આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફૅકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ, વિસ્ફોટ કેવી રીતે થયો?

આંધ્ર પ્રદેશમાં આગની ઘટના

ઇમેજ સ્રોત, UGC

    • લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
    • પદ, બીબીસી તેલુગુ માટે, વિશાખાપટ્ટનમથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી છે.

આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે. દુર્ઘટના જેટલી મોટી છે તે જોતાં મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગૃહમંત્રી અનિતાએ કહ્યું કે શરૂઆતમાં રિએક્ટર વિસ્ફોટ આ દુર્ઘટનાનું કારણ માનવામાં આવતો હતો, પણ દુર્ઘટના સોલવેન્ટ લિકેજને કારણે થઈ છે.

આ ફાર્મા કંપની અચ્યુતાપુરમ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનસ્થિત છે.

બપોરે ભોજનના સમયે એક જોરદાર ધડાકો થયો અને ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો.

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થયો
ઇમેજ કૅપ્શન, આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થયો

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લી જિલ્લાનાં કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. મુખ્ય મંત્રીએ ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર અપાવવાના આદેશ આપ્યા છે.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે જો જરૂર પડશે તો ઈજાગ્રસ્તોની કાઢવા ઍર ઍમ્બુલન્સનો ઉપયોગ કરાશે. મુખ્ય મંત્રી પણ દુર્ઘટનાસ્થળ પર ગુરુવારે પહોંચશે.

અનાકાપલ્લી જિલ્લામાં લગભગ દસ હજાર એકરમાં વિશેષ આર્થિક ક્ષેત્ર ફેલાયો છે. આમાં ત્રણ હજાર ફાર્મા ફેકટરીઓ માટે છે.

આ વિસ્તારને અચ્યુતાપુરમ ફાર્મા એસઈએઝ કહેવાય છે.

અહીં ફેકટરીઓમાં કેમિકલ એટલે રસાયણોના નિર્માણ અને ભંડારણ કરવામાં આવે છે. અહીં આગની ઘટનાઓ બનતી રહે છે.

એનડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળ પર પહોંચી

એનડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળ પર પહોંચી છે

એનડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

જોકે હજુ સુધી દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સ્પષ્ટ નથી કારણ કે અધિકારીઓએ કોઈ આધિકારિક માહિતી નથી આપી. પરંતુ સ્થાનિક હૉસ્પિટલમાં બે મૃતદેહો મળ્યા છે અને ફેકટરીના કર્મચારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળથી બે મૃતદેહો ઍમ્બ્યુલેન્સમાં લઈ જવાયા છે.

અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એસઈઝેડમાં મોટા ભાગની ફાર્મા કંપનીઓ છે. આ એસઈઝેડ ક્ષેત્રમાં કુલ 208 કંપનીઓ છે પણ આટલી બધી કંપનીઓ હોવા છતાં ત્યાં માત્ર ફાયર બ્રિગેડની એક જ ગાડી હતી.

આને કારણે આસપાસનાં ફાયર સ્ટેશનોથી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેટની ગાડીઓ બોલાવવામાં આવી છે.

ગત વર્ષે અહીંયાની કંપની સાહિત્ય સૉલ્વેન્ટ્સમાં ચાર લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

ત્યાં અનાકાપલ્લીના એડિશનલ એસપી દેવ પ્રસાદે કહ્યું કે ત્રણ લોકોનાં મોત થયાં છે અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દેવ પ્રસાદે કહ્યું કે ઈજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ઘટનાસ્થળ પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

ધડાકા પાછળનું કારણ શું છે?

અનાકાપલ્લી જિલ્લાના કલેક્ટર વિજયા કૃષ્ણને કહ્યું કે આ ઘટના ઇસિંશિયા ફાર્મા પ્લાન્ટમાં બપોરે બે વાગ્યાની આસપાસ બની
ઇમેજ કૅપ્શન, અનાકાપલ્લી જિલ્લાના કલેક્ટર વિજયા કૃષ્ણને કહ્યું કે આ ઘટના ઇસિંશિયા ફાર્મા પ્લાન્ટમાં બપોરે બે વાગ્યાની આસપાસ બની

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અનાકાપલ્લી જિલ્લાના કલેક્ટર વિજયા કૃષ્ણને કહ્યું કે આ ઘટના ઇસિંશિયા ફાર્મા પ્લાન્ટમાં બપોરે બે વાગ્યાની આસપાસ બની.

કૃષ્ણને કહ્યું, "અમે ચાર કર્મચારીઓને ગુમાવ્યા છે."

જોકે, તેમણે આ દુર્ઘટનાનું કારણ રિએક્ટરમાં ધડાકો નથી. પરંતુ અધિકારીઓને શંકા છે કે આ દુર્ઘટના વીજળી સાથે સંકળાયેલી આગને કારણે બની છે.

તેમણે કહ્યું કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 30 લોકોને અનાકાપલ્લી અને અચ્યુતાપુરમની અલગ-અલગ હૉસ્પિટલોમાં લઈ જવાયા છે.

કૃષ્ણને કહ્યું કે દુર્ઘટનામાં ફસાયેલા 13 લોકોને બચાવવામાં પણ આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.