You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેનમાં યુદ્ધને લીધે માનવીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે- સંયુક્ત રાષ્ટ્ર
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થાએ ચેતવણી આપી છે કે યુક્રેનમાં માનવીય મદદની જરૂરિયાત ઝડપથી વધતી જઈ રહી છે. એજન્સી સાથે જોડાયેલા મેથ્યૂ સાલ્ટમાર્શે કહ્યું કે જો યુક્રેનમાં યુદ્ધ નહીં રોકાય તો પરિસ્થિતિ વધુ વણસશે.
લાઇવ કવરેજ
યુરોપિયન યુનિયનમાં સામેલ થવાની યુક્રેનની અરજી અમુક મહિનામાં મંજૂર કરાશે : ઝૅલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પોતાના તાજેતરના રાષ્ટ્રજોગ સંબોધનમાં યુરોપિયન યુનિયન કમિશનનાં ચીફ ઉર્સુલા વોન ડેર લિએન સાથે થયેલી પોતાની વાતચીત અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે આ વાતચીત બાદ યુક્રેનની યુરોપિયન યુનિયનમાં સામેલ થવાની થવાની અરજીના ફાસ્ટટ્રેક નિકાલ અંગે આશ્વાસન અપાયું છે.
ઝૅલેન્સ્કીએ જણાવ્યું કે વોન ડેર લિએને કહ્યું હતું કે, “તેઓ યુરોપિયન યુનિયનમાં યુક્રેનને સામેલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બનતા પ્રયાસો કરશે.”
ઝૅલેન્સ્કીએ કહ્યું હતું કે, “આપણે યુરોપિયન યુનિયનના પૂર્ણકાલીન સભ્ય બની જઈશું.”
“વહીવટીતંત્રની જે પ્રક્રિયા પૂરી કરતાં વર્ષોનો સમય લાગે છે તે માત્ર અમુક અઠવાડિયાં અથવા મહિનાઓમાં પૂર્ણ કરી દેવાશે.”
નરેશ પટેલની રાજકારણમાં આવવાની ચર્ચા વિશે વિજપ રૂપાણી શું બોલ્યા?
ધૂળેટીના દિવસે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પાટીદાર નેતા નરેશ પટેલના રાજકારણમાં આવવા વિશે નિવેદન આપ્યું છે.
નરેશ પટેલે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે તેઓ આવનારા દિવસોમાં ખુલાસો કરશે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં અને કયા પક્ષમાં જોડાશે. ત્યારે રાજકોટમાં ભાજપ કાર્યાલયે યોજાયેલા ધૂળેટીના કાર્યક્રમમાં નેતાઓ અને પદાધિકારીઓ જોડાયા હતા.
અહીં રૂપાણીએ કહ્યું કે નરેશ પટેલ ભાજપમાં આવશે અને બીજા પક્ષોમાં નહીં જાય.
ગુજરાતના 'ડૉલરિયા ગામ'ના બાપ-દીકરાની જોડીએ કઈ રીતે આચર્યું કરોડોનું કૌભાંડ?
મારિયુપોલના થિયેટરના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 130 લોકોને જીવિત કાઢ્યા
યુક્રેનના મારિયુપોલમાં રશિયાના હવાઈ હુમલાનો નિશાન બનેલા થિયેટરના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 130 લોકોને જીવિત કાઢવામાં આવ્યા છે.
અધિકારીઓ અનુસાર, આ થિયેટરના બેઝમૅન્ટમાં સેંકડો લોકોએ આશરો લીધો હતો. યુક્રેનના માનવાધિકાર કમિશનર અનુસાર આ થિયેટર પર રશિયાએ બૉમ્બમારો કર્યો હતો, આથી તે આખું તબાહ થઈ ગયું છે.
ટીવી પર આવેલા નિવેદનમાં માનવાધિકાર કમિશનર લ્યુડિમાઇલા ડેનિસોવાએ કહ્યું કે હજુ પણ રાહત અને બચાવકાર્ય ચાલુ છે.
અધિકારીઓ અનુસાર, હજુ પણ થિયેટરમાં 1300થી વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે.
રણનીતિક રીતે મહત્ત્વનું મારિયુપોલ શહેર રશિયાની ઘેરાબંધી છે અને યુદ્ધની શરૂઆતથી રશિયન સેના અહીં ભીષણ હુમલાઓ કરી રહી છે.
