ગૌતમ ગંભીર બનશે ટીમ ઇન્ડિયાના નવા કોચ, જય શાહે એલાન કરતાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર જાણકારી આપી છે કે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બનશે.
તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું કે આધુનિક ક્રિકેટ ઝડપથી બદલાઈ રહ્યું છેે અને ગૌતમ ગંભીરે આ બદલાતા લૅન્ડસ્કેપને નજીકથી જોયું છે. સંપૂર્ણ કૅરિયરમાં મુશ્કેલીઓને સહેવા અને સારું પ્રદર્શન કર્યા બાદ મને આશા છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે આદર્શ વ્યક્તિ છે.
જય શાહે કહ્યું કે ટીમ ઇન્ડિયા માટે તેમનો અનુભવ, સ્પષ્ટ દૃષ્ટિકોણ તેમને આ રોમાંચક ભૂમિકા માટે ઉપયુક્ત ઉમેદવાર બનાવે છે. બીસીસીઆઈ તેમને આ નવી યાત્રા માટે પૂર્ણ સમર્થન આપે છે.
મોદીને રશિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું, શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા અને ઑસ્ટ્રિયાની ત્રણ દિવસની મુલાકાત પર ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્રેમલિનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન, ઑર્ડર ઑફ સેન્ટ ઍન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "હું રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ સેન્ટ ઍન્ડ્ર્યુ ધ એપોસ્ટલ મેળવીને ગૌરવનો અનુભવ કરી રહ્યો છું. હું આ દરેક ભારતીયને સમર્પિત કરું છું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઑર્ડર ઑફ સેન્ડ ઍન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આ માત્ર મારું સન્માન નથી. આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયાની સદીઓ જૂની ગાઢ મિત્રતા અને પરસ્પર વિશ્વાસનું સન્માન છે."
પોતાના સંબોધનમાં વડા પ્રધાને કહ્યું, ''મહામહિમ છેલ્લા લગભગ દોઢ દાયકાથી તમારા નેતૃત્વમાં ભારત અને રશિયાના સંબંધ દરેક દિશામાં મજબૂત બન્યા છે. અને દરેક વખતે નવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપણા બંને દેશો વચ્ચે જે રણનીતિક સંબંધનો પાયો હતો તે સમય સાથે વધુ ઊંડો થતો ગયો છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આજે પણ અમે બધા ક્ષેત્રોમાં પોતાના સહયોગને મજબૂત કરતા નવા અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. અમારા સંબંધ માત્ર બંને દેશો માટે જ નહીં પણ સમગ્ર દુનિયા માટે મહત્ત્વના છે."
તેમણે વધુમાં કહ્યું, ''વૈશ્વિક વાતાવરણમાં ભારત અને રશિયાની પાર્ટનરશિપ વધુ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. આપણને વિશ્વાસ છે કે વૈશ્વિક સ્થિરતા અને શાંતિ માટે સતત કોશિશ કરતા રહેવું જોઈએ.''
મૉસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શું વાતચીત થઈ

ઇમેજ સ્રોત, FB/MODI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રશિયાની બે દિવસ મુલાકાત પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોતાના હેન્ડલ પર આ મુલાકાતની કેટલીક તસવીર શૅર કરી છે.
આ તસવીરો પર પીએમ મોદીએ લખ્યું છે, "નોવો-ઓગારિયોવોમાં રાષ્ટ્રપતિ પુતિનની મેજબાની માટે આભાર. મંગળવારે પણ અમારી વાતચીતની ઇંતિજારી છે, જે નિશ્ચિત રીતે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થશે."
આ દરમિયાન રશિયાના સરકારી મીડિયા 'સ્પુતનિકે' બન્ને નેતાઓ વચ્ચેની વાતચીતનો વીડિયો જાહેર કર્યો છે.
આ મુલાકાત દરમિયાન પુતિને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યાં અને કહ્યું, "મને લાગે છે કે આ કોઈ સંજેગ નથી. સરકારના વડા તરીકે તમારા કેટલાંય વર્ષનો કામનું આ પરિણામ છે. તમારી પાસે તમારા વિચાર છે અને તમે એક ઊર્જાવાન વ્યક્તિ છો. તમને ખબર છે કે ભારત અને ભારતના લોકોનાં હિતમાં કેવાં પરિણામ હાંસલ કરી શકાય. આર્થિક મોરચા પર ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનવા માટે આત્મવિશ્વાસથી ભરેલું છે. અને હવે તે વસતિના હિસાબે વિશ્વનો સૌથી મોટો દેશ છે."

જમ્મુ-કાશ્મીર : કઠુઆમાં પાંચ ભારતીય સૈનિકોનાં મૃત્યુ પર રાજનાથસિંહે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ભારતીય સૈનિકો પર થયેલા ચરમપંથી હુમલા પર સંરક્ષણમંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર રાજનાથસિંહે લખ્યું "કઠુઆના બદનોટામાં એક આતંકવાદી હુમલામાં આપણા પાંચ બહાદૂર સૈનિકોનાં મૃત્યુ પર મને ભારે દુઃખ છે."
"આ મુશ્કેલ ક્ષણે દેશ એમના પરિવાર સાથે મજબૂતીથી ઊભો છે. આતંકવાદવિરોધી અભિયાન ચલાવાઈ રહ્યું છે અને આપણા સૈનિકો વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે."
નોંધનીય છે કે સોમવારે જમ્મુ-કાશ્મરીના કઠુઆ જિલ્લામાં ભારતીય સૈન્ય પર હુમલો થયો હતો. જેમાં પાંચ સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં. એ બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવાઈ રહ્યું છે.
યુપી : લિન્ચિંગના મામલે બે પત્રકારો વિરુદ્ધ ફરિયાદ

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિની કથિત લિન્ચિંગના કેસમાં બે પત્રકારો વિરુદ્ધ કેસ નોંધાવા બદલ પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે,
"એ જાણીને દુઃખ થયું કે યુપી પોલીસે કથિત લિન્ચિંગને સોશિયલ મીડિયા પર રિપોર્ટ કરવા બદલ પત્રકાર ઝાકીરઅલી ત્યાગી અને વસીમ અકરમ ત્યાગી પર ભારતીય ન્યાય સંહિતા(બીએનએસ)ની કલમ 196 (ધર્મ, જાતિ સમૂહના આધાર પર વૈમનસ્યતા ફેલાવવા) અને 535 (જાહેર અશાંતિ ફેલાવવી) અંતર્ગત એફઆઈઆર નોંધી છે."
નિવેદન અનુસાર, 'જાહેર રૂપે ઉપલબ્ધ સૂચનાઓનું રિપોર્ટિંગ, પછી તે ગમે તે માધ્યમ થકી કરાયું હોય, પ્રામાણિક પત્રકારત્વની શરતો પૂરી કરે છે. બીએનએસનો મને ફાવે તેમ ઉપયોગ પત્રકારોને ધમકાવવા સમાન છે. એ બંધારણની કલમ 19(1)(એ)નું ઉલ્લંઘન કરે છે.'
નિવેદનમાં બે પત્રકારો વિરુદ્ધ એફઆઈઆરને રદ કરવાની પણ માગ કરાઈ છે.
સ્થાનિક મીડિયાના સમાચારો અનુસાર 4 જુલાઈની રાતે ફિરોઝ કુરૈશીના મૃત્યુના કેસમાં પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી, જેમાં બે પત્રકારો પણ સામેલ છે.
પોલીસનું કહેવું છે કે 'આ આંતરિક વિખવાદ હતો. ફિરોઝ નશાની હાલતમાં રાજેન્દ્રના ઘરે ઘૂસી ગયા હતા અને બાદમાં બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો.' પત્રકાર ઝાકીરઅલી ત્યાગી અને વસીમ અકરમ ત્યાગીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.






















