You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દુનિયામાં નવા વર્ષ 2026નું કેવી રીતે થઈ રહ્યું છે સ્વાગત, જુઓ તસવીરો - ન્યૂઝ અપડેટ
દુનિયાભરમાં નવા વર્ષ 2026નું શાનદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરમાંથી નવા વર્ષની ઉજવણીની તસવીરો સામે આવી રહી છે.
ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બર પર નવા વર્ષનું સ્વાગત આતિશબાજી સાથે થયું. 1 જાન્યુઆરી 2026નું સ્વાગત સિડનીમાં આ રીતે કરાયું.
સિડનીમાં નવ વર્ષની ઉજવણી વખતે થતી વિશ્વની પ્રખ્યાત આતિશબાજી થઈ.
બૉન્ડી બીચ હુમલા બાદ સિડનીમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તા પર હજારો પોલીસકર્મી તહેનાત કરી દેવામાં આવ્યા છે. તેઓ હથિયારો સાથે સજ્જ રસ્તા પર દેખાઈ રહ્યા છે. સિડનીમાં નવા વર્ષે આ પ્રકારનાં દૃશ્યો ક્યારેય નથી દેખાયાં.
આ મહિનાની શરૂઆતમાં બૉન્ડી બીચ પર યહૂદી સમુદાય પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 15 લોકોનાં મૃત્યુ થયાં હતાં. વર્ષ 1996 બાદ દેશમાં આ સૌથી મોટો હુમલો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસનું કહેવું છે કે આજે રાત્રે 2,500 કરતાં વધારે પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે.
સિડનીમાં નવા વર્ષની પાર્ટીમાં ઉજવણી પહેલાં રાત્રે 11 કલાકે એક મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું. આ મૌન હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં રાખવામાં આવ્યું હતું.
અગાઉ ન્યૂઝીલૅન્ડમાં પણ નવા વર્ષ 2026નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝીલૅન્ડમાં આતિશબાજી સાથે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમ ઘડિયાળમાં રાત્રે 12 વાગ્યા કે ન્યૂઝીલૅન્ડ, સમોઆ અને ટોંગામાં વર્ષ 2026નું સ્વાગત કરવામાં આવ્યું.
આખી દુનિયા વર્ષ 2026ને વધાવવા માટે રાહ જોઈ રહી છે ત્યારે ન્યૂઝીલૅન્ડમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વર્ષનો જશ્ન ન્યૂઝીલૅન્ડમાં શાનદાર રીતે મનાવવામાં આવ્યો હતો.
દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં દેશની સૌથી ઊંચી ઇમારત, લોટે વર્લ્ડ ટાવરથી આતિશબાજીનો નજારો જોવા મળ્યો.
વિજય હજારે ટ્રૉફી: સરફરાઝની તોફાની બેટિંગ, મુંબઈએ ગોવા સામે 50 ઓવરમાં 444 રન બનાવ્યા
વિજય હજારે ટ્રૉફીમાં સરફરાઝ ખાને મુંબઈ તરફથી ગોવા સામે રમતા 75 બૉલમાં 157 રન બનાવ્યા. આ પારીમાં તેમણે 14 છક્કા અને 9 ચોક્કા ફટકાર્યા.
બુધવારે મુંબઈ અને ગોવા વચ્ચે મૅચ રમાઈ રહી હતી. મુબંઈ ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 444 રન બનાવ્યા. સરફરાઝ ઉપરાંત મુંબઈના ઓપનર યશસ્વી જયસ્વાલે 46 રન બનાવ્યા જ્યારે કે મુશીર ખાને શાનદાર પારી રમીને 60 રનનું યોગદાન આપ્યું.
ગોવા તરફથી દરશન મિસાલે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી. આ લખાય છે ત્યારે 445 રનોના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ગોવાની ટીમે 31 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 166 રન બનાવી દીધા છે.
ઇન્દોરમાં કથિત દૂષિત પાણીથી ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં કથિત રીતે દૂષિત પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. આના કારણે અનેક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, ઇન્દોરના સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઇન્દોરમાં કથિત રીતે દૂષિત પાણી પીવાથી ઊલટી અને ઝાડાને કારણે આઠ લોકોનાં મોત થયાં છે. જોકે વહીવટીતંત્રે ત્રણ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
સ્થાનિકોએ પીટીઆઇને જણાવ્યું કે ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા બાદ એક અઠવાડિયામાં છ મહિલા સહિત આઠ લોકોનાં મોત થયાં છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે નંદલાલ પાલ (70), ઊર્મિલા યાદવ (60) અને તારા કોરી (65)નાં મોત ઝાડાને કારણે થયાં છે.
તો સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાત કરતા ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે કહ્યું કે "સ્વાસ્થ્ય વિભાગે ત્રણ લોકોનાં મોતની જાણકારી આપી છે. પણ મારી જાણકારી પ્રમાણે સાત લોકોનાં મોત થયાં છે."
તેમણે માહિતી આપી કે "116થી વધુ લોકોને અસર થતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 36 લોકોને રજા આપી દેવાઈ છે. મુખ્ય મંત્રીએ આ બાબતે સંજ્ઞાન લીધું છે. તેમજ મૃતકોના સ્વજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે."