રિપોર્ટો અનુસાર, આ શહેરમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુક્રેનમાં સર્જાઈ માનવીય સંકટની સ્થિતિ?, સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થાએ ચેતવણી આપી છે કે યુક્રેનમાં માનવીય મદદની જરૂરિયાત ઝડપથી વધતી જઈ રહી છે
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થાએ ચેતવણી આપી છે કે યુક્રેનમાં માનવીય મદદની જરૂરિયાત ઝડપથી વધતી જઈ રહી છે. એજન્સી સાથે જોડાયેલા મેથ્યૂ સાલ્ટમાર્શે કહ્યું કે જો યુક્રેનમાં યુદ્ધ નહીં રોકાય તો પરિસ્થિતિ વધુ વણસશે.
યુક્રેનનાં જે ક્ષેત્રોમાં ભીષણ લડાઈ ચાલી રહી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. આ લોકોના ખાવાપીવા જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી નથી થઈ રહી. આવશ્યક સેવાઓ બાધિત થવાના કારણે દવાઓ જેવી જરૂરી વસ્તુઓ પણ લોકો સુધી નથી પહોંચી રહી.
તેમણે કહ્યું કે રશિયાની ઘેરાબંધીમાં ફસાયેલાં દક્ષિણનાં શહેરોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે અને અહીંથી આવનારા રિપોર્ટ અત્યંત ચિંતાજનક છે.
તેમણે કહ્યું, “સુમી અને મારિયુપોલ જેવાં શહેરોમાં માનવીય પરિસ્થિતિઓ અત્યંત વિકટ છે, અહીં રહી રહેલા લોકો પાસે ખાવા-પીવાની વસ્તુઓ નથી અને ઘણી જગ્યાએ લોકો ભૂખમરાનો શિકાર થઈ રહ્યા છે. પાણી અને દવા પણ ઉપલબ્ધ નથી.”
સાલ્ટમાર્શે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની શાંતિવાર્તા પર નજર છે અને જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે આ ક્ષેત્રો માટે પુરવઠો મોકલવામાં આવશે.
તેમણે કહ્યું કે ઓડેસામાં પ્રશાસને સાડા ચાર લાખ લોકો માટે ખાદ્યસામગ્રી અને દવાઓ માગી છે. આ લોકો અહીં ફસાયેલા છે.
કૉંગ્રેસના જી-23 નેતાઓ પર અધીર રંજન ચૌધરીએ ઉઠાવ્યા સવાલ
કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પાર્ટીના જી-23 સમૂહના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા છે. ચૌધરીનું કહેવું છે કે પાર્ટીમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે બળવો શરૂ કરી દેવાય.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું, “સોનિયા ગાંધીના દરવાજા તમામ કૉંગ્રેસના નેતાઓ માટે ખુલ્લા છે. જ્યારે કૉંગ્રેસે એકજૂટ થઈને લડવાની જરૂર છે ત્યારે કેટલાક ગણતરીના નેતા (જી-23ના નેતા) ગાંધી પરિવાર અને કૉંગ્રેસના હાઈ કમાન્ડ વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા છે.”
તેમણે આગળ કહ્યું, “જો તેમનો ઇરોદો સાચો હોય અને નિયત સાફ હોય તો આ લોકો સોનિયા ગાંધી સાથે બેસીને વાત કેમ નથી કરતા?”
અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે જી-23ના નેતાઓને જ્યારે કૉંગ્રેસની સરકારમાં મંત્રી બનાવવામાં આવી રહ્યા હતા અથવા તો પદ આપવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ અલગ રીતનો વ્યવહાર કરતા હતા.
ચૌધરીએ કહ્યું,”જ્યારે એ લોકો મંત્રી બન્યા હતા, રાજ્ય સભામાં ગયા ત્યારે ક્યો લોકતંત્રનો માર્ગ અપનાવીને તેમ કરવામાં આવ્યું હતું? આજે એ લોકો લોકતંત્રનો પાઠ ભણાવી રહ્યા છે, સમાવેશની વાત કરી રહ્યા છે. તમને સત્તાના સમયે બધું જ સોનેરી લાગતું હતું. અમે જાણીએ છે કે કોણ લોકતંત્રને કઈ રીતે માન્યતા આપે છે.”
રશિયા-યુક્રેન યુદ્ધનો 23મો દિવસ, અત્યાર સુધી શું-શું થયું?
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 23મો દિવસ છે. જાણો અત્યાર સુધી શું-શું થયું અને કઈ રીતે રશિયાએ હવે યુક્રેનના પશ્વિમ ક્ષેત્ર પર પણ હુમલો શરૂ કર્યો છે.
- યુક્રેનના સંરક્ષણ મંત્રાલય પ્રમાણે રશિયાએ હુમલો કર્યો ત્યારથી અત્યાર સુધી 14,200 રશિયન સૈનિકો માર્યા ગયા છે.
- યુક્રેનના પશ્ચિમમાં આવેલ શહેર લવીવમાં પહેલી વખત રશિયાએ હુમલો કર્યો છે. આ હુમલો ઍરપૉર્ટ પાસેના મેઇન્ટેનન્સ પ્લાન્ટ પર થયો.લવીવના મેયર પ્રમાણે રશિયાની મિસાઇલોએ ઍરક્રાફ્ટ રિપેર પ્લાન્ટ પર હુમલો કર્યો. હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
- બ્રિટનના પ્રસારણ નિયામક ઑફકૉમે રશિયા સમર્થિત બ્રૉડકાસ્ટર 'રશિયા ટુડે'ના પ્રસારણ લાઇસન્સને તાત્કાલિક ધોરણે રદ કરી દીધું છે.
- અમેરિકા અને બ્રિટનના સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે રશિયન સેનાએ હાલ કોઈ નવા વિસ્તાર પર કબજો જમાવ્યો નથી. તેમનું એ માનવું છે કે રશિયન સૈનિકોનું મનોબળ તૂટી રહ્યું છે અને સૈન્ય અછત સામે ઝૂઝી રહ્યું છે.
- યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિએવમાં ગોળીબાર ચાલુ છે પરંતુ યુક્રેનના સૈનિકો અડગ જણાઈ રહ્યા છે.
- પોલૅન્ડની બૉર્ડર ગાર્ડ એજન્સી પ્રમાણે યુદ્ધ શરુ થયા બાદથી અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લોકો યુક્રેનથી પોલૅન્ડ આવ્યા છે.
- સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મારિયુપોલમાં રશિયન સેના મોટા પાયે હુમલા કરી રહી છે.આ વચ્ચે લગભગ 30 હજાર લોકોને શહેરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
- જીવિત બહાર આવનારા લોકો વિષે કહેવામાં આવે છે કે તેઓ મારિયુપોલના થિયેટરમાંથી બહાર નીકળી રહ્યા છે. યુક્રેન પ્રમાણે આ થિયેટર પર રશિયાએ બૉમ્બમારો કર્યો હતો. તે સમયે ત્યાં ઓછામાં ઓછા એક હજાર લોકોએ આશરો લીધો હતો.
- અધિકારીઓનું કહેવું છે કે રાત્રિ દરમિયાન કિએવમાંથી એક હજારથી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ લોકોને બસ અને કારમાં લાવવામાં આવ્યા હતા.
નાસાના એસએલએસ મૂન રૉકેટનું પર્દાપર્ણ, મૂન મિશન માટે થઈ રહી છે તૈયારી
અમેરિકન સ્પેસ એજન્સી નાસા ચંદ્ર તરફ પોતાના વધુ એક મિશનની તૈયારીમાં લાગી છે.
એજન્સી પહેલી વખત પોતાના રૉકેટ વિશાળ મૂન રૉકેટને લઈને સામે આવી છે.આ રૉકેટનું નામ છે સ્પેસ લૉન્ચ સિસ્ટમ (એસએલએસ).
આ રૉકેટને ફ્લોરિડાના કૅનેડી સ્પેસ સૅન્ટર લઈ જવામાં આવી રહ્યું છે.જ્યાં એક ડમી કાઉન્ટડાઉન કરવામાં આવશે.
જો બધું જ યોગ્ય રહ્યું તો આ રૉકેટને મિશન માટે તૈયાર ઘોષિત કરવામાં આવશે અને આગામી કેટલાક મહિનાઓમાં ક્રૂ વગર એક ટેસ્ટ કૅપ્સૂલ ચંદ્ર પાસે મોકલવામાં આવશે.
આશા છે કે આ દાયકાના અંત સુધીમાં એસએલએસ રૉકેટ દ્વારા અંતરિક્ષ યાત્રીઓને ફરી એક વખત ચંદ્રની સપાટી પર મોકલવામાં આવશે.
એક તરફ નાસા એસએલએસને વિકસિત કરી રહી છે. તો બીજી બાજુ એલન મસ્ક તેનાંથી પણ મોટું રૉકેટ તૈયાર કરવા લાગી ગયા છે.મસ્કની રિસર્ચ ઍન્ડ ડૅવલપમેન્ટ ટીમ તેના પર કામ કરી રહી છે.
દિલ્હી નગરનિગમની ચૂંટણી ટાળવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી આમ આદમી પાર્ટી
દિલ્હી નગરનિગમ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. પાર્ટીએ માગ મૂકી છે કે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને તાત્કાલિક ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણીપંચને આદેશ આપે.
દિલ્હીમાં નગરનિગમ ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં જ કેન્દ્ર સરકારે ચૂંટણીપંચને જાણકારી આપી કે તેઓ બજેટસત્રમાં ત્રણ નિગમોના એકત્રીકરણ માટે મુસદ્દો લાવી રહી છે.
સરકાર પાસેથી આ જાણકારી મળ્યા બાદ ચૂંટણીપંચે દક્ષિણ, ઉત્તર અને પૂર્વ દિલ્હી નગરનિગમની ચૂંટણીની ઘોષણાને રોકી દીધી હતી.
હવે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ અંકુશ નારંગ અને મનોજકુમાર ત્યાગી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
અરજીમાં માગ કરવામાં આવી છે કે મે 2022માં દિલ્હી નગરનિગમોનો કાર્યકાળ ખતમ થાય તે પહેલા ચૂંટણી યોજાવી જોઈએ.
આ વખતે નગરનિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ આમનેસામને છે.
ભારત હિંદુઓ અને મુસ્લિમો, બન્નેનો દેશ, ભેદભાવ બરોબર નથી : નાના પાટેકર
‘ધ કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. ફિલ્મને લઈને સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
બૉલીવુડ અભિનેતા નાના પાટેકરને જ્યારે ફિલ્મને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ભારત હિન્દુ અને મુસ્લિમ, બન્નેનો દેશ છે અને કોઈ પણ પ્રકારનું વિભાજન કે ભેદભાવ ઠીક નથી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પાટેકરે એમ પણ જણાવ્યું કે તેમણે અત્યાર સુધી આ ફિલ્મ જોઈ નથી અને ફિલ્મને લઈને તેઓ ટિપ્પણી નહીં કરે.
તેમણે આગળ જણાવ્યું કે કોઈ પણ ફિલ્મને લઈને વિવાદ ઊભો ન થવો જોઈએ.
એક એવું ફૂલ, જેનાં પાંદડાં 50 કિલોના માણસનું વજન ઉઠાવી શકે
સામાન્ય રીતે કોઈ પાંદડા પર તમે વજન મૂકો તો તે ડૂબી જાય છે, પણ આ એવાં પાંદડાં છે, જેની ઉપર 50 કિલોનું વજન આવે છતાં પાણી પર તરતાં રહે છે.એટલે જ તેમને જાયન્ટ લીલી કહેવામાં આવે છે.
જેમનું વૈજ્ઞાનિક નામ 'વિક્ટોરિયા અમેઝોનિકા' છે.એમેઝોનનાં જંગલોમાં તે જોવા મળે છે.
આંધ્ર પ્રદેશની યોગી વામન યુનિવર્સિટીના બૉટનિકલ ગાર્ડનમાં તેમણે ખાસ આકર્ષણ ઊભું કર્યું છે.
યુક્રેન સંકટ અંગે બાઇડન - જિનપિંગ વચ્ચે આજે થશે વાતચીત
યુક્રેનમાં ચાલી રહેલા સંકટ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ટૅલિફોનિક વાતચીત થશે.
ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે, બાઇડન પોતાના ચીની સમકક્ષને એ ચેતવણી આપશે કે જો અત્યાર સુધી લગાવવામાં આવેલા પ્રતિબંધોથી ચીન રશિયાને બચાવશે તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે.
નવેમ્બરમાં યોજાયેલી એક વીડિયો સમિટ બાદ આજે પહેલી વખત જિનપિંગ અને બાઇડન વાત કરશે. યુક્રેન સંકટ વચ્ચે રશિયા સામે અમેરિકાનું વલણ આકરું છે તો ચીનનું વલણ રશિયાના સમર્થનમાં દેખાઈ રહ્યું છે.
એવામાં વાતચીત દ્વારા મતભેદોને દૂર કરવાનો પણ પ્રયત્ન રહેશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સૅક્રેટરી જેન સાકીએ કહ્યું કે શી જિનપિંગનું વલણ શું છે, તે જાણવા માટે આ વાતચીત મહત્ત્વપૂર્ણ રહેશે.
સાકીના જણાવ્યા પ્રમાણે, વેપાર અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનના મુદ્દે પણ વાતચીત થશે.
રશિયન સેના પાસે ભોજન અને ઇંધણ જેવી જરૂરી વસ્તુઓની અછત: બ્રિટન
યુક્રેનમાં રશિયાના હુમલાનો શુક્રવારે 23મો દિવસ છે. હવે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયની ગુપ્ત રિપોર્ટ અનુસાર રશિયાને યુક્રેનમાં પોતાનો હુમલો ચાલુ રાખવામાં તકલીફ પડી રહી છે. આ રિપોર્ટ અનુસાર રશિયાને યુક્રેનમાં કેટલીક જરૂરી વસ્તુઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સીમિત ગતિશીલતા અને ઍર સપોર્ટમાં અછતના કારણે રશિયન સૈનિકો પોતાના અન્ય સાથીઓ સુધી ભોજન અને ઇંધણ જેવી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સક્ષમ નથી જણાઈ રહ્યા. રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે યુક્રેનના સૈનિકોના સતત પલટવારના કારણે રશિયાને પોતાની સપ્લાય લાઇન બચાવવા માટે પણ સૈનિકો રોકવા પડી રહ્યા છે. આ કારણથી રશિયાની હુમલો કરવાની ક્ષમતા પણ ઘટી છે.
યુક્રેન સંકટ: તુર્કી સાથેની વાતચીતમાં પુતિને મૂકી પોતાની શરતો
યુક્રેન સંકટમાં તુર્કીએ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે. એવામાં તેનું પરિણામ પણ જોવા મળ્યું છે.
ગુરુવારે બપોરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ્પ આર્દોઅનને ફોન કર્યો અને યુક્રેન સાથે શાંતિ સમજૂતી માટે રશિયાની વાસ્તવિક માગ કઈકઈ છે?
બીબીસી વર્લ્ડ અફૅર્સ ઍડિટર જૉન સિંપસને આ ફોનકૉલની ગણતરીની મિનિટો બાદ તુર્કીના રાષ્ટ્રપતિના પ્રવક્તા અને સલાહકાર ઇબ્રાહિમ કલિનનો ઇન્ટરવ્યૂ કર્યો. કલિન પ્રમાણે, રશિયાની માગ બે કૅટેગરીમાં આવે છે. શરુઆતી ચાર માગ એવી છે જે યુક્રેન માટે પૂરી કરવી મુશકેલ નથી.
આ માગોમાંની એક છે કે યુક્રેન એ સ્વીકારે કે તે ન્યૂટ્રલ રહે અને નેટોમાં સામેલ ન થાય. આ એવી માગ છે જેના પર યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી પહેલેથી બોલી ચૂક્યા છે.
આ કૅટેગરીમાં જે અન્ય માગ છે તેમાં યુક્રેને નિશસ્ત્રીકરણની પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની રહેશે. જેનાથી સાબિત થાય કે તે રશિયા માટે ખતરારૂપ નથી.
યુક્રેનમાં રશિયન ભાષા માટે સુરક્ષા હોવી જોઈએ અને “ડિ-નાઝીફિકેશન”ની પણ વાત છે. આ માગ ઝૅલેન્સ્કીને પરેશાન કરનારી છે. ઝૅલેન્સ્કી ખુદ યહૂદી છે અને તેમના કેટલાક પરિવારજનો હૉલોકાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા પરંતુ તુર્કીનું માનવું છે કે ઝૅલેન્સ્કી માટે આ સ્વીકારવું મુશકેલ નહીં હોય.
કદાચ યુક્રેન માટે આ પર્યાપ્ત હશે કે તેઓ નિઓ-નાઝીવાદની નિંદા કરે અને તેના પર ગાળિયો કસવાનો વાયદો કરે.
બીજી કૅટેગરી એવી માગોની છે જેમાં યુક્રેનને તકલીફો પડી શકે છે. કલિને આ વિષે ખુલીને કંઈ ન કહ્યું. તેમણે કહ્યું કે આ માગમાં પૂર્વ યુક્રેનના ડોનબાસ ક્ષેત્રની સ્થિતિ શામેલ છે.
પૂર્વ યુક્રેનના કેટલાક