મણિપુર જોઈ રહ્યું છે શાંતિની રાહ : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંઘચાલક મોહન ભાગવત

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંઘચાલક મોહન ભાગવત
પ્રકાશિત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક (આરએસએસ) મોહન ભાગવતે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે.

તેમણે કહ્યું, “પહેલા દસ વર્ષ ત્યાં શાંતિ હતી. એવું લાગ્યું કે પુરાણા ગન કલ્ચરનો અંત આવ્યો છે. તે ફરીથી પાછું આવ્યું કે તેને લાવવામાં આવ્યું, તેની આગ હજી સુધી સળગી રહી છે અને લોકોને ત્રાહીમામ કરી રહી છે. તેના પર કોણ ધ્યાન આપશે? તેને પ્રાથમિકતા આપીને તેના વિશે વિચાર કરવો એક કર્તવ્ય છે.”

મોહન ભાગવત નાગપુરમાં આરએસએસના એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા.

વિપક્ષ મણિપુરમાં થઈ રહેલી હિંસાની ઘટનાઓ બાબતે સરકાર પર ગયા વર્ષથી જ નિશાન સાધી રહ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ રાજ્યમાં હિંસાના એક વર્ષ પછી પણ વડા પ્રધાને રાજ્યની મુલાકાત લીધી નથી તે બાબતે સવાલો કરી રહી છે.

મણિપુર સિવાય મોહન ભાગવતે ચૂંટણી દરમિયાન સ્પર્ધા પર ટિપ્પણી કરતા કહ્યું કે પ્રચાર દરમિયાન એક મર્યાદાનું પાલન થવું જોઈએ.

તેમણે કહ્યું, “અસત્યનો ઉપયોગ ન કરવો જોઈએ. ચૂંટાયેલા લોકો દેશની સંસદમાં જશે અને સહમતિ બનાવીને દેશ ચલાવશે. આપણે ત્યાં સહમતિ બનાવીને ચાલવાની પરંપરા છે.”

તેમણે ઉમેર્યું કે પ્રચાર દરમિયાન જે પ્રકારની વાતો થઈ, ઝાટકણી કાઢવામાં આવી હતી. જે પ્રકારના પ્રચારને કારણે સમાજમાં વિખવાદ વધશે, બે જૂથો વિભાજિત થશે અને એકબીજા પ્રત્યે શંકા પેદા થશે એ બાબતનું પણ ધ્યાન રાખવામા ન આવ્યું.

સુરતના પૂર્વ જિલ્લા કલેક્ટર આયુષ ઓક પર જમીનના સોદામાં કથિતરૂપે બેદરકારીના આરોપો લાગતા કરાયા સસ્પેન્ડ

સુરતના પૂર્વ જિલ્લા ક્લેક્ટર આયુષ ઓક

ઇમેજ સ્રોત, valsad.nic.in/dm-profile

ઇમેજ કૅપ્શન, સુરતના પૂર્વ જિલ્લા ક્લેક્ટર આયુષ ઓક

ગુજરાત સરકારે સોમવારે આઈએએસ ઑફિસર આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, હાલમાં વલસાડના કલેક્ટરપદે રહેલા આયુષ ઓક જે સમયે સુરતનાં જિલ્લા ક્લેક્ટર હતા તે સમયે એક સરકારી માલિકીની જમીનના સોદામાં બેદરકારીને કારણે સરકારને કરોડોનું નુકસાન થવાનો આરોપ છે.

અહેવાલો પ્રમાણે, ઓકે કથિતરૂપે એક ઑર્ડર પાસ કર્યો હતો જેમાં રૂ. 2,000 કરોડની સરકારી જમીન એક વ્યક્તિને નામે કરી દેવામા આવી હતી.

ઓક હાલમાં વલસાડમાં જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ઑર્ડર પ્રમાણે, વલસાડના ક્લેકટર આયુષ ઓક પર શિસ્તભંગને કારણે કાર્યવાહી કરવામા આવી છે.

તેમના પર આરોપ છે કે તેઓ જ્યારે સુરતના જિલ્લા કલેક્ટર હતા તે દરમિયાન મહેસૂલી જમીનનાં સોદા મામલે ગંભીર બેદરકારીના કારણે સરકારી તિજોરીને ભારે નાણાકીય નુકસાન થયું છે.

પૂર્વ આફ્રિકાના દેશ મલાવીના ઉપ-રાષ્ટ્રપતિ સહિત દસ લોકોને લઈ જતું વિમાન ગાયબ

મલાવીના ઉપ-રાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, મલાવીના ઉપ-રાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા

પૂર્વ આફ્રિકાના દેશ મલાવીના સરકારી અધિકારીઓનુ કહેવું છે કે ઉપ-રાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા જે વિમાનમાં સવારી કરી રહ્યા હતા તે વિમાન સાથે સંપર્ક તુટી ગયો છે અને વિમાનના લોકેશનની જાણકારી નથી મળી રહી.

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામા આવ્યું છે કે મલાવી ડિફેન્સ ફોર્સનું વિમાન ઉડાણ ભર્યા પછી રડારની બહાર હતું.

મલાવીના પાટનગર લિલોગ્વેથી વિમાને સોમવારે સવારે ઉડાણ ભરી હતી. આ વિમાનમાં ઉપ-રાષ્ટ્રપતિ ઉપરાંત અન્ય નવ લોકો સવાર હતા.

અહેવાલો પ્રમાણે, વિમાન પોતાના ગંતવ્ય મ્ઝુઝુ પર લૅન્ડ કરવામા અસફળ રહ્યું હતું. મ્ઝુઝુ મલાવીના ઉત્તરમાં સ્થિત છે.