તેમણે કહ્યું કે નગરનિગમની ટીમ સતત બધી જગ્યાએ તપાસ કરી રહી છે.
ઑસ્ટ્રેલિયાના પૂર્વ બૅટ્સમૅન ડેમિયન માર્ટિન કોમામાં
ઑસ્ટ્રેલિયાના પૂર્વ બૅટ્સમૅન ડેમિયન માર્ટિન કોમામાં ચાલ્યા ગયા છે, તેમને મેનિનજાઇટિસ હોવાથી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
54 વર્ષીય માર્ટિન શુક્રવારે અચાકન બીમાર પડી ગયા હતા. તેઓ ક્વીન્સલૅન્ડની એક હૉસ્પિટલમાં દાખલ છે.
ડેમિયન માર્ટિને ઑસ્ટ્રેલિયા માટે ચાર એશિઝ શ્રેણી રમી હતી. 2006માં ત્રીજી ટેસ્ટ પહેલાં તેમણે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેઓ ઑસ્ટ્રેલિયાની બે વર્લ્ડકપ વિજેતા ટીમમાં સામેલ હતા.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સીઇઓ ટૉડ ગ્રીનબર્ગે માર્ટિનના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તેમની બીમારી વિશે સાંભળીને તેમને દુઃખ થયું છે.
માર્ટિનના પરિવાર વતી તેમના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર ઍડમ ગિલક્રિસ્ટે પુષ્ટિ કરી છે કે માર્ટિન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સિડની મૉર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, એવી આશા છે કે માર્ટિન આગામી દિવસોમાં કોમામાંથી બહાર આવી શકે છે.
મેનિનજાઇટિસ એક ચેપ છે જે મગજ અને કરોડરજ્જુની આસપાસના રક્ષણાત્મક પટલમાં બળતરા પેદા કરે છે.
સલમાન ખાનની ફિલ્મ "બૅટલ ઑફ ગલવાન"થી ચીનનું સરકારી મીડિયા નારાજ
ચીનના સરકારી મીડિયાએ ભારતીય અભિનેતા સલમાન ખાનની નવી ફિલ્મ "બૅટલ ઑફ ગલવાન"ની નિંદા કરી છે.
ચીનના ચર્ચિત સરકારી દૈનિક ગ્લોબલ ટાઇમ્સે એક લેખ પ્રકાશિત કર્યો છે, જેમાં ફિલ્મ પર "તથ્યોને વિકૃત" રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
17 એપ્રિલ, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ "બૅટલ ઑફ ગલવાન" લદ્દાખની ગલવાન ખીણમાં 2020માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર કેન્દ્રિત હોવાનું કહેવાય છે.
આ ફિલ્મમાં સલમાન ખાન અને ચિત્રાંગદાસિંહ મુખ્ય ભૂમિકામાં છે અને અપૂર્વ લાખિયાએ દિગ્દર્શન કર્યું છે.
ફિલ્મનું ટીઝર 27 ડિસેમ્બરેસલમાન ખાનના જન્મદિવસે રિલીઝ થયું હતું.
ઉલ્લેખનીય છે કે મે 2020માં પૂર્વીય લદ્દાખમાં પેંગોંગ ત્સો સરોવરના ઉત્તર કાંઠે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.
બંને પક્ષના ડઝનબંધ સૈનિકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ 15 જૂને બંને દેશોના સૈનિકો વચ્ચે ગાલવાન ખીણમાં ફરી ઘર્ષણ થયું હતું.
ખાલિદા ઝિયાના અવસાનની બાંગ્લાદેશની ચૂંટણની તારીખો પર શું અસર થશે?
ચૂંટણી કમિશનર અબ્દુર રહમાનેલ મસૂદે કહ્યું છે કે બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના અવસાનથી ચૂંટણીના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં થાય. બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાશે.
અબ્દુર રહમાનેલ મસૂદે મંગળવારે અગરગાંવ ચૂંટણીગૃહમાં પત્રકારોને આ વાત જણાવી હતી.
ચૂંટણી કમિશનરે કહ્યું, "જે બેઠકો પર તેમણે ઉમેદવારીપત્રો ભર્યા હતા તે બધી બેઠકો તે પક્ષના વૈકલ્પિક ઉમેદવારોને ફાળવાઈ છે. આથી, આ મામલો તે પ્રમાણે ઉકેલાશે."
રહમાનેલ મસૂદે ઉમેર્યું, "આ કારણસર જે બેઠકો પર ખાલિદા ઝિયાએ ઉમેદવારીપત્રો ભર્યા હતા તે બેઠકો પર મતદાનમાં કોઈ ફેરફાર થશે નહીં."
બીબીસી બાંગ્લા અનુસાર, ખાલિદા ઝિયાએ ત્રણ બેઠક (બોગરા, ફેની અને દિનાજપુર) માટે ઉમેદવારીપત્રો ભર્યા હતા.
સોમવારે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો, ખાલિદા ઝિયાની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તે બેઠકો માટે ઉમેદવારીપત્રો જમા કરાવ્યા હતા.
બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાનું મંગળવારે 80 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન