You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વડા પ્રધાન ચૂંટાયા પહેલાં મની લૉન્ડરિંગ કેસમાં શહબાઝ શરીફ તથા પુત્ર હમઝાને કોર્ટમાં રાહત

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડ્યા બાદ નેશનલ ઍસેમ્બલીનું સત્ર ફરીથી બોલાવવામાં આવ્યું હતું.

લાઇવ કવરેજ

  1. મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓ પર સવાલ કર્યા તો દિલ્હી ભાજપે શો જવાબ આપ્યો?

  2. મની લૉન્ડરિંગ કેસમાં શહબાઝ શરીફ તથા પુત્ર હમઝાને અદાલતમાં રાહત

    શહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડા પ્રધાન ચૂંટાયા છે. આની પહેલાં એક અદાલતે શહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝાને રાહત આપી છે.

    શહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝાની વિરુદ્ધ ચાલી રહેલા હાઈપ્રોફાઇલ હવાલા કેસની સુનાવણી 27 એપ્રિલ સુધી સ્થગિત કરી છે. સાથે જ 27 તારીખ સુધી તેમને આગોતરા જામીન મળ્યા છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર અદાલતના અધિકારીએ જણાવ્યુંકે શહબાઝ શરીફે પોતાને વ્યક્તિગત રીતે રજૂ થવામાંથી છૂટ માટે અરજી કરી હતી. સાથે તેમણે પોતાના તથા પોતાના પુત્ર હમા માટે આગોતરા જામીનને 27 એપ્રિલ સુધી વધારવાની અરજી કરી હતી જેને ફેડલર ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ની વિશેષ અદાલતે મંજૂર કર્યા હતા.

    આ મામલો મની લૉન્ડરિંગ સાથે જોડાયેલો છે. નવેમ્બર 2020માં એફઆઈએએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ઍન્ટી મનીલૉન્ડરિંગ ઍક્ટની કેટલીક કલમોમાં શહબાઝ અને તેમના પુત્રો હમઝા અને સુલેમાનની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુલેમાન ફરાર છે અને બ્રિટનમાં રહી રહ્યા છે.

  3. આપના મનીષ સિસોદિયાએ ગુજરાતની શાળાઓની મુલાકાતી લીધી, ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી શું બોલ્યા?

  4. વડા પ્રધાન ચૂંટાયા બાદ શહબાઝ શરીફે શું કહ્યું?

    પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં શહબાઝ શરીફને નવા વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

    વડા પ્રધાન તરીકે પસંદગી બાદ શરીફે ઍસેમ્બલીમાં પોતાના સંબોધનમાં કહ્યું કે 'આ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયો અને સત્યની જીત થઈ, જૂઠની હાર.'

    શહબાઝ શરીફે કહ્યું કે 'આજનો દિવસ મહાન દિવસ છે અને સદને આજે એક ચૂંટાયેલા વડા પ્રધાનને બહારનો રસ્તો દાખવ્યો અને આ દિવસને યાદગાર દિવસ તરીકે ઉજવવામાં આવશે.' તેમણે કહ્યું કે પાકિસ્તાની રૂપિયો આઠ રૂપિયા મજબૂત થયો.

    આ દરમિયાન તેમણે એ પત્રનો પણ ઉલ્લેખ કર્યો જેના વિશે ઇમરાન ખાન વારંવાર દાવો કરી રહ્યા હતા. શહબાઝ શરીફે કહ્યું કે 'જૂઠાણું ચલાવવામાં આવી રહ્યું હતું કે એક પત્ર આવ્યો હતો.' તેમણે કહ્યું કે 'હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.'

    શહબાઝ શરીફે દાવો કર્યો કે તેઓ બહુ પહેલાં જ આસિફ અલી ઝરદારી અને બિલાવલ ભુટ્ટોને મળ્યા હતા અને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો હતો.

    તેમણે કહ્યું કે 'બહુ વિચાર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે 'ઇતિહાસની સૌથી અક્ષમ સરકાર' સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે.'

    તેમના અનુસાર, વિચાર-વિમર્શ બાદ આઠ માર્ચે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સદનના દરેક સભ્યને સત્ય જાણવાનો અધિકાર છે.

  5. ઇમરાન ખાન આઉટ, શહબાઝ શરીફ ઇન - પાકિસ્તાનના લોકો શું બોલ્યા?

  6. બ્રેકિંગ, શહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના 23મા વડા પ્રધાન

    પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફને દેશના નવા વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

    વડા પ્રધાનપદ માટે શહબાઝ શરીફ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના ઉમેદવાર હતા. સોમવારના વિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગમાં તેમનો વિજય થયો.

    નેશનલ ઍસેમ્બલીમાં વોટિંગમાં શહબાઝ શરીફને 174 મત મળ્યા જ્યારે પીટીઆઈના ઉમેદવાર શાહ મહમૂદ કુરૈશીને એક પણ મત ન મળ્યો.

    સોમવારના નેશનલ ઍસેમ્બલીનું સત્ર શરૂ થતાની સાથે જ ઇમરાન ખાનની પાર્ટીના સભ્યોએ સામૂહિક રાજીનામું આપ્યું હતું.

    ઇમરાન ખાનનો દાવો છે કે અમેરિકાની સાથે આ કાવતરાની રચના કરવામાં આવી અને તેમને સત્તામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

    રવિવારના નેશનલ ઍસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ સત્તામાંથી બરતરફ થયેલા ઇમરાન ખાનની જગ્યા શહબાઝ શરીફ હવે પાકિસ્તાનના વડા પ્રધાન બનશે.

    શહબાઝ શરીફ પર હવાલા લેવડ-દેવડથી જોડાયેલો એક કેસ ચાલી રહ્યો છે જેની આગામી સુનાવણી પર 27 એપ્રિલ સુધી રોક લગાવવામાં આવી છે.

  7. પાકિસ્તાનમાં કોણ બનશે નવા વડા પ્રધાન? નેશનલ ઍસેમ્બલીમાં શરૂ થયું સત્ર

    પાકિસ્તાનમાં નવા વડા પ્રધાનની ચૂંટણી માટે નેશનલ ઍસેમ્બલીનું સત્ર ચાલી રહ્યું છે.

    શાહબાઝ શરીફે પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષને વડા પ્રધાનપદના ઉમેદવાર નામાંકિત કરવામાં આવ્યા છે જ્યારે શાહ મહમૂદ કુરૈશીને પીટીઆઈના ઉમેદવાર બનાવાયા છે.

    એવામાં નેશનલ ઍસેમ્બલીમાં પોતાના સંબોધનમાં શાહ મહમૂદ કુરૈશીએ ઇમરાન ખાન સરકારનાં ખૂબ વખાણ કર્યાં. આ દરમિયાન કુરૈશીએ ઇમરાન ખાનની વિદેશ નીતિ વિશે જણાવ્યું અને ભારત પર પણ ટિપ્પણી કરી.

    તેમણે કહ્યું, "જ્યારે ભારતે પાકિસ્તાનની સામે હુમલો કર્યો, પુલવામાં પછી કર્યો તો ઇમરાન ખાનની સરકારે પાકિસ્તાનની જમાતને આનો જડબાતોડ જવાબ આપ્યો અને અભિનંદનને મુક્ત કર્યા."

    કુરૈશીનું કહેવું છે કે ઇમરાન ખાન સરકારે પાકિસ્તાનને ગુલામીની વિચારધારાથી આઝાદી અપાવી છે અને આઝાદ રીતે વિચારવાની પદ્ધતિ આપી છે.

    વડા પ્રધાનના ચયનનો બહિષ્કાર

    પોતાના ભાષણ પછી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે વડા પ્રધાનની ચૂંટણીમાં તેઓ ભાગ નહીં લે. તેમણે કહ્યું કે પીટીઆઈ નેશનલ ઍસેમ્બલીમાંથી રાજીનામું આપી રહી છે.

    તેમના ગયા બાદ ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ પણ પોતોની સીટ છોડી દીધી હતી અને સદનની કાર્યવાહી અયાઝ સાદિકને સોંપવામાં આવી. ત્યાર બાદ પીટીઆઈના સભ્યોએ વૉકઆઉટ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન નેશનલ ઍસેમ્બલી પહોંચ્યા અને પાર્ટીની બેઠકની અધ્યક્ષતા પણ કરી પરંતુ ઍસેમ્બલીમાં પોતાની સીટ પર ન ગયા.

  8. ગુજરાતના આ ડુંગરના પથ્થરમાંથી નીકળે છે ઘંટ જેવો અવાજ

  9. ઝારખંડમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા

    રાંચીથી બીબીસી પ્રતિનિધિ આનંદ દત્તા જણાવે છે કે ઝારખંડના લોહરદગા ખાતે રવિવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેમાં અમાન અંસારી નામના રમકડાના વેપારીનું મૃત્યુ થયું છે, હિંસક ભીડે તેમનો સામાન સળગાવી દીધો હતો.

    આ હિંસામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા, જેમાંથી છ ગંભીર રીતે ઘાયલ છે. ગંભીર રીતે ઘાયલ થયેલાઓને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

    રિમ્સમાં સારવાર કરાવી રહેલા મનોહરસિંહે બીબીસીને જણાવ્યું, "જ્યારે શોભાયાત્રા કબ્રસ્તાન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અમે મેળા તરફ રવાના થઈ ગયા. ત્યારે જ હિંસા શરૂ થઈ ગઈ.”

    “હું મારી બાઇક લઈને નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મને ઝડપી લીધો અને મારવા લાગ્યા."

    ચાપી અંસારી નામના ઘાયલના કહેવા પ્રમાણે, 'જય શ્રી રામ'ની નારેબાજી કરી રહેલા લોકોએ તેમને માર માર્યો હતો.

    લોહરદગાના જિલ્લાધિકારી વાઘમારે પ્રસાદ કૃષ્ણે સોમવારે પત્રકારપરિષદ સંબોધીને દાવો કર્યો હતો કે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

    સ્થિતિની ગંભીરતાને જોતા ઘટનાસ્થળે 144 લાગુ કરી દેવામાં આવી છે, આ સિવાય જિલ્લાની ઇન્ટરનેટ વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે.

  10. 'યુક્રેનના મારિયુપોલમાં રશિયાના હુમલા બાદ હજારો લોકો મૃત્યુ પામ્યા', ઝૅલેન્સ્કીનો દાવો

    સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયાના આક્રમણ બાદથી અત્યાર સુધી દેશના દક્ષિણમાં આવેલા મારિયુપોલ શહેરમાં હજારો લોકો માર્યા ગયા છે.

    તેમણે દક્ષિણ કોરિયાના સાંસદોની સાથે એક વીડિયો મીટિંગ કરી હતી જેમાં તેમણે કહ્યું, "મારિયુપોલ તબાહ થઈ ગયું છે, હજારો લોકોનું મૃત્યુ થયું છે. આમ છતાં રશિયા હુમલો રોકવા તૈયાર નથી."

    બીબીસી ઝૅલેન્સ્કીના દાવાની પુષ્ટિ તો નથી કરી શક્યું પરંતુ રશિયાના કબજાવાળા વિસ્તારોથી ભાગેલા શરણાર્થીઓના જણાવ્યા અનુસાર "ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. મૃતદેહોને છીછરી કબરોમાં દફનાવવામાં આવી રહ્યા છે. ચેચન લડાયકો લૂટફાટ કરી રહ્યા છે અને ભૂખે મરી રહેલા રહેવાસીઓ જ્યારે પાણી શોધવા માટે બહાર નીકળે છે ત્યારે તેમને મારી નાખવામાં આવે છે."

  11. સ્મૃતિ ઈરાનીને જ્યારે મોંઘવારી મુદ્દે કૉંગ્રેસનાં નેતાએ સવાલ કર્યા તો મંત્રીએ શું આપ્યો જવાબ?

  12. બ્રેકિંગ, ઝારખંડના દેવઘરમાં કૅબલ કાર અથડાતાં બેનાં મૃત્યુ, 20 કલાક પછી પણ લોકો લટકતી કૅબલ કારમાં ફસાયા

    ઝારખંડના દેવઘરમાં અધિકારીઓ અનુસાર બાબા બૈદ્યનાથ મંદિર પાસે તિરકુટના પહાડો પર રોપવેની કેબલ કાર અથડાતાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    એનડીટીવીના અહેવાલ અનુસાર અધિકારીઓ મુજબ 48 લોકો હજી પણ 12 કૅબિનોમાં ફસાયેલા છે અને ભારતીય વાયુસેનાની મદદથી રેસ્ક્યુ ઑપરેશન હજી ચાલી રહ્યું છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર દુર્ઘટનામાં 10 પર્યટકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.દુર્ઘટના રવિવાર બપોરે સાડા ચાર વાગ્યે થઈ. આમાંથી એક વ્યક્તિનું રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

    આ દુર્ઘટના તકનીકી ગરબડને કારણે કેબલ કૅબિનો અથડાતાં થઈ હોવાની માહિતી છે, જોકે અધિકારીઓનું કહેવું છે કે સાચું કારણ હજી નક્કી નથી.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર રોપવેના મૅનેજર અને અન્ય કર્મચારીઓ દુર્ઘટનાસ્થળેથી ભાગી નીકળા હતા.

    એનડીટીવીના અહેવાલ અનુસાર દેવઘરના ડેપ્યુટી કમિશનર મંજૂનાથ ભજનત્રીએ જણાવ્યું છે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમોને ઘટનાસ્થળે રવાના કરાઈ છે.

    ડેપ્યુટી કમિશનર અનેસુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ સુભાષચંદ્ર જાટ રેસ્ક્યુ ઑપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.

    ભજનત્રીનું કહેવું છે કે સ્થાનિક ગામવાસીઓ પણ એનડીઆરએફને રેસ્ક્યુ ઑપરેશનમાં મદદ કરી રહ્યા છે.

    પીટીઆઈ અનુસાર ભજનત્રીએ કહ્યું, "પર્યટકોને સુરક્ષિત ઍરલિફ્ટ કરવા માટે દરેક પ્રયત્ન કરાઈ રહ્યો છે.રવિવાર રાતથી કામ કરી રહેલી એનડીઆરએફે 11 લોકોને બહાર કાઢ્યા છે."

    ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે રોપ-વેનું સંચાલન ખાનગી કંપની કરી રહી હતી.

  13. બ્રેકિંગ, ભરૂચના દહેજની કૅમિકલ કંપનીમાં વિસ્ફોટ બાદ આગ, છ લોકોનાંં મૃત્યુ

    રવિવારની મોડીરાત્રે ભરૂચ જિલ્લાના દહેજની ‘ઓમ ઑર્ગેનિક કંપની’માં વિસ્ફોટ બાદ આગ લાગવાને કારણે છ લોકોનાં મૃત્યુ થયાં છે.

    બીબીસીના સ્થાનિક પ્રતિનિધિ સાજિદ પટેલના જણાવ્યા પ્રમાણે, સવારે બે વગ્યા આસપાસ વિસ્ફોટ બાદ આગ લાગી હતી.

    વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કામદારોના મૃતદેહ ફંગોળાઈ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે દૂરથી તેની જ્વાળાઓ તથા ધૂમાડાના ગોટા જોઈ શકાતા હતા.

    ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે તજવીજ હાથ ધરી હતી. આગને ઓલવી દેવાયા બાદ છ શ્રમિકોના મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા પોલીસ વડાં સહિત ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને જાતનિરીક્ષણ કર્યું હતું.

    લીના પાટીલે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું, "દહેજ ખાતે આવેલી ઓમ ઑર્ગેનિક્સ કંપનીમાં આગનો બનાવ બનેલો છે. આ પ્લાન્ટ મિક્સ સૉલવન્ટ પ્લાન્ટ છે અને એ ડિસ્ટિલેશનનું કામ કરે છે તથા અલગ-અલગ રસાયણો બનાવે છે. આ દરમિયાન રિઍક્ટરમાં બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. અંદર છ કામદારો કામ કરી રહ્યા હતા, જેમનાં મૃત્યુ નીપજ્યાં હતાં. તેમના મૃતદેહોનેસિવિલ હૉસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે."

    હાલ ફેકટરીને કૉર્ડન કરી દેવામાં આવી છે તથા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોગ્ય તથા ફાયર સેફ્ટી વિભાગ દ્વારા કંપનીની સુરક્ષાવ્યવસ્થાની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ દહેજસ્થિત એક ખાનગી કંપનીમાં આગ લાગી હતી. જેમાં એક કામદારનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.

  14. બ્રેકિંગ, ભરૂચની કૅમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ, છ લોકોનાં મૃત્યુ

    ગુજરાતના ભરૂચમાં કૅમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થતાં છ કામદારોનાં મૃત્યુ થયાં છે.

    આ અંગે સમાચાર સંસ્થા પીટીઆઈએ પોલીસને ટાંકીને માહિતી આપી છે.

    ભરૂચના દહેજમાં ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કૅમિકલ ફેકટરીમાં ધડાકો થયો હોવાનું જાણવા મળે છે.

  15. અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ હવે ઇમરાન ખાનનું રાજકીય ભાવિ શું?

  16. મનીષ સિસોદિયા આજે ગુજરાતમાં, શિક્ષણવ્યવસ્થાનું કરશે નિરીક્ષણ

    સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગુજરાત પહોંચ્યા છે.

    ઍરપૉર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, "આજે હું ગુજરાતની મુલાકાતે છું અને ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, તેમણે શું કામ કર્યું છે, તે જોવા આવ્યો છું. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને પાંચ વર્ષ મળ્યાં, તો ત્યાં સરકારી શાળાઓની કાયાપલટ થઈ ગઈ."

    "અહીં તો ભાજપની 27 વર્ષથી સરકાર છે, તો મને એ જોવાનું મન છે કે ભાજપે 27 વર્ષમાં કેટલા સુધાર કર્યા છે. બાપુ અને સરદાર પટેલની ધરતી પર ઍજ્યુકેશનની વાત નહીં થાય, તો ક્યાં થશે?"

    આ પહેલાં તેમણે આ અંહે ટ્વીટ પણ કર્યું હતું, જેને આપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રિ-ટ્વીટ કરવમાં આવ્યું હતું.

    મનીષ સિસોદિયા જમીનમાર્ગે ભાવનગર જવાના છે અને શાળાની મુલાકાત લેવાના છે. ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ પરત ફરશે અને પાર્ટી મુખ્યાલયે પત્રકારો સાથે વાતચીત કરશે.

    દિલ્હીના શિક્ષણ મંત્રીએ ત્રણ વર્ષ જૂનો દિલ્હીની શિક્ષણવ્યવસ્થાનો કાયાપલટ દર્શાવતો વીડિયો પણ ટ્વીટ કર્યો હતો.

  17. હિંમતનગર અને ખંભાતમાં અથડામણ મામલે મોડી રાત્રે ગૃહમંત્રીની બેઠક

    ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર અને આણંદના ખંભાત ખાતે રામનવમી નિમિત્તે નીકળેલી રેલીમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બનતા માહોલ તંગ બન્યો છે. રાત્રે 11.30 વાગ્યે આ મામલે ગૃહમંત્રીએ બેઠક બોલાવી હતી.

    સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ ઘટના દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો, ટાયર-વાહનો સળગાવવાં અને અન્ય હિંસક ઘટનાઓ બની હતી. તેમજ પરિસ્થિતિ પર સ્થાનિક પોલીસે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો હતો. જોકે, ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

    આ સંદર્ભે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા રાત્રે 11.30 વાગ્યે બેઠક બોલાવાઈ હતી, જેમાં રાજ્યના ડીજીપી , રૅન્જ આઈજી, ગાંધીનગર રૅન્જ આઈજી, અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તથા એસઆરપી રૅપિડ ઍક્શન ફૉર્સના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

    મીડિયા અહેવાલો અનુસાર હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આ ઘટના બની હતી.

    પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગૅસ સેલ છોડવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંને તરફથી તીવ્ર પથ્થરમારો થતાં સ્થાનિક પોલીસે અન્ય તાલુકા અને જિલ્લાની પોલીસની મદદ લેવી પડી હતી.

    હિંમતનગરમાં બનેલી ઘટનામાં અમુક સ્થળોએ આગચંપી કરાઈ હોવાની જાણકારી મળી છે. રસ્તાઓ પર લોકોનાં ટોળાં પણ જોવાં મળી રહ્યાં હતાં.

  18. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.ગુજરાતમાં હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે અથડામણ, દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી આજે ગુજરાતમાં, શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે વધતો વિરોધ, પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડ્યા બાદ નવા વડા પ્રધાન માટે પ્રક્રિયા તેજ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ અહીં મેળવો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.આ અગાઉના સમાચાર વાંચો અહીં.