You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સમગ્ર કહાણી
છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી શરૂ થઈ હતી છે, જે 16મી ઑક્ટોબરે પૂર્ણ થઈ છે. આ કેસ કઈ રીતે શરૂ થયો અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો તે સમજીએ.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી.
નવેમ્બર 4થી 15, 2019 દરમિયાન ગમે તે દિવસે ચુકાદો આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જો મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચ અયોધ્યા કેસમાં 17 નવેમ્બર સુધીમાં ચુકાદો આપી શકે નહીં, તો સુનાવણી નવી બેન્ચે નવેસરથી કરવી પડે. એવું થવાની શક્યતા બહુ ઓછી છે.
હિંદુઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે જે ભૂમિને માને છે, તથા જે સ્થળ પર બાબરી મસ્જિદ પણ બનેલી હતી તેના પર હકનો મામલો મુખ્ય છે.
સાથે જ મસ્જિદ બનાવવા માટે અગાઉના હિંદુ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તે મુદ્દો પણ આ કેસમાં છે.
બાબરી મસ્જિદને છઠ્ઠી ડિસેમ્બર 1992માં તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ લૅન્ડ-ટાઇટલ માટેનો કેસ અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો ચુકાદો 30 સપ્ટેમ્બર 2010ના રોજ આવ્યો હતો.
તે ચુકાદામાં અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે.
એક તૃતીયાંશ હિસ્સો રામલલ્લા વિરાજમાનને ફાળવાયો હતો, જેમનું પ્રતિનિધિત્વ હિંદુ મહાસભાએ કર્યું હતું.
એક તૃતીયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને ફાળવાયો હતો, જ્યારે બાકીનો એક તૃતીયાંશ હિસ્સો નિર્મોહી અખાડાને ફાળવાયો હતો.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચ ચુકાદો આપશે અને સ્પષ્ટતા કરશે કે જમીનની માલિકી કોની છે અને ભૂમિનો કયો હિસ્સો કયા પક્ષના ફાળે જાય છે.
આ બેન્ચ અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્ય પણ રાખી શકે છે અને પોતાને યોગ્ય લાગે તે રીતે પક્ષો વચ્ચે ભૂમિની વહેંચણી કરી શકે છે.
નિર્ધારિત દિવસે પાંચેય ન્યાયાધીશો સ્થાનગ્રહણ કરશે અને વારાફરતી પાંચેય ન્યાયાધીશો પોતપોતાના ચુકાદાને લેખિતમાં રજૂ કરશે.
કદાચ સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પોતાનો ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો