You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રશિયાનો યુક્રેનની રાજધાનીમાં હથિયારોની ફેકટરી પર 'મિસાઇલ ઍટેક', વધુ હુમલાની ચેતવણી આપી

510 ચાલકદળવાળું આ મિસાઇલ ક્રુઝર રશિયન સૈન્યશક્તિનું મહત્ત્વનું પ્રતીક હતું. યુક્રેન વિરુદ્ધ દરિયાઈ હુમલાનું નેતૃત્વ આ જ યુદ્ધજહાજ કરી રહ્યું હતું. યુક્રેને દાવો કર્યો છે કે તેની મિસાઇલોએ આ યુદ્ધજહાજ પર પોતાની 'નેપ્ચ્યુન' મિસાઇલોથી હુમલો કર્યો હતો.

લાઇવ કવરેજ

  1. ઘરવાપસી અને ધર્માંતરણનું કેન્દ્ર કેવી રીતે બન્યો છત્તીસગઢનો આદિવાસી વિસ્તાર?

  2. અમદાવાદમાં ટૉઇલેટમાં પ્રસૂતિ થતાં શિશુનું માથું કમોડમાં અને પગ ઉપર, પછી શું થયું?

  3. દસ રૂપિયાનો સિક્કો લેવાની ના પાડો તો રાજદ્રોહનો કેસ થઈ શકે?

  4. રામનવમીમાં હિંસા બાદ મધ્યપ્રદેશમાં મુસ્લિમોનાં ઘરોને નિશાન બનાવાઈ રહ્યાં છે?

  5. આપમાં જોડાયા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુના બદલાયા બોલ, ભાજપ વિશે શું બોલ્યા?

    કૉંગ્રેસના નેતા રહી ચૂકેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુના બોલ બદલાયેલા છે.

    હવે તેઓ ભાજપ કે કૉંગ્રેસ વિશે નહીં, પરંતુ જનતાના મુદ્દાઓ વિશે વાત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ સૌરાષ્ટ્રમાં આપના ગઢને મજબૂત બનાવવા માટે કામે લાગી ગયા છે.

    રાજકોટમાં આપની એક બેઠક બાદ બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 2022 પૂર્વે સૌએ માનસિકતા બદલવાની જરૂર છે.

  6. યુક્રેનના ‘મિસાઇલ હુમલા’ બાદ રશિયાની વધુ હુમલાની ચેતવણી

    રશિયાએ યુક્રેનની રાજધાની કિએવમના સીમાડાના વિસ્તારમાં આવેલી હથિયારોની ફેક્ટરી પર હુમલો કરવાનો દાવો કર્યો છે.

    મૉસ્કોએ કિએવમાંથી સેના પાછી લીધા બાદનો આ સૌથી મહત્ત્વપૂર્ણ હુમલો માનવામાં આવી રહ્યો છે.

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, "યુક્રેન દ્વારા કરવામાં આવેલા “આતંકી હુમલા”ના જવાબમાં તેમણે કિએવમાં મિસાઇલ હુમલા કર્યા છે અને ચેતવણી આપી છે કે તેઓ આ હુમલા વધારશે."

    રશિયાએ કહ્યું કે તેમણે દરિયામાંથી છોડેલી મિસાઇલ કિએવની એક ફૅકટરી પર પડી હતી. જ્યાં યુક્રેન ઍર ડિફૅન્સ સિસ્ટમ અને ઍન્ટી-શિપ મિસાઇલ બનાવે છે.

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ ચૅનલ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું, “આ હુમલામાં સૈન્ય સરંજામો બનાવતી ફેકટરીનું વર્કશૉપ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે.”

    ગુરુવારે રશિયાએ યુક્રેન પર આરોપ લગાવ્યો હતો કે યુક્રેને તેમની સીમાના કેટલાંક શહેરો પર હુમલો કરવા હેલિકૉપ્ટર્સ મોકલ્યા હતા.

    બીબીસી મૉસ્કોના આ દાવાની પુષ્ટિ કરી શક્યું નથી.

  7. જેરુસલેમ : અલ અક્સા મસ્જિદમાં પોલીસ અને પેલેસ્ટાઇનના રહેવાસીઓ વચ્ચે અથડામણ, 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત

    ઇઝરાયલના જેરુસલેમમાં આવેલી અલ અક્સા મસ્જિદના પરિસરમાં પેલેસ્ટાઇનના રહેવાસીઓ અને ઇઝરાયલી પોલીસ વચ્ચે હિંસક અથડામણમાં 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દાવો પેલેસ્ટાઇનના તબીબોએ કર્યો છે.

    ઇઝરાયલની પોલીસનું કહેવું છે કે મસ્જિદના પરિસરમાંથી પથ્થરો, જ્વલનશીલ પદાર્થોનો હુમલો શરૂ થયા બાદ તેઓ અંદર પ્રવેશ્યા હતા. જેમાં ત્રણ પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી.

    અથડામણનું આ સ્થળ મુસ્લિમ અને યહૂદીઓ બન્ને માટે મહત્ત્વપૂર્ણ છે. યહૂદીઓ માટે આ જગ્યા ‘ટૅમ્પલ માઉન્ટ’ તરીકે જાણીતી છે. આ જગ્યાને લઈને ઘણા ઐતિહાસિક દાવા પણ થયા છે.

    તાજેતરમાં ઇઝરાયલ નિયંત્રિત વેસ્ટ બૅન્કમાં પાડવામાં આવેલા સંખ્યાબંધ હિંસક દરોડામાં પેલેસ્ટાઇનના કેટલાક લોકોનાં મૃત્યુ થયાં બાદ ઇઝરાયલ–પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ વધ્યો છે.

  8. ગુજરાતમાં આ વર્ષે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે?

    ભારતમાં આવનારું ચોમાસું કેવું રહેશે અને ગુજરાતમાં ચોમાસા દરમિયાન કેવો વરસાદ પડશે તેને લઈને ખાનગી ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે.

    ગુજરાતમાં આવનારા ચોમાસામાં કેવો વરસાદ પડશે? કયા મહિનામાં વધારે વરસાદ પડશે તો કયા મહિનામાં ઓછા વરસાદની સંભાવના છે?

    શું રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો પડશે?

  9. ત્રણ અઠવાડિયાથી કોરોના લૉકડાઉનમાં બંધ શાંઘાઈના લોકોમાં રોષ, લૉકડાઉન મુદ્દે ઘર્ષણ

    ચીનના શહેર શાંઘાઈમાં કોરોનાના કારણે લૉકડાઉનનું ત્રીજું અઠવાડિયું છે. ત્યારે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે શહેરમાં ઘર્ષણ થઈ રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે.

    કેટલાંક કંપાઉંડને ક્વોરૅન્ટીન સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યાં છે.

    લાખો લોકો મહામારીના પ્રસારના કારણે પોતાનાં ઘરોમાં કેદ છે. જે કોઈ પણ પૉઝિટિવ મળી આવે છે તેમને ફરજિયાત ક્વોરૅન્ટીન કરવામાં આવે છે.

    પરંતુ દિવસના 20 હજાર કરતાં વધુ કેસોને કારણે વહીવટી તંત્ર પૂરતી જગ્યાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.

    શહેરમાં પાછલાં અમુક અઠવાડિયાંમાં કેટલાંક ઍક્ઝિબિશન હૉલ અને શાળા ક્વોરૅન્ટીન સેન્ટરમાં પરિવર્તિત કરાયાં છે.

    પરંતુ સંવાદદાતાઓ દ્વારા અપાઈ રહેલી માહિતી અનુસાર કોરોનાના ઓછા જોખમી કેસોને કારણે ઘણા લોકો લૉકડાઉનની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવવા લાગ્યા છે.

  10. યુક્રેનનો દાવો, રશિયાના 20 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા

    યુક્રેને દાવો કર્યો છે કે લડાઈ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી રશિયાના અંદાજે 20 હજાર સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને આ દાવો કર્યો છે.

    સંરક્ષણ મંત્રાલયના દાવા પ્રમાણે રશિયાએ મોટું નુક્સાન ભોગવવું પડ્યું છે.

    સૈનિક – 20 હજાર

    બખ્તરબંધ મશીનો – 1976

    આર્ટિલરી સિસ્ટમ – 366

    આરએસઝેડવી – 122

    ઍન્ટી ઍરક્રાફ્ટ સિસ્ટમ – 66

    ફાઇટર જૅટ્સ – 163

    હેલિકૉપ્ટર્સ – 144

    ઑટોમોટિવ્સ – 143

    જહાજ અને બોટ્સ – 08

    ઇંધણ માટેના ટૅન્ક – 76

    યુએવી – 135

    વિશેષ ઉપકરણો - 25

  11. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, ઉચ્ચ અધિકારીને યુક્રેન મોકલીશું

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે તેઓ યુક્રેનમાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીને મળવા માટે અમેરિકાથી ઉચ્ચ સ્તરીય અધિકારીને મોકલવા માટે વિચાર કરી રહ્યા છે. આ અધિકારી ખુદ બાઇડન પણ હોઈ શકે છે.

    રાષ્ટ્રપતિ બાઇડનને યુક્રેનમાં અમેરિકાની મુલાકાતને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે “આ અંગે અમે નિર્ણય લઈ રહ્યા છીએ.”

    જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ખુદ ત્યાં જવા તૈયાર છે તો તેમણે જવાબ આપ્યો હતો, ‘હા.’

    રાષ્ટ્રપતિ બાઇડનની આ ટિપ્પણી બાદ વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ફૉક્સ ન્યૂઝને કહ્યું, “અમેરિકન રાષ્ટ્રપતિને યુક્રેન મોકલવાની કોઈ યોજના નથી.”

    જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના પાડોશી દેશ પૉલેન્ડની યાત્રા કરી હતી.

    અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કન અથવા તો સંરક્ષણમંત્રી લૉયડ ઑસ્ટિન યુક્રેનની મુલાકાત લે એવી સંભાવના છે.

  12. યુક્રેનનો દાવો, અત્યાર સુધી ખારકિએવમાં માર્યા ગયા 503 સામાન્ય નાગરિકો

    યુક્રેનના પૂર્વ ખારકિએવ વિસ્તારના પ્રમુખે દાવો કર્યો છે કે રશિયાના હુમલાના કારણે અત્યાર સુધી 503 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે.

    તેમણે ટેલિગ્રામ પર પોસ્ટ કરતાં કહ્યું કે મૃતકોમાં 24 બાળકો પણ સામેલ છે. તેમણે લખ્યું, “તેઓ નિર્દોષ લોકો હતા. અમે આ માટે તેમને (રશિયાને) ક્યારેય માફ નહીં કરીએ.”

    બીબીસી સ્વતંત્ર રીતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરતું નથી.

    ખારકિએવ રશિયાની સીમાથી 40 કિલોમીટર દૂર છે. અહીં યુદ્ધ શરૂ થતાં પહેલાં 15 લાખની વસતી હતી.

    રશિયાના પૂર્વ ભાગ તરફ હોવા છતાં ખારકિએવમાં સતત લડાઈ ચાલી રહી છે.

  13. ગુજરાત કૉંગ્રેસના નેતા ઇચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં : હાર્દિક પટેલ

    ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પાર્ટી છોડવાની અટકળોને ખારિજ કરતાં કહ્યું છે કે અત્યાર સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કામ કરતા રહેશે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “જો સાચું બોલવું ગુનો હોય તો મને ગુનેગાર સમજો.” તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતની જનતા તેમની પાસે આશા રાખે છે.

    તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટીમાં નાની-મોટી લડાઈઓ થતી રહે છે, પરંતુ બધાએ સાથે મળીને ગુજરાતને આગળ વધારવાનું છે.

    હાર્દિક પટેલના કહેવા પ્રમાણે, “મેં પાર્ટીને 100 ટકા આપ્યું છે અને આગળ પણ આપતો રહીશ. અમે ગુજરાતનો સારો વિકાસ કરીશું.”

    સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે “મને એટલો હેરાન કરવામાં આવી રહ્યો છે કે મને તે વિષે ખરાબ લાગે છે. ગુજરાત કૉંગ્રેસના નેતા ઇચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. મને તેનું વધારે દુખ છે કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત આ વિષે વાત કરી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”

  14. ચીનના સરકારી અખબારની ભારતના સમર્થનમાં ટિપ્પણી, કહ્યું...

    ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સે' ભારતના મુદ્દે અમેરિકા પર નિશાન સાધ્યું છે. છેલ્લા દિવસોમાં અમેરિકા અને ભારતમાં 2+2 મંત્રી સ્તરીય વાતચીત થઈ હતી. જેમાં ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા.

    બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પત્રકારપરિષદમાં અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને ભારતમાં માનવાધિકારની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી, પરંતુ તે સમયે ત્યાં હાજર ભારતના બન્ને મંત્રીઓએ કોઈ ટિપ્પણી કરી ન હતી.

    જોકે, બાદમાં એસ. જયશંકરે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “સોમવારે વૉશિંગ્ટનમાં 2+2 બેઠકમાં ભારતમાં માનવાધિકારને લઈને કોઈ ચર્ચા થઈ નહોતી. લોકો અમારા વિષે પોતાનો વિચાર રાખવાનો હક ધરાવે છે પણ તે જ રીતે અમારી પાસે પણ તેમના વિષે વિચાર રાખવાનો હક છે. અમે આ મામલે ચૂપ નહીં રહીએ. બીજાના માનવાધિકારોને લઈને અમારો પણ મત છે. હું આપને કહી શકું છુ કે અમેરિકા સહિત અન્યોને ત્યાં માનવાધિકારની સ્થિતિને લઈને અમારી પાસે કહેવા માટે છે.”

    વિદેશમંત્રી એસ. જયશંકરના આ નિવેદનવાળા 'ઑપ ઇન્ડિયા'ના અહેવાલને શૅર કરીને ગ્લોબલ ટાઇમ્સે ટિપ્પણી કરી છે કે અમેરિકા પાસે આઝાદ ભારતમાં માનવાધિકાર વિષે ભાષણ આપવાની કોઈ યોગ્યતા નથી.

    ગ્લોબલ ટાઇમ્સે પોતાની ટિપ્પણીમાં લખ્યું છે કે આ યોગ્ય સમય છે કે અમેરિકા ભારતને ઓછું આંકીને પોતાના ગ્રાહક દેશ તરીકે સમજવાનું સપનું જોવાનું બંધ કરી દે.

  15. ઍલન મસ્કે કહ્યું, ખબર નથી કે ટ્વિટર ખરીદી શકીશ કે નહીં

    ટૅસ્લા અને સ્પેસ ઍક્સના માલિક ઍલન મસ્કે કૅનેડાના વૅનકુવરમાં આયોજિત ટૅડ 2022 સંમેલનમાં કહ્યું કે તેઓ ચોક્કસ નથી કે ટ્વિટર ખરીદવાનો તેમનો પ્રયત્ન સફળ થશે કે નહીં.

    મસ્કે એમ પણ કહ્યું કે જો ટ્વિટર તેમની ઑફરને ખારિજ કરશે તો તેમની પાસે એક ‘પ્લાન બી’ પણ છે. જોકે, તેમણે પોતાની આ યોજના વિષે કંઈ જણાવ્યું નથી.

    તેમણે આ કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે ટ્વિટરને વધુ ‘પારદર્શક’ બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ‘ફ્રી સ્પીચ’ની દૃષ્ટિએ ટ્વિટરે સમાવેશી બનવું પડશે.

    આ પહેલાં અહેવાલ સામે આવ્યા હતા કે ઍલન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 40 અબજ ડૉલરની ઑફર મૂકી હતી.

  16. રશિયા સામેના યુદ્ધને 50 દિવસ પૂરા થતા ઝૅલેન્સ્કીએ શું કહ્યું?

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયા સામેના યુદ્ધને 50 દિવસ પૂરા થતાં રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું અને યુક્રેનને બચાવનારાઓને સંબોધિત કર્યાં હતા.

    ઝૅલેન્સ્કીએ કહ્યું, “બહાદુર દેશના અડગ લોકો, આપણે 50 દિવસથી ખડેપગે ઊભા છીએ. જ્યારે હુમલાખોરોએ આપણને વધુમાં વધુ પાંચ દિવસ આપ્યા હતા.”

    તેમણે ઘણા પશ્ચિમી નેતાઓ સાથે વાતચીત અને બેઠકોને યાદ કરતાં કહ્યું, “આ 50 દિવસોમાં મેં વિશ્વનાં ઘણા નેતાઓને અલગ-અલગ રીતે જોયા.”

    તેમણે કહ્યું, “મેં જોયું કે રાજનેતાઓ એવો વ્યવહાર કરી રહ્યા હતાં કે તેમની પાસે કોઈ શક્તિ જ નથી. મેં બિનરાજકીય લોકો જોયા જેમણે ખરેખર નેતૃત્વ કરનારા લોકોથી વધુ મદદ કરવાનો દાવો કર્યો.”

    ઝૅલેન્સ્કીએ આગળ કહ્યું કે, રક્ષા કરવાના 50 દિવસો આપણા માટે ઉપલબ્ધિ છે. આ યુક્રેનના લાખો લોકોની ઉપલબ્ધિ છે. આ એ તમામ લોકોની ઉપલબ્ધિ છે જેમણે 24 ફેબ્રુઆરીએ પોતાના જીવનનો મહત્તવપૂર્ણ નિર્ણય કર્યો અને કહ્યું કે અમારે લડવું છે.

  17. રશિયાનું યુદ્ધજહાજ 'મૉસ્ક્વા' ડૂબ્યું, મિસાઇલ હુમલાનો યુક્રેનનો દાવો

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે બુધવારે થયેલા એક વિસ્ફોટમાં ક્ષતિગ્રસ્ત થયેલું એમનું યુદ્ધજહાજ 'મૉસ્ક્વા' ડૂબી ગયું છે.

    સંરક્ષણ મંત્રાલય અનુસાર કાળા સમુદ્રમાં રશિયન જહાજના કાફલાનું પ્રમુખ જહાજ 'મૉસ્ક્વા'ને નુકસાન પહોંચ્યા બાદ તેને ખેંચીને બંદર પર લઈ જવાઈ રહ્યું હતું. જોકે, એ દરમિયાન દરિયામાં આવેલા ઉફાનને પગલે જહાજ ડૂબી ગયું.

    510 ચાલકદળવાળું આ મિસાઇલ ક્રુઝર રશિયન સૈન્યશક્તિનું મહત્ત્વનું પ્રતીક હતું. યુક્રેન વિરુદ્ધ દરિયાઈ હુમલાનું નેતૃત્વ આ જ યુદ્ધજહાજ કરી રહ્યું હતું.

    યુક્રેને દાવો કર્યો છે કે તેની મિસાઇલોએ આ યુદ્ધજહાજ પર પોતાની 'નેપ્ચ્યુન' મિસાઇલોથી હુમલો કર્યો હતો.

    જોકે, રશિયાએ આવા કોઈ હુમલાની જાણકારી નહોતી આપી. તેણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ આ જહાજ દરિયામાં ડૂબી ગયું.

  18. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. અહીં યુક્રેન-રશિયા યુદ્ધની અપડેટ ઉપરાંત ગુજરાત તથા દેશ-દુનિયાના મહત્ત્વના સમાચારો રજુ કરાશે.