ઇંગ્લૅન્ડ સામે ભારતની 434 રનથી જીત, જયસ્વાલની બેવડી સદી

    • લેેખક, સંજય કિશોર
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી માટે
  • પ્રકાશિત

રાજકોટમાં રમાયેલી મૅચ ભારતે ઇંગ્લૅન્ડને હરાવીને જીતી લીધી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની આ સૌથી મોટી જીત છે. ભારતે ઇંગ્લૅન્ડને 434 રને હરાવ્યું છે.

રાજકોટ ખાતે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતે બીજી ઇનિંગમાં 430 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતે આ સ્કોર ચાર વિકેટ ગુમાવીને બનાવ્યો હતો.

આ સાથે ભારતે ઇંગ્લૅન્ડને બીજી ઇનિંગમાં મૅચ જીતવા માટે 557 રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો.

બીજી ઇનિંગની ખાસિયત હતી યશસ્વી જયસ્વાલની બેટિંગ. જયસ્વાલે બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી છે.

આ સાથે જ તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ટેસ્ટ મૅચમાં એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતના પ્રથમ બૅટ્સમૅન અને ક્રિકેટ રમતા દેશોમાં બીજા ખેલાડી બન્યા છે.

આ અગાઉ પાકિસ્તાનના વસિમ અક્રમે 17 ઑક્ટોબર, 1996ના દિવસે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મૅચમાં એક જ ઇનિંગમાં 12 છગ્ગા ફટકારીને આ વિક્રમ રચ્યો હતો. અક્રમ બાદ આવી બેટિંગ કરનારા ક્રિકેટર ભારતના યશસ્વી જયસ્વાલ બન્યા છે.

બીજી ઇનિંગમાં પોતાની પ્રથમ ટેસ્ટ મૅચ રમી રહેલા સરફરાઝ ખાને પ્રથમ ઇનિંગમાં 67 રને વિવાદસ્પદ રીતે રન આઉટ થયા બાદ બીજી ઇનિંગમાં પણ 50 રન બનાવીને પોતાના ખાતામાં અડધી સદી નોંધાવી.

ઇંગ્લૅન્ડના 'બેઝબૉલ' ક્રિકેટનો ભારતીય જવાબ - 'જેસબૉલ'

ઇંગ્લૅન્ડના 'બેઝબૉલ' ક્રિકેટનો ભારતીય જવાબ છે 'જેસબૉલ'

હા, ભારતના આ જમણેરી ઓપનર બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે જાણે ઇંગ્લૅન્ડની ટીમને તેમની જ દવા પીવડાવીને આઈસીયુમાં મોકલી દીધી છે. જ્યાંથી મહેમાન ટીમ મૅચમાં પછી ફરે તે હવે અશક્ય લાગી રહ્યું છે.

રાજકોટ ટૅસ્ટના ત્રીજા દિવસે ભારતે બે જ વિકેટ ગુમાવી 322 રનની લીડ મેળવી લીધી છે.

આજના સમયમાં ફટાફટ ક્રિકેટની આક્રમકતાની સાથે સાથે ટૅસ્ટ ક્રિકેટનો ક્લાસનું મિશ્રણ એક જ ખેલાડીમાં ભાગ્યે જ જોવા મળે છે.

ટૅસ્ટ અને ટી-20 ક્રિકેટ વચ્ચે એટલી સારી રીતે સામંજસ્ય બેસાડનારા વિશ્વ ક્રિકેટમાં આજે યશસ્વી જયસ્વાલ જેવા કોઈ કદાચ જ કોઈ બીજા ખેલાડી હોય.

યશસ્વીએ ઇંગ્લૅન્ડ સામે બીજી ઇનિંગમાં પોતાની બેટિંગની શરૂઆત ધ્યાનપૂર્વક કરી અને પહેલા 39 બૉલમાં માત્ર નવ રન બનાવ્યા. પણ ત્યાર બાદ ઝડપથી જ લય પકડી લીધી અને તેમણે પછી પાવર હિટિંગનું જબરદસ્ત પ્રદર્શન કર્યું.

સ્પિનર્સ પર જોરદાર પ્રહાર કર્યા

22 વર્ષના જયસ્વાલે ઇંગ્લૅન્ડના અનુભવી બૉલર જેમ્સ એંડરસનને નિશાન બનાવ્યા.

27મી ઓવરમાં એંડરસનના બૉલ પર છગ્ગો અને બે ચોક્કા માર્યાં. સ્પિનર ટૉમ હાર્ટલેના બૉલ પર લૉંગ ઑન પર છગ્ગા જડ્યા અને પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યું.

ઇંગ્લૅન્ડના બૉલર માટે જયસ્વાલને રોકવા મુશ્કેલ સાબિત થયા. જે રુટ અને રેહાન અહમદ પણ યશસ્વી જયસ્વાલની આક્રમકતાથી બચી ન શક્યા.

જયસ્વાલે બન્નેના બૉલ પર છગ્ગા માર્યા. ભલે તેમની આક્રમકતામાં ટી-20ની ઝલક હતી પણ તેમાં શૉટ્સ કૉપી-બુક જેવા હતા. બિલકુલ સુઘડ અને માપસર.

યશસ્વીએ 122 બૉલ પર પોતાની ટૅસ્ટ કારકિર્દીનું ત્રીજુ શતક બનાવ્યું અને સિરીઝમાં સતત બીજું. વિશાખાપટ્ટનમ ટૅસ્ટમાં તેમણે 209 રનની ઇનિંગ રમી હતી.

યશસ્વીએ ખાસ કરીને ઇંગ્લૅન્ડના સ્પિનર્સને ધોઈ નાખ્યા.

તેમના સ્વાઇપ અને રિવર્સ સ્વાઇપ શૉટસ જોરદાર હતા. તેમની ઇનિંગ જોઈને પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા 'એક્સ'ના પોતાના હૅન્ડલ પર લખ્યું, "યશસ્વી જયસ્વાલ માટે સદી પછી સદી. સ્પિનર્સને તેઓ એવી જ રીતે ટ્રીટ કરી રહ્યા હતા જેવી રીતે કરવા જોઈએ, દે ધના ધન"

છગ્ગો લગાવીને અર્ધશતક, ચોગ્ગાથી શતક

યશસ્વી જયસ્વાલે 39મી ઓવરના છેલ્લા બૉલ પર ચોગ્ગો લગાવીને શતક પૂર્ણ કર્યું.

તેમણે 104 રન બનાવ્યા. પોતાની 133 બૉલની ઇનિંગમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા.

તેમનો સ્ટ્રાઇક રેટ 78.19 રહ્યો. ત્યાર બાદ તેઓ કમરમાં દુખાવાના કારણે મેદાનમાંથી બહાર જતા રહ્યા.

યશસ્વીએ શતક બનાવીને હવામાં ઉછળીને ડેવિડ વૉર્નરની જેમ જશ્ન મનાવ્યો હતો. કદાચ કમરમાં દુખાવાનું આ જ એક કારણ હતું.

જોકે આ દરમિયાન યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી બાદ ઇંગ્લૅન્ડ વિરુદ્ધની સિરીઝમાં 400 રન બનાવનારા બીજા ક્રિકેટર પણ બની ગયા.

વિરાટે 2018માં 593 રન બનાવ્યા હતા. જ્યારે કે રોહિત શર્માએ 2021માં 368 રન.

હૈદરાબાદમાં બતાવ્યો 'જેસબૉલ'

હૈદરાબાદ ટૅસ્ટના પહેલા જ દિવસે જયસ્વાલે 70 બૉલમાં 76 રન કર્યા હતા.

કૉમેન્ટ્રી બૉક્સમાં ઇયૉન મૉર્ગન, દિનેશ કાર્તિક અને હર્ષા ભોગલે એ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે ટૅસ્ટમાંથી ટી-20માં સ્વિચ કરવુ મુશ્કેલ છે કે ટી-20માંથી ટૅસ્ટમાં.

યશસ્વીએ 12 જુલાઈ 2023માં ટૅસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.

ત્યાર બાદથી અત્યાર સુધી તે 13 ઇનિંગમાં બૅટિંગ કરી ચૂક્યા છે.

તેઓ ટૅસ્ટમાં સૌથી ઝડપી ત્રણ શતક લગાવવાની બાબતમાં સંયુક્ત રીતે સાતમા સ્થાને છે.

આ અંગે તેમણે ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ અને સંજય માંજેકરની બરાબરી કરી લીધી છે.

આક્રમક બૅટ્સમૅનની છબી છે

યશસ્વી જયસ્વાલે ડૉમેસ્ટીક સફેદ બૉલના ક્રિકેટમાં આક્રમક બૅટ્સમૅનની છબી બનાવી છે. વર્ષ 2019માં વિજય હજારે ટ્રૉફીમાં ડબલ શતક લગાવીને ચર્ચામાં આવ્યા હતા.

જયસ્વાલે 113, 22, 122, 203 અને 60 રનની ઇનિંગ રમી.

વર્ષ 2020માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે શાનદાર સદી બનાવી અને પ્લૅયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યા હતા.

આઈપીએલમાં પહેલી સિઝન સારી ન રહી. પણ ધીરે ધીરે લય પકડી. રાજસ્થાન રૉયલ્સ માટે ગયા વર્ષે 163.61ના સ્ટ્રાઇક રેટથી 625 રન બનાવ્યા.

જૉસ બટલરની સાથે તેમની જોડી ટૂર્નામેન્ટમાં સૌથી ખતરનાક મનાય છે.

માત્ર 13 બૉલમાં અર્ધશતક બનાવીને સૌથી ઝડપી અર્ધશતકનો વિક્રમ પણ તેમના નામે જ છે.

યશસ્વીએ વર્ષ 2019માં રણજી રમવાનું શરૂ કર્યું. 2021-22માં સતત ત્રણ શતક લગાવીને મુંબઈને ફાઇનલમાં પહોંચાડી દીધુ.

અત્યાર સુધીની પ્રથમ શ્રેણીની ઇનિંગોમાં 73ની એવરેજથી 2,482 રન બનાવી નાખ્યા છે. જેમાં 11 શતક અને પાંચ અર્ધશતક પણ સામેલ છે.

તેથી જ તેમને વન-ડે અને ટી-20 પહેલાં ટૅસ્ટ કૅપ અપાઈ.

પાણીપૂરી વેચી, ભૂખ્યા સુઈ ગયા

ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના સુરિયાવાં ગામના યશસ્વી જયસ્વાલના પિતા એક નાનકડી હાર્ડવૅરની દુકાન ચલાવતા હતા.

ક્રિકેટમાં તેમની દીવાનગી તેમને 11 વર્ષની ઉંમરમાં મુંબઈ ખેંચી લાવી. એકલાં સંઘર્ષ કર્યો. ત્યાં સુધી કે ડૅરીમાં કામ કરવું પડ્યું.

ઘણા વર્ષો સુધી યશસ્વી મુંબઈના આઝાદ મેદાનમાં મુસ્લિમ યૂનાઇટેડ ક્લબ ટૅન્ટમાં પણ રહ્યા.

ત્યાં તેઓ રાત્રે ખાવાનું બનાવવાનું કામ કરતા હતા. અને દિવસે ક્રિકેટની પ્રૅક્ટિસ કરતા હતા. આ સિવાય તેમણે પાણીપૂરી પણ વેચી.

આ તમામ વચ્ચે આકરી મહેનત ચાલુ રાખી. અને તેમને મહેનતનું ફળ મળી રહ્યું છે.