You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે હશે ભારતના નવા સેનાધ્યક્ષ
આ મહિનાના અંતમાં વર્તમાન સેનાધ્યક્ષ એમ.એમ.નરવણે સેનાનિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ સેનામાં શીર્ષ પદ પર પહોંચનાર પ્રથમ એન્જિનિયર છે.
લાઇવ કવરેજ
RSSનો 'અખંડ ભારત' અને હિંદુ રાષ્ટ્રનો વિચાર કેવો છે?
ગુજરાતનું હવામાન ફરી પલટાશે, ભરઉનાળે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
બ્રેકિંગ, લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે હશે ભારતના નવા સેનાધ્યક્ષ
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે ભારતના નવા સેનાધ્યક્ષ બનશે.
આ મહિનાના અંતમાં વર્તમાન સેનાધ્યક્ષ એમ.એમ.નરવણે સેનાનિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ સેનામાં શીર્ષ પદ પર પહોંચનાર પ્રથમ એન્જિનિયર છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ
જો તમે અત્યારે જ જોડાયા હોવ તો રશિયા-યુક્રેન યુદ્ધની કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો અત્રે પ્રસ્તુત છે.
યુક્રેનિયન સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, લવિવમાં સૈન્યમથકો અને એક કારખાના પર રશિયાએ કરેલા હવાઈ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે.
રશિયાએ યુક્રેનની રાજધાની કિએવ સહિત સંખ્યાબંધ શહેરોમાં બૉમ્બમારો કર્યો છે. જેમાં યુક્રેનને ઘણું નુક્સાન વેઠવું પડ્યું છે.
રશિયન મીડિયાના અહેવાલો પ્રમાણે, રશિયાની સેનાએ રાત્રિ દરમિયાન 315 સ્થળો પર હુમલા કર્યા છે.
યુક્રેનિયન સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે ક્રેમિન્ના શહેરમાંથી ભાગતી વખતે ચાર સામાન્ય નાગરિકોની હત્યા કરવામાં આવી છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
રશિયા અને યુક્રેનના સત્તાધીશો વચ્ચે કોઈ સમજૂતી ન થતાં સતત બીજા દિવસે કોઈ માનવીય કૉરિડોર રાખવામાં આવ્યો નહોતો.
દિલ્હીના જહાંગીરપુરી હિંસા મામલામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના નેતાઓ સામે કેસ, પ્રેમ શર્માની ધરપકડ
દિલ્હી પોલીસે જહાંગીપુરી વિસ્તારમાં કોઈ પરવાનગી વગર જુલૂસ કાઢવાના મામલામાં કેસ દાખલ કરાયો છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ નૉર્થ વેસ્ટ દિલ્હીના ડીસીપી ઊષા રંગનાનીને ટાંકતાં કહ્યું છે કે આ મામલામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દિલ્હી પ્રાંતની વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે.
આ સંગઠનો પર આરોપ છે કે તેમણે પરવાનગી લીધા વગર જહાંગીરપુરી વિસ્તારમાંથી શોભાયાત્રા કાઢી. સાથે જ પોલીસે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસ આયુક્ત રાકેશ અસ્થાનાએ પણ પત્રકારોને જણાવ્યું કે પરવાનગી વગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પરંતુ શોભાયાત્રા કાઢવામાં આવી એટલેપોલીસે એ સુનિશ્ચિત કરવનો પ્રયત્ન કર્યો કે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય.
આની પહેલાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હી પોલીસ પર એકતરફી કાર્યવાહીનો આક્ષેપ કર્યો હતો.
તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે પરવાનગી વગરના શોભાયાત્રા કેમ કાઢવા દીધી. આ દરમિયાન આ મામલામાં અભિયુક્ત અસલમ અને અંસારને અદાલતે બે વધારે દિવસ માટે પોલીસ અટકાયતમાં મોકલ્યા છે. જ્યારે ચાર અન્ય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
શૅર માર્કેટ ધોવાયું, રોકાણકારોના ચાર લાખ કરોડ ડૂબ્યાં
ભારતમાં અઠવાડિયાના પહેલા દિવસે જ શૅર માર્કેટમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે. સૅન્સેક્સ 1172 પૉઇન્ટ એટલે કે લગભગ બે ટકા નીચે જઈને 57,166 પર આવીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 302 પૉઇન્ટ નીચે જઈને 17,173 પૉઇન્ટ પર બંધ થયો હતો.
આ મોટા ઘટાડાના કારણે રોકાણકારોના લગભગ ચાર લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. આઈટી બૅન્ક, ફાઇનન્શિયલ, રિયલ્ટી અને ટૅલિકોમ સૅક્ટરના શૅરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઑટો, પાવર, એફએમસીજી અને મૅટલ શૅરોમાં ખરીદી જોવા મળી હતી.
સૅન્સેક્સના મિડ કૅપ અને સ્મૉલ કૅપ બન્નેમાં 200 અંકથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો ઇન્ફોસિસ અને એચડીએફસીમાં જોવા મળી.
જ્યાં સુધી સેક્ટોરલ ઇન્ડેક્સનો સવાલ છે તો આઈટી સૅક્ટરના ઇન્ડેક્સમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સ્વીડનમાં કુરાન સળગાવ્યા બાદ થયેલી હિંસા મામલામાં 40થી વધુની ધરપકડ
સ્વીડનમાં કુરાનની કૉપીઓને આગ ચાંપવામાં આવી ત્યાર પછી પોલીસ અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણ બાદ 40થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે પોલીસ અધિકારીઓ ચેતવણી માટે ગોળીઓ ચલાવી હતી ત્યારે નૉરતૉપિંગમાં ત્રણ લોકો રવિવારે હિંસામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ડેનિશ-સ્વીડિશ નેતા રૅસમસ પાલુડૅન દ્વારા રેલીઓના આયોજન બાદ આ હિંસા ફાટી નીકળી હતી.
તેમણે કહ્યું કે તેમણે ઇસ્માના પવિત્ર પુસ્તક કુરાનની કૉપીઓ સળગાવી હતી અને તેઓ ફરીથી આવું જ કરવા માગે છે.
કુરાન મુસ્લિમોનું પવિત્ર પુસ્તક છે અને ઇરાદાપૂર્વ કુરાનને કરેલા નુકસાન અથવા બેઅદબીને ગુનો માનવામાં આવે છે.
સાઉદી અરેબિયાએ આ ઘટનાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, "સ્વીડનમાં કેટલાક ઉગ્રવાદીઓ દ્વારા પવિત્ર કુરાનના ઇરાદાપૂર્વક અપમાન, અને મુસ્લિમો સામે ભડકાવવાનું કામ છે".
ઈરાન અને ઇરાકે પણ સ્વીડનના રાજદૂતોને બોલાવીને આ ઘટના સામે વિરોધ નોંધાવ્યો હતો.
સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત
મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની જમીન મામલે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.
સુપ્રીમ કોર્ટે અલાહબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી છે, તેના અંતર્ગત આઝમ ખાનની અધ્યક્ષતાવાળા ટ્રસ્ટ તરફથી સંચાલિત યુનિવર્સિટીની જમીન પર સ્થાનિક પ્રશાસનને કબજો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ યુનિવર્સિટી આઝમ ખાનની આગેવાનીવાળા મહમદઅલી જૌહર ટ્રસ્ટ તરફથી સંચાલિત કરવામાં આવે છે.
કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ, પરિવાર કે સંસ્થા 12 એકરથી વધુ જમીન પ્રદેશ સરકારની અનુમતિ વગર રાખી શકતાં નથી.
પ્રશાસનનો પક્ષ હતો કે જૌહર યુનિવર્સિટીને 12 એકરથી વધુ જમીન આપવામાં ઉત્તર પ્રદેશની સરકારની અનુમતિની શરતોનું ઉલ્લંઘન થયું છે.
અલાહબાદ હાઈકોર્ટે પ્રશાસનનો નિર્ણય યથાવત્ રાખ્યો હતો, જેના પર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.
દિલ્હના જહાંગીરપુરીમાં RAF તહેનાત, 23 લોકોની ધરપકડ
દિલ્હીના જહાંગીરુપુરીમાં હનુમાનજંયતીના અવસરે થયેલી હિંસા બાદ સોમવારે ફરી એકવાર પોલીસકર્મીઓ પર પથ્થરમારો કરાયો હોવાનો રિપોર્ટ છે.
એડિશન ડીસીપી મયંક બંસલે પથ્થરમારા અંગેના સવાલ પર જણાવ્યું, "હું સ્થિતિની તપાસ કરીને આ અંગે જણાવી શકીશ."
આ પહેલાં દિલ્હી પોલીસના કમિશનર રાકેશ અસ્થાનાએ હિંસાને લઈને પત્રકારપરિષદમાં કહ્યું હતું કે હિંસાને રોકવા માટે પૂરતા પ્રયાસો કરાયા હતા.
દરમિયાન અસ્થાનાએ જણાવ્યું કે અત્યાર સુધી 23 લોકોનીધરપકડ કરાઈ છે. આ હિંસામાં પોલીસકર્મીઓ સહીત નવ લોકો ઘાયલ થયા છે.
રાકેશ અસ્થાનાએ પત્રકારપરિષદ દરમિયાન ઉમેર્યું કે વિસ્તારના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી લેવાયું છે.
આ દરમિયાન તપાસ માટે ફૉરેન્સિક ટીમ પણ સોમવારે જહાંગરીપુરી પહોંચી હતી.ઉપરાંત દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રાકેશ અસ્થાનાએ કહ્યું,"કેટલાક લોકો સોશિયલ મીડિયા થકી શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે અને જે લોકો ભ્રામક જાણકારી શૅર કરશે, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે.જનતાએ અફવા પર ધ્યાન ના આપવું જોઈએ."
દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું, "દોષિત ઠેરવાયેલા તમામ વિરુદ્ધ ધર્મ, જાતિ, સમુદાયના ભેદભાવ વગર કાર્યવાહી થશે."
નોંધનીય છે કે જહાંગીરપુરીમાં 16 એપ્રિલે હનુમાનજયંતીના અવસરે શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી.
ભારતમાં કોરોના વાઇરસના કેસમાં વધારો, 24 કલાકમાં 2200 નવા કેસ અને 214 મૃત્યુ
ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગત 24 કલાકની અંદર કોરોનાના 2,83 નવા કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર ગત એક દિવસમાં કોરોનાના 1,985 દરદીઓ સાજા થયા છે, જેનો આંક નવા કેસોની સંખ્યાની સરખામણીએ ઓછો છે.
કોરોનાને લીધે મૃત્યુના કેસમાં પણ વધારો થયો છે અને એક જ દિવસમાં 214 લોકોનો વાઇરસે ભોગ લીધો છે.
ભારતમાં હવે કોરોના વાઇરસના સક્રીય કેસ વધીને 11,542 થઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરોના ઉપયોગ પર ચાલી રહેલા વિવાદ પર સરકાર જાહેર કરશે દિશાનિર્દેશ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વસલે પાટીલે કહ્યું છે કે પ્રદેશના પોલીસ મહાનિદેશક અને મુંબઈ પોલીસના કમિશનર સાથે મળીને જાહેર જગ્યાઓ પર લાઉડસ્પીકરના ઉપયોગ પર દિશાનિર્દેશ તૈયાર કરશે.
તેમણે એવી પણ જાણકારી આપી છે કે આ દિશાનિર્દેશ એકબે દિવસમાં જાહેર કરવામાં આવશે.
ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર તેમની નજર છે. રાજ્યમાં શાંતિભંગ કરવાનો પ્રયાસ કરનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ ગત દિવસોમાં કહ્યું હતું કે જો મસ્જિદોમાં લાઉડસ્પીકરોનો ઉપયોગ થશે તો તેમના કાર્યકરો પણ હનુમાન ચાલીસાના પાઠ કરશે.
તેમણે આ માટે મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું.એ બાદથી જ રાજ્યમાં આ વિષય ચર્ચાનો મુદ્દો બની ગયો હતો.
મહારાષ્ટ્રના સત્તાધારી નેતાઓ રાજ ઠાકરેની ટીકા કરી રહ્યા છે તો રાજ ઠાકરેનું કહેવું છે કે તેઓ કોઈ પણ સમુદાયની પ્રાર્થનાના વિરોધી નથી, તેમને માત્ર લાઉડસ્પીકરોના ઉપયોગ સામે વાંધો છે.
આ દરમિયાન મુંબઈ પોલીસે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કરાઈ રહેલી એવી પોસ્ટો પર નજર રાખવામાં આવી રહી છે, જે રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે.
મુંબઈ પોલીસ અનુસાર આવી લગભગ 300 પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે.બીજી તરફ નાસિકના પોલીક કમિશનર દીપક પાંડેએ કહ્યું છે કે હનુમાન ચાલીસા કે ભજનના પાઠ કરવા માટે મંજૂરી લેવી પડશે. તેમણે એવું પણ કહ્યું કે અઝાનની 15 મિનિટ પહેલાં અને 15 મિનિટ બાદ સુધી આનીપરવાનગી નહીં આપવામાં આવે.
તેમણે એવું પણ જણાવ્યું છે કે મસ્જિદના 100 મિટરના વર્તુળમાં હનુમાન ચાલીસા કે ભજનના પાઠની મંજૂરી નહીં મળે.દીપક પાંડેના મતે આ આદેશનો ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રાખવાનો છે.
એક સાથે બે ડિગ્રી કેવી રીતે મળે?
અત્યાર સુધીની સામાન્ય સમજ એવી છે કે કોઈ પણ વિદ્યાર્થી સાયન્સ, કૉમર્સ કે આર્ટ્સ પૈકી પોતાને પસંદ હોય એ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવે અને એક સમયે તેને એક જ ડિગ્રી મળે. જોકે આ નિયમ હવે બદલાઈ રહ્યો છે હવે તમે એક સાથે બે ડિગ્રી મેળવી શકો છો. જુઓ આ વીડિયો
લખીમપુર ખીરી હિંસા મામલે આશિષ મિશ્રાના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોને ગાડી નીચે ચગદી નાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કર્યા છે.
સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને એક અઠવાડિયામાં આત્મસમર્પણ કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે 10 ફેબ્રુઆરીના રોજ અલાહાબાદ હાઈકોર્ટે આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટનો જામીનનો નિર્ણય ફેરવી તોળ્યો છે અને અલાહાબાદ હાઈકોર્ટને જામીન અરજી પર ફેરસુનાવણી કરવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે જામીન આપવામાં ઉતાવળ કરી અને પીડિતપક્ષને ધ્યાને ન લીધો.
ઉલ્લેખનીય છે કે 2021માં ઑક્ટોબર મહિનામાં લખીમપુર હિંસાથી પીડિત પરિવારોએ હાઈકોર્ટે આપેલા જામીનનો વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ ચાર એપ્રિલે નિર્ણય અનામત રાખ્યો હતો.
ગત વર્ષે 3 ઑક્ટોબરે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મોર્ય લખીમપુર ખીરીની મુલાકાતે હતા અને તે સમયે વિરોધ કરી રહેલા ખેડૂતો પૈકી ચાર ખેડૂતોને એસયુવી ગાડી નીચે કચડી નાખવામાં આવ્યા હતા.
આ કેસની તપાસ કરી રહેલી એસઆઈટીએ આશિષ મિશ્રાને મુખ્ય આરોપી ગણાવ્યા છે.
ગુજરાત સહિત અનેક સ્થળોએ કોમી હિંસા, કેમ વધી રહ્યો છે તણાવ?
તાજેતરમાં ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ અને દિલ્હી સુધી અનેક વિસ્તારોમાં નાની-મોટી કોમી હિંસાની ઘટનાઓ બની છે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મસ્જિદો સામે હનુમાનચાલીસાના પાઠની જાહેરાત તણાવ સતત વધી રહ્યો છે ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ નિવેદન આપ્યું છે...
ડબલ્યૂએચઓના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં શા માટે છે?
કુરાન સળગાવવાને લઈને સ્વીડનનાં અનેક શહેરોમાં અથડામણો
સ્વીડનનાં અનેક શહેરોમાં ઇસ્લામના ધર્મગ્રંથ કુરાન સળગાવવાને લઈને અથડામણો થઈ છે. અનેક શહેરોમાં સતત ચોથા દિવસે આગચંપી અને બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓ બની છે.
આ અથડામણો કટ્ટર દક્ષિણપંથી સમૂહો અને અપ્રવાસી લોકોનો વિરોધ કરી રહેલા જૂથો વચ્ચે કુરાન સળગાવવાની ઘટના બાદ શરૂ થઈ હતી.
સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, પૂર્વના શહેર નોરેશેપિંગમાં રવિવારે પણ તોફાનો થયાં. પોલીસે તોફાનીઓને ચેતવણી આપી ગોળીબાર પણ કર્યો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
અનેક વાહનોને આગ લગાવી દેવાની ઘટના બની છે તો આ મામલે અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે દક્ષિણના શહેર માલમામાં પણ કટ્ટર દક્ષિણપંથી સમૂહોની એક રેલી દરમિયાન હિંસા થઈ જેમાં એક બસ સમેત અનેક વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી.
આ અગાઉ ઈરાન અને ઇરાક સરકારે પોતાને ત્યાં સ્થિત સ્વીડનના રાજદ્રારીઓને કુરાન સળગાવવાની ઘટના અને પ્રદર્શનનોને લઈને બોલાવ્યા હતા.
સ્થાનિક હાર્ડલાઇન આંદોલનના પ્રમુખ અને ડેનિશ-સ્વિડિશ ચરમપંથી રસમુસ પાલૂદાને કહ્યું કે, અમે ઇસ્લામના સૌથી પવિત્ર મૂળપાઠને સળગાવ્યો છે અને આ કામ અમે ફરીથી પણ કરીશું.
ગુરુવારે, શુક્રવારે અને શનિવારે થયેલી અથડામણોમાં 16 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને પોલીસના વાહનોને આગચંપીની અનેક ઘટનાઓ બની છે.
સ્વીડનના રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ એંડશ ટૂનબેરીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે અમે અગાઉ પણ અનેક દંગાઓ જોયા પરંતુ આ વખતની ઘટનાઓ અલગ છે.
ગુડ મૉર્નિંગ ગુજરાત!
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ અને દુનિયાની તમામ ખાસ ખબરો આપીશું. એ સાથે અમે આપને એ ઘટનાઓની આસપાસ એક વ્યાપક દૃષ્ટિકોણ પણ આપીશું. જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.