મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવરબ્રિજ પડ્યો, સાતને ઈજા

પ્રકાશિત

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવેસ્ટેશન પરનો એક ફૂટઓવરબ્રિજ તૂટી પડ્યો હોવાની દુર્ઘટના ઘટી છે. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બલ્લારશાહ રેલવેસ્ટેશન પરના એક અધિકારીએ બીબીસીને ફોન પર જણાવ્યું હતું કે આ ઘટનામાં 13 મુસાફરો ફુટઓવરબ્રિજથી પાટા પર ખાબક્યા હતા અને એમાંથી સાત લોકોને ઈજા પહોંચી છે.

રેલવે પ્રોટેક્શન ફૉર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર છ ઈજાગ્રસ્તોને ચંદ્રપુર સ્ટીલ હૉસ્પિટલ લઈ જવાયા છે. આ દુર્ઘટના રવિવાર સાંજે 4:45 વાગ્યે ઘટી હતી.

જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે મુસાફરો પ્લૅટફૉર્મ નંબર 1થી 4 તરફ જઈ રહ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ગિનિસ બુકમાં સમાવેશ

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં સમાવેશ પામ્યું છે.

બીસીસીઆઈ અનુસાર 29 મે 2022ના રોજ આઈપીએલની ફાઇનલ મૅચને 1,01,566 લોકોએ સ્ટેડિયમમાં જોઈ હતી.

આ કોઈપણ ટી20 મૅચમાં સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેનારા પ્રેક્ષકોમાં સૌથી મોટી સંખ્યા છે.

એક ટ્વીટમાં બીસીસીઆઈએ જાણકારી આપી છે કે, "ભારને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, આ દરેક માટે ગર્વની ક્ષણ છે. "

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે પણ આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના મોટેરા સ્ટેડિયમનું પુનઃ નિર્માણ કરીને તેને 2021ના ફેબ્રુઆરીમાં ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

હવે આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.

15મી આઈપીએલની ફાઇનલ મૅચ આ સ્ટેડિયમમાં રમાઈ હતી.

1982માં નિર્માણ પામેલા આ સ્ટેડિયમની અગાઉની પ્રેક્ષક ક્ષમતા 49 હજાર હતી. 2021 બાદ આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 10 આંતરરાષ્ટ્રીય મૅચો રમાઈ ચૂકી છે. જેમાં ઇંગ્લૅન્ડ સામે રમવામાં આવેલી બે ટેસ્ટ મૅચોનો પણ સમાવેશ થાય છે.

2023માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ભારતમાં રમાશે. એ વર્લ્ડકપની મૅચો આ સ્ટેડિયમમાં પણ રમાશે.

'...તો પાકિસ્તાન ભારતમાં રમવા નહીં આવે' એવા રમીઝ રાઝાએ આપેલા નિવેદનનો અનુરાગ ઠાકુરે શો જવાબ આપ્યો?

ભારતના ખેલમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ભારત ખેલજગતમાં બહુ મોટી શક્તિ બની ગયું છે અને વિશ્વનો કોઈ દેશ એને નજરઅંદાજ કરી શકે એમ નથી.

દિલ્હીમાં યોજાઈ રહેલી એમસીડીની ચૂંટણીના પ્રચાર દરમિયાન પુછાયેલા એક સવાલના જવાબમાં તેમણે કહ્યું, "હું કહીશ યોગ્ય સમયની રાહ જુઓ. ભારત ખેલજગતમાં એક બહુ મોટી શક્તિ છે.ભારતને આજે કદાચ વિશ્વનો કોઈ પણ દેશ નજરઅંદાજ ના કરી શકે."

માનવામાં આવી રહ્યું છે કે ખેલમંત્રીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખના નિવેદન પર આ પ્રતિક્રિયા આપી હતી.

આ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ શુક્રવારે બીસીસીઆઈના સચિવ જય શાહના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં યોજાઈ રહેલા એશિયા કપમાં ભારત સામેલ નહીં થાય તો વર્ષ 2023માં ભારતમાં થનારા વિશ્વકપમાં પાકિસ્તાન ભાગ નહીં લે.

શું છે સમગ્ર મામલો?

આ મામલાની શરૂઆત ગત મહિને થઈ હતી. એ વખતે બીસીસીઆઈના સચિવ જય શાહે 2023માં યોજાનારા એશિયા કપ માટે ભારતીય ટીમના પાકિસ્તાનમાં જવા અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. એમણે આ ટુર્નામેન્ટનું આયોજન કોઈ બીજી જગ્યાએ કરવું જોઈએ એવી પણ વાત કરી હતી.

એ બાદ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાઝાએ 'ઉર્દૂ ન્યૂઝ'ને શુક્રવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ નિવેદન અંગે જવાબ આપતાં કહ્યું હતું, "જો આગામી વર્ષે ભારતમાં યોજાનારા ઓડીઆઈ વિશ્વકપમાં પાકિસ્તાન નહીં રમે તો એને કોણ જોશે? અમારું વલણ સ્પષ્ટ છે, જો ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન આવશે તો જ પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતમાં વિશ્વકપ માટે રમવા આવશે. અમે એક ઍગ્રેસિવ રસ્તો અપનાવીશું. અમારી ટીમ આ વખતે ફૉર્મમાં છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું, "મેં હંમેશાં કહ્યું છે કે અમારે પાકિસ્તાન ક્રિકેટના અર્થતંત્રમાં સુધારો કરવાની જરૂર છે અને આવું ત્યારે જ થઈ શકે જ્યારે અમે સારું પ્રદર્શન કરીએ. 2021માં ટી20 વર્લ્ડકપમાં અમે ભારતને હરાવ્યું હતું. એશિયા કપમાં અમે ભારતને હરાવ્યું. એક વર્ષમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક અબજ ડૉલરના અર્થતંત્રવાળી ટીમને બરબાદ કરી નાખી."