંચ્યું છે અને અમે તેમની ભાવનાઓને માન્ય રાખીએ છીએ."
આગળ તેમણે જણાવ્યું, "આ ચિંતાઓને ધ્યાનમાં લેતાં અમે હાલમાં તમામ પ્રમોશનલ સામગ્રી હઠાવવાનો નિર્ણય લીધો છે, કારણ કે અમને લાગે છે કે ફિલ્મને સંપૂર્ણ રીતે તેની કહાણીના સંદર્ભમાં સમજવી જોઈએ, ન કે તેના કેટલાક ભાગો જોઈને કોઈ નિષ્કર્ષ કાઢવો જોઈએ."
વેબ સિરીઝ 'ઘૂસખોર પંડત'માં મનોજ બાજપાઈ મુખ્ય ભૂમિકામાં નજરે પડે છે, જ્યારે નુસરત ભરૂચા અને સાકિબ સલીમ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
દિલ્હી પોલીસે 'ગુમ થયેલાં બાળકોના કેસોમાં અચાનક વધારો' મામલે શું કહ્યું?
દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે "બાળકોના ગુમ થવાના કેસોમાં અચાનક થયેલા વધારા"ની અફવા પર વિશ્વાસ ન કરે.
દિલ્હી પોલીસે ઍક્સ પર પોસ્ટ કરી કે "અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ ગુમ થયેલાં બાળકોના કેસોમાં અચાનક વધારો થવાની અફવાનો શિકાર ન બને."
દિલ્હી પોલીસે "ગુમ થયેલાં બાળકોના કેસોમાં અચાનક વધારો થયો" હોવાના દાવાઓને નકારી કાઢ્યા છે. તેમજ ડેટા ખોટી રીતે રજૂ કરીને બિનજરૂરી ભય ફેલાવવા બદલ "ગુમ થયેલાં બાળકોના કેસોમાં અચાનક વધારો"ની અફવા ફેલાવનારાને કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, દિલ્હી પોલીસનો સત્તાવાર ડેટા દર્શાવે છે કે 1થી 15 જાન્યુઆરી દરમિયાન કુલ 807 લોકો ગુમ થયા હતા, એટલે કે દરરોજ સરેરાશ 54 લોકો ગુમ થાય છે.
આ ડેટા જાહેર થયા પછી દિલ્હી પોલીસે ગુરુવારે કહ્યું કે "ગભરાવાનું કે ડરવાનું કોઈ કારણ નથી", કેમ કે આ આંકડા ખરેખર તો પાછલાં વર્ષોના આ સમયગાળાની તુલનામાં ઘટાડો દર્શાવે છે.
દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી અને સંયુક્ત પોલીસ કમિશનર સંજય ત્યાગીએ જણાવ્યું હતું કે, "દિલ્હીમાં ગુમ થયેલી વ્યક્તિઓ, ખાસ કરીને બાળકો અંગે ગભરાવાનું કે ડરવાનું કોઈ કારણ નથી."
"દિલ્હીમાં ગુમ થયેલી વ્યક્તિઓના કેસમાં પહેલાંની સરખામણીએ કોઈ વધારો થયો નથી. જાન્યુઆરી 2026ના મહિનામાં છેલ્લાં વર્ષોના સમાન સમયગાળાની સરખામણીમાં ગુમ થયેલી વ્યક્તિઓના કેસમાં ઘટાડો થયો છે."
ઈરાનના વિદેશમંત્રી ઓમાન પહોંચ્યા, અમેરિકા સાથે આજે વાતચીત
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી ઓમાન પહોંચ્યા છે. આજે એટલે કે શુક્રવારે છ ફેબ્રુઆરીએ રાજધાની મસ્કતમાં તેમની અમેરિકન રાજદૂતો સાથે વાતચીત થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર સૈન્ય કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે, જ્યાં સુધી ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવા માટે કોઈ નવી ડીલ ન કરે.
ઈરાને કહ્યું કે તે પરમાણુ મુદ્દે વાત કરવા તૈયાર છે, પરંતુ પોતાના મિસાઇલ કાર્યક્રમને સીમિત કરવા જેવી કોઈ માગો પર વાર્તા નહીં કરે.
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૅરોલિન લેવિટે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈરાની અધિકારીઓ સાથે થનારી વાતચીત પર નજર રાખી રહ્યા છે, જેથી એ જાણી શકાય કે ઈરાનને સાથે કોઈ ડીલ થઈ શકે છે કે કેમ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન