You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીસીસીઆઈનો મોટો નિર્ણય, એકસાથે આખી પસંદગી સમિતિની કેમ ‘હકાલપટ્ટી’ કરી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શુક્રવારે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સહિતની આખી સિનિયર નેશનલ સિલેક્શન કમિટીને બરતરફ કરી દીધી છે.
કાઉન્સિલે રાષ્ટ્રીય પસંદગીકારોના પદ માટે અરજીઓ મંગાવવા માટે ટ્વિટર પર જાહેરાત કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર છે.
ટી20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનના થોડા દિવસો બાદ આ નિર્ણય સામે આવ્યો છે. ભારતની ટીમ ઇંગ્લૅન્ડ સામે દસ વિકેટે હારી ગઈ હતી અને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.
ચેતન શર્માના કાર્યકાળ દરમિયાન ભારત ટી-20 વર્લ્ડ કપ 2021માં નૉકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યું હતું અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયું હતું.
સૌથી ટૂંકો કાર્યકાળ
ઇકૉનૉમિક ટાઇમ્સ અનુસાર, સિલેક્શન કમિટિમાં ચાર સભ્યો હતા અને કમિટિને બરતરફ કરાતા આ સાથે ચેતન શર્મા(ઉત્તર ઝોન), હરવિંદર સિંઘ (મધ્ય ઝોન), સુનિલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશીષ મોહંતી (પૂર્વ ઝોન)નો તાજેતરના સમયમાં વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગીકારો તરીકે સૌથી ટૂંકો કાર્યકાળ બની રહ્યો છે. આમાંથી કેટલાકની નિમણૂક 2020 અને કેટલીક 2021માં કરવામાં આવી હતી.
વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગીકારને સામાન્ય રીતે ઍક્સટેન્શનને આધીન ચાર વર્ષનો કાર્યકાળ મળે છે. એબી કુરુવિલાનો કાર્યકાળ સમાપ્ત થયા પછી પશ્ચિમ ઝોનમાંથી કોઈ પસંદગીકાર ન હતા.
મીડિયા અહેવાલ અનુસાર, બીસીસીઆઈ ટી20 ટીમને બદલવાની યોજના બનાવી રહી છે અને ટી20 ટીમને આક્રમક બનાવવા માટે બોર્ડ 2007ની ચૅમ્પિયનશિપ જિતાડનાર મહેન્દ્રસિંહ ધોનીને ફરીથી ટીમમાં સામેલ કરી શકે છે. બોર્ડે ધોનીને ટી20 વર્લ્ડ કપ 2021માં મૅન્ટર તરીકે ટીમ સાથે મોકલ્યા હતા.
ધ ટેલિગ્રાફના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈ એવી ટીમ બનાવવા માંગે છે જે ઈંગ્લૅન્ડની જેમ નીડર ક્રિકેટ રમે. આમાં તે ધોનીની ઍક્સપર્ટ સ્કિલ્સની મદદ લેવાનું વિચારી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્તમાન ટીમમાં મોટા બદલાવના એંધાણ?
નોંધનીય છે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ વર્ષ 2022ના ટી-20 વર્લ્ડકપમાં તાજેતરમાં જ સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી.
ક્રિકેટપ્રેમીઓ સહિત ઘણા ક્રિકેટરના પુરાણા દિગ્ગજો અને રમતના જાણકારો ટીમના પ્રદર્શનને ‘નિરાશાજનક’ ગણાવી રહ્યા હતા.
જ્યારે કેટલાક એવા પણ હતા જેઓ ભારતીય ટીમના સમર્થનમાં આવી ગયા હતા.
આ હાર બાદથી જ તેની જવાબદારી નક્કી કરવા માટેની પ્રયત્ન કરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. 10 નવેમ્બરની આ હાર બાદ રોહિત શર્માની કપ્તાની સામે પણ સવાલ ઊભા થયા હતા.
આ પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નિર્ણયથી ક્રિકેટચાહકો આશ્ચર્યમાં છે.
ઘણાને મોટા બદલાવની અપેક્ષા તો હતી પરંતુ આખેઆખી ટીમ પસંદગી સમિતિની ‘હકાલપટ્ટી’ કરાશે તેવું કોઈએ નહીં વિચાર્યું હોય.
હવે નજીકના ભવિષ્યમાં આ હારના પડઘારૂપે અન્ય બદલાવ થાય કે પદ છિનવાય તો નવાઈ નહીં.