અમેરિકામાં ઇમિગ્રેશન એજન્ટની ગોળીથી મરનાર મહિલાના સમર્થનમાં લોકો રસ્તા પર ઊતર્યા – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાના મિનિયાપોલિસમાં 37 વર્ષીય રેની નિકોલ ગુડને અમેરિકન ઇમિગ્રેશન એજન્ટ દ્વારા ગોળી મારીને હત્યા કર્યા પછી વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.

ઘટનાના વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે આઇસીઇ એજન્ટ રસ્તાની વચ્ચે એક કાર પાસે જાય છે. કાર જેવી આગળ વધવાની કોશિશ કરે છે કે એક એજન્ટ ડ્રાઇવર તરફ પોતાની બંદૂક તાકે છે અને પછી ગોળીબારનો અવાજ સંભળાય છે.

અમેરિકન હોમલેન્ડ સિક્યૉરિટી મંત્રી ક્રિસ્ટી નોએમે કહ્યું કે રેની નિકોલ ગુડ એજન્ટોનો પીછો કરતી હતી અને તેમના કામમાં વિક્ષેપ કરતી હતી.

તેમણે દાવો કર્યો કે ગુડે પોતાની કારનો હથિયારની જેમ ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે મિનિયાપોલિસ સિટી કાઉન્સિલનું કહેવું છે કે ગોળી વાગી તે વખતે ગુડ પોતાના પડોશીઓની મદદ કરતી હતી.

કાઉન્સિલ મુજબ બુધવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10.25 વાગ્યે તેમને ગોળી મારવામાં આવી, જેમાં તેમનું મોત થયું હતું.

વ્હાઈટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રેશન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે જેમાં મિનેસોટા રાજ્યના મિનિયાપોલીસમાં સેંકડો આઇસીઇ એજન્ટો તહેનાત કરવામાં આવ્યા છે.

શ્રીલંકામાં ફરી ભારે વરસાદની ચેતવણી જારી, કયા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ છે?

શ્રીલંકાના હવામાન વિભાગે જણાવ્યું હતું કે શ્રીલંકા નજીક બંગાળની ખાડીમાં બનેલું હવાનું દબાણ પોટ્ટુવિલ વિસ્તારથી આશરે 490 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.

આગામી 24 કલાક દરમિયાન આ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધીને પૂર્વ કિનારા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ જણાવે છે કે આગામી 12 કલાક દરમિયાન તે વધુ મજબૂત બનવાની ધારણા છે.

એવું જાણવા મળ્યું છે કે મન્નારથી ગાલે સુધીના કાંકેસંથુરાઈ, ત્રિંકોમાલી, પોટ્ટુવિલ અને હંબનટોટા થઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે રાત્રે દેશની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યારેક ભારે પવન સહીત વરસાદ પડી શકે છે.

દરિયાકાંઠે પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાની ધારણા છે. દરિયાનાં મોજાં 2.5 થી 3.5 મીટર સુધી વધવાની અને દરિયો તોફાની બનશે ધારણા છે.

માછીમારોને પણ આ સમયગાળા દરમિયાન દરિયો ખેડવાનું જોખમ ન લેવાની સલાહ આપવામાં આવી છે.

પૂરની ચેતવણી

શ્રીલંગાના સિંચાઈ વિભાગે શ્રીલંકાના વિવિધ ભાગોમાં પૂરના જોખમની ચેતવણી જારી કરી છે.

તે મુજબ, ગઈકાલે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે અમ્પારા, બટ્ટીકોલોઆ, પોલોન્નારુવા, અનુરાધાપુરા, ત્રિંકોમાલી, વાવુનિયા અને જાફના જિલ્લાઓમાં પૂરનું જોખમ છે.

સિંચાઈ વિભાગ જણાવે છે કે, હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણી અનુસાર, ઉવા, પૂર્વીય, મધ્ય, ઉત્તર મધ્ય અને ઉત્તરીય પ્રાંતોમાં ભારે વરસાદની શક્યતાને કારણે પૂરનું જોખમ છે.

ભારતમાં રમવાના ઇન્કાર વચ્ચે બાંગ્લાદેશે પાકિસ્તાનનો ઉલ્લેખ કેમ કર્યો?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) સાથે બેઠક બાદ ખેલ સલાહકાર ડૉક્ટર આસિફ નજરુલે બુધવારે કહ્યું કે બાંગ્લાદેશ વિશ્વકપમાં રમવા ઇચ્છે છે, પરંતુ દેશની પ્રતિષ્ઠાને દાવ પર લગાવીને રમવા નથી માંગતું.

બીબીસી બાંગ્લા અનુસાર, તેમણે એ પણ ચેતવણી આપી કે ક્રિકેટરોની સુરક્ષા તથા બાંગ્લાદેશની ગરિમા પર કોઈ સમજૂતિ નહીં કરવામાં આવે.

પત્રકારો સાથેની વાતચીતમાં આસિફ નજરુલે કહ્યું, "આઈસીસીના પત્રને વાંચીને એવું લાગે છે કે ભારત સુરક્ષા જોખમોને ગંભીરતાથી સમજી નથી રહ્યું. ભારતમાં રમવાનું કોઈ સુરક્ષિત વાતાવરણ નથી."

તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અન્ય યજમાન દેશ શ્રીલંકામાં રમવા ઇચ્છે છે.

બીસીબી અધ્યક્ષ અમીનુલ ઇસ્લામે પત્રકારોને કહ્યું, "અમે યોગ્ય કારણોને આગળ ધરીને વાત કરીએ છીએ."

જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જો આઈસીસી તરફથી ભારતમાં જ રમવાનું કહેવાય તો શું? જવાબમાં અમીનુલ ઇસ્લામે કહ્યું, "આઈસીસી માની જશે."

તેમણે કહ્યું કે હાઇબ્રિડ વિશ્વકપ આયોજન કરવાનું મુખ્ય કારણ સુરક્ષા છે.

અમીનુલ ઇસ્લામે કહ્યું, "જ્યારે ચૅમ્પિયન્સ ટ્રૉફી થઈ હતી ત્યારે ભારત પાકિસ્તાન નહોતું ગયું. કેટલાંક વિશ્વકપ આયોજનોમાં પાકિસ્તાન પણ ભારત નથી આવ્યું. તેથી અમે યોગ્ય જવાબની આશા રાખી રહ્યા છે."

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તે મીડિયા રિપોર્ટોનું ખંડન કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડને આ મામલે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં ભાજપ-કૉંગ્રેસે એક નગરપરિષદમાં ગઠબંધન કરી લેતાં વિવાદ, પછી શું થયું?

મહારાષ્ટ્રના થાણે જિલ્લાની અંબરનાથ નગરપરિષદમાં એક ખૂબ જ રોમાંચક રાજકીય ઘટના સામે આવી છે જ્યાં કૉંગ્રેસ અને એનસીપી (અજીત પવાર જૂથ) ના સમર્થનથી ભાજપના ઉમેદવાર મેયર બન્યાં છે.

થાણે જિલ્લાની અંબરનાથ નગરપરિષદની 59 બેઠકો માટે તમામ પક્ષોએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ સૌથી વધુ 23 બેઠકો જીતી હતી. ત્યારબાદ ભાજપ 16 બેઠકો સાથે બીજા નંબરે રહ્યો હતો. કૉંગ્રેસને 12 બેઠકો તથા અજિત પવારની એનસીપીને ચાર બેઠકો મળી હતી.

બેઠકોની સંખ્યા જોતાં, એવું સ્પષ્ટ લાગતું હતું કે એકનાથ શિંદેની પાર્ટીના ઉમેદવાર મેયર બનશે અથવા તો રાજ્યમાં ગઠબંધનમાં સાથે હોવાથી સામાન્ય રીતે શિંદેનો પક્ષ અને ભાજપ સાથે મળીને મેયર બનાવશે.

જોકે, હકીકતમાં એવું બન્યું કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચે સીધું જોડાણ થઈ ગયું.

અંબરનાથ નગરપરિષદમાં મેયર પદ માટે તેજશ્રી કરંજુલેએ એકનાથ શિંદેના પક્ષ શિવસેનાનાં મનીષા વાલેકરને હરાવી દીધાં.

આ ઘટના પછી કૉંગ્રેસે ભાજપમાં સામેલ થનારા તમામ કૉર્પોરેટરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

બીજી તરફ મુખ્ય મંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે, "કૉંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં ચાલે, આ ગઠબંધન તોડવું જ પડશે. જો કોઈએ સ્થાનિક સ્તરે આવું કર્યું છે તો ખોટું છે. તેની સામે કાર્યવાહી થશે. મેં આદેશ આપ્યા છે કે તેમની સામે કાર્યવાહી થશે."

રશિયા પાસેથી તેલ ખરીદવા માટે અમેરિકાનું નવું બિલ, ભારત પર નિશાન

યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી છે.

તેમનું કહેવું છે કે આ બિલ ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા દબાણ કરવામાં મદદ કરશે.

સેનેટર ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે, "યુક્રેનમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે અને તેના કારણે આવતા અઠવાડિયે અમેરિકી કૉંગ્રેસમાં મતદાન થવાની અપેક્ષા છે."

તેમણે કહ્યું , "આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મારી અનેક મુદ્દાઓ પર ખૂબ જ ફળદાયી મુલાકાત થઈ. તેમણે 'દ્વિદળીય રશિયા પ્રતિબંધ બિલ'ને મંજૂરી આપી છે જેના પર હું સેનેટર બ્લુમૅન્થલ અને અન્ય સાંસદો સાથે ઘણા મહિનાઓથી કામ કરી રહ્યો છું. આ યોગ્ય સમયે લાવવામાં આવેલું બિલ છે. કારણ કે યુક્રેન શાંતિ માટે છૂટછાટો આપી રહ્યું છે, જ્યારે પુતિન ફક્ત વાતો કરી રહ્યા છે અને નિર્દોષ લોકોની હત્યાઓ શરૂ છે."

ગ્રેહામે કહ્યું કે આ બિલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એવા દેશો સામે કાર્યવાહી કરવાનો અધિકાર આપશે જે સસ્તા રશિયન તેલ ખરીદીને રશિયાના યુદ્ધ પ્રયાસોને ભંડોળ પૂરું પાડી રહ્યા છે. તેમણે કહ્યું કે આનાથી ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાનું દબાણ આવશે.

યુએસ સંસદની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ બિલનું નામ 'સેન્ક્શનિંગ ઑફ રશિયા ઍક્ટ 2025' છે.

તેમાં રશિયાથી અમેરિકામાં આયાત થતાં તમામ માલસામાન અને સેવાઓ પર ઓછામાં ઓછા 500 ટકા ટૅરિફ લાદવાની અને રશિયા સાથે જોડાયેલી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કડક પ્રતિબંધો લાદવાની માંગ કરવામાં આવી છે.

અગાઉ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલા ઊંચા ટૅરિફથી ખુશ નથી.

અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટૅરિફ લાદ્યો છે, જેમાંથી 25 ટકા રશિયન તેલ ખરીદવાની 'સજા' રૂપે છે. ટ્રમ્પે હજુ પણ તેનાથી વધુ ટૅરિફ લાદવાની ધમકી આપી છે.

અમેરિકા: આઈસીઈ એજન્ટે એક મહિલાને મારી ગોળી

અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિનિયાપોલિસ શહેરમાં ઇમિગ્રેશન અધિકારીએ એક મહિલાને ગોળી મારી દીધી. જેમાં તેનું મોત થયું હતું.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (ડીએસએસ)નું કહેવું છે કે આ ઘટના એ સમયે થઈ હતી જ્યારે એક 'હિંસક પ્રદર્શકારી' કથિત રીતે ઇમિગ્રેશન અધિકારીને ગાડીથી કચડવાની કોશિશ કરી રહી હતી.

હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે કહ્યું કે અધિકારીએ 'પોતાની રક્ષા માટે ગોળી ચલાવી હતી'.

જોકે, મિનિયાપોલિસના મેયર જૅકબ ફ્રેએ સંઘીય અધિકારીઓના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યો છે અને શહેરમાંથી આઈસીઈ એજન્ટોને હઠાવવાની માંગ કરી છે.

ગોળી લાગ્યા બાદ મૃત પામેલી મહિલાની ઓળખ 37 વર્ષની રેની નિકોલ ગુડ તરીકે થઈ છે. તે અમેરિકન નાગરિક હતી.

આ ઘટના મિનિયાપોલિસમાં ચલાવવામાં આવી રહેલા ઇમિગ્રેશન ઍન્ફોર્સમેન્ટ ઑપરેશન દરમિયાન થઈ હતી. મિનિયોપોલિસ તથા પાસે આવેલા સેન્ટ પૉલમાં બે બજારથી વધારે એજન્ટ તહેનાત કરવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન