અનસૂયા સેનગુપ્તા : કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલમાં ઍવૉર્ડ જીતનારાં પ્રથમ ભારતીય અભિનેત્રી

અભિનેત્રી અનસૂયા સેનગુપ્તા

ઇમેજ સ્રોત, @CUP_O_T

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી અનસૂયા સેનગુપ્તા
પ્રકાશિત

ભારતીય અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાને કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલની અન-સર્ટેન રિગાર્ડ શ્રેણીમાં બલ્ગેરિયાના દિગ્દર્શક કોન્સ્ટેન્ટિન બોજાનોવાની ફિલ્મ “ધી શેમલેસ” માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો છે.

આ ફિલ્મ દિલ્હીના વૈશ્યાઘરમાં કામ કરી રહેલી રેણુકાની કહાણી છે, જે એક રાતે પોલીસવાળાની હત્યા કરીને ભાગી જાય છે.

રેણુકા ઉત્તર ભારતની વૈશ્યાઓના એક સમુદાયમાં શરણ લે છે, જ્યાં તેમની મુલાકાત દેવિકા સાથે થાય છે. દેવિકા એક નાની ઉંમરની વૈશ્યાનું જીવન જીવવા માટે મજબૂર છે.

રેણુકા અને દેવિકા સાથે મળીને કાયદા અને સમાજથી બચવા માટે એક ખતરનાક રસ્તા પર નીકળી પડે છે. તેમનો ઉદ્દેશ્ય સ્વતંત્રતા મેળવવાનો છે.

ભારતીય પાત્રો પર બનેલી ફિલ્મ “ધી શેમલેસ”નાં બે મુખ્ય પાત્રો ભારતીય મહિલાઓ છે. આ ફિલ્મમાં સદીઓ જૂની દેવદાસી પ્રથાની ઝલક જોવા મળે છે.

અભિનેત્રી અનસૂયા સેનગુપ્તા

ઇમેજ સ્રોત, @CUP_O_T

સેક્સ વર્કરોનાં જીવન પર કેટલીય ફિલ્મો બની છે અને બોલીવૂડમાં પણ સેક્સ વર્કરોને નાની કે મોટી ભૂમિકામાં દેખાડવામાં આવે છે.

બલ્ગેરિયાના દિગ્દર્શકની આ ફિલ્મમાં અનસૂયા સેનગુપ્તાના જબરદસ્ત અભિનયને કારણે તેમને વિશ્વનાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો પૈકીનો એક પુરસ્કાર મળ્યો છે.

અનસૂયા સેનગુપ્તા કલકત્તાનાં છે. તેમણે જાદવપુર યુનિવર્સિટીથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક ડીગ્રી મેળવી છે. તેમનો ઇરાદો અભિનયની દુનિયામાં કારકિર્દી બનાવવાનો નહોતો. તેઓ પત્રકારિતા કરવા ઇચ્છતાં હતાં.

જોકે, તેઓ 2013માં મુંબઈ પહોંચ્યાં અને ત્યાં તેમણે ફિલ્મો માટે પ્રોડકશન ડિઝાઇનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

અનસૂયાએ “મૉય કોલકત્તા”ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જે પ્રોજેકટમાં મારા દિલની નજીક છે તેમાં સંજીવ શર્માની 'સાત ઉચક્કે' અને શ્રીજીત મુખરજીની “ફરગેટ મી નૉટ” સામેલ છે.”

તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા જીવનમાં ઘણી વસ્તુઓ નસીબથી જ થઈ છે. જેમકે, મારા જીવનના પ્રેમ યશદીપને મળવું અને તેમની સાથે લગ્ન કરવાં.

અભિનેત્રી અનસૂયા સેનગુપ્તા

ઇમેજ સ્રોત, @CUP_O_T

અનસૂયાને રેણુકાનું પાત્ર મળવું પણ એક સંયોગ જ હતો. આ બધું જ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ સાથે શરૂ થયું.

તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મને ફેસબુક મિત્ર બોજાનોવા પાસેથી એક હિન્દી ફિલ્મના ઑડિશન માટે નિમંત્રણ મળ્યું હતું.

અનસૂયાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, “કૉન્સ્ટેન્ટિને જૂન 2020માં મને મૅસેજ કર્યો અને કહ્યું કે તેઓ પોતાની આવનારી ફિલ્મ “ધી શેમલેસ”ના મુખ્ય પાત્રની ભૂમિકા માટે મારું ઑડિશન લેવા માંગે છે.”

અનસૂયાએ લખ્યું, “મારો પહેલા જવાબ હતો – કેમ?”

અનસૂયાએ પોતાની ઑડિશન ટેપ મોકલી અને બોજાનોવાએ તરત જ હા કહી દીધી.

Ansooya Sengupta

ઇમેજ સ્રોત, @CUP_O_T

આ ફિલ્મનું શૂટિંગ નેપાળ અને મુંબઈમાં કરવામાં આવ્યું હતું.

વૈરાયટીના એક રિપોર્ટ પ્રમાણે અનસૂયાએ આ પુરસ્કાર ભારતના ક્વીર સમુદાયને સમર્પિત કર્યો છે.

તેમણે કહ્યું, “બરાબરી માટે કે લડવા માટે તમારે ક્વીર હોવાની જરૂર નથી. ગુલામી દયનીય હોય છે તે સમજવા માટે તમારે ગુલામ થવાની જરૂર નથી. આપણે બસ માત્ર એક મર્યાદિત માનવ હોવું જરૂરી છે.”