ગુજરાતીઓને હસાવનારા લેખક રતિલાલ બોરીસાગર સાથે ખાસ વાતચીત
રતિલાલ બોરીસાગરની હાસ્ય લેખક તરીકેની નોંધ તો તેમના પ્રથમ પુસ્તક 'મરક મરક'થી જ લેવાઈ હતી.
ગુજરાતના પ્રતિષ્ઠિત હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ એ પુસ્તક વિશે કહ્યું હતું કે, "મરક મરક' મેં બહુ રસપૂર્વક – આનંદપૂર્વક વાંચ્યુ છે. કેટલુંક લખાણ તો જાણે મેં જ લખ્યું એવું લાગ્યું છે."
ગુજરાતીમાં વિવિધ હાસ્યલેખકો થઈ ગયા. તેમાં જ્યોતિન્દ્ર દવેનું નામ ખૂબ આદરથી લેવાય છે. હાસ્યની તેમની એક આગવી શૈલી હતી.
'સળી નહીં સાવરણી' જેવા હાસ્યલેખોના પુસ્તક સહિતનાં અન્ય પુસ્તકોના એવા બીરેન કોઠારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "રતિલાલભાઈ જ્યોતિન્દ્ર દવેના ઘરાનાના હાસ્યકાર હતા. એ ઘરાનું એવું છે કે તેમાં વિષયોની કદી ખોટ ન પડે. તેઓ સાવ સામાન્ય લાગતી બાબતમાંથી હાસ્ય સર્જી શકે અને તે હાસ્ય નિર્દંશ હોય. રતિલાલભાઈના હાસ્યમાં પણ કોઈ કડવાશ કે દંશ જોવા ન મળે. બોરીસગરનું વ્યક્તિત્વ પણ નિર્દંશ છે. તે જ બાબત તેમના હાસ્યમાં પણ જોઈ શકાય છે. પોતાની જાત પર હસવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હોય છે, જે તેમનામાં હતી."
તડકો, પાકીટ, પ્રામાણિકતા જેવા વિષય પર રતિલાલ બોરીસાગરે હાસ્યનિબંધો લખ્યા છે. શરીરમાં લોહીવાહક નસોને ચેક કરવા માટેની ડૉક્ટરી તપાસ – સારવાર માટે ઍન્જિયોગ્રાફી કરવામાં આવે છે. રતિલાલ બોરીસાગરે ઍન્જિયોગ્રાફીનો પોતાનો અનુભવ 'ઍન્જૉયગ્રાફી' નામના હાસ્યના પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો હતો.
મન્નુ શેખચલ્લીના નામથી જાણીતા હાસ્યકાર લલીત લાડે એ પુસ્તક વિશે વાત કરતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ડૉક્ટર આવીને તપાસે અને નર્સ જે પ્રકારે શુશ્રુષા કરે તેમાં હૉસ્પિટલના બિછાના પરથી તેઓ જે હાસ્ય લઈને આવ્યા એ રસપ્રદ છે. મને રતિલાલભાઈનું તે શ્રેષ્ઠ સર્જન લાગે છે. હાસ્યનિબંધોમાં જે ક્લાસિકલ ગણાય તેવા નિબંધો તેમણે આપ્યા છે. નિબંધ સ્વરૂપમાં શબ્દચાતુર્યમાં તેમનું પ્રભુત્વ છે."

ઇમેજ સ્રોત, Dr.Ashwinkumar
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



