કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, કહ્યું - 'ઈડીએ આપ્યા પુરાવા'

અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

કથિત શરાબનીતિ કૌભાંડમાં ઇડીએ કરેલી ધરપકડને પડકારતા દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

લાઇવ લૉના અહેવાલ પ્રમાણે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ આ ધરપકડને કાયદેસર ગણાવતા કહ્યું હતું કે ઇડી પાસે ધરપકડ કરવા માટે પૂરતા પુરાવાઓ હતા તથા સાક્ષીઓનાં નિવેદનો પણ હતાં. આમ આદમી પાર્ટીના પોતાના જ ઉમેદવાર એવું કહી રહ્યા હતા કે કેજરીવાલને ગોવા ચૂંટણી માટે પૈસા મળ્યા હતા.

કેજરીવાલની ચૂંટણીટાણે ધરપકડ કેમ કરવામાં આવી તે અંગે કોર્ટે કહ્યું હતું કે, "તેમની મની લૉન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટે તેમની ધરપકડને કાયદા અનુસાર ધ્યાનમાં લઈને ચકાસવી પડે, ચૂંટણીના સમયને જોઈને નહીં."

કોર્ટે બે દિવસ અગાઉ થયેલી સુનાવણી પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આજે સંભળાવ્યો હતો.

હાલમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. પહેલી એપ્રિલના રોજ તેમની કસ્ટડીને 15 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી હતી.

મહારાષ્ટ્ર: ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી ફાઇનલ, કૉંગ્રેસને કેટલી બેઠકો મળી?

મહારાષ્ટ્ર ચૂંટણી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મહિનાઓની ચર્ચા પછી મહાવિકાસ અઘાડી (એમવીએ) એ આજે 2024ની લોકસભા ચૂંટણીઓ માટે મહારાષ્ટ્રમાં 48 સીટો માટે ગઠબંધનનું એલાન કર્યું છે.

સીટ શેરિંગ ફૉર્મ્યુલા અનુસાર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 21 બેઠકો પર અને એનસીપી (શરદ પવાર) 10 બેઠકો પર અને કૉંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે.

વહેંચણીના ફૉર્મ્યુલાની જાહેરાત શરદ પવાર, નાના પટોળે અને ઉદ્ધવ ઠાકરેએ સાથે મળીને કરી હતી.

રાજ્યમાં 19 એપ્રિલથી 20મે વચ્ચે પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી થશે.

આ ચૂંટણીમાં તેમની સામે ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી(અજિત પવાર) જૂથનું ગઠબંધન છે. હજુ સુધી ભાજપના નેતૃત્ત્વવાળા ગઠબંધને બેઠકોની વહેંચણી જાહેર કરી નથી પરંતુ ઘણી બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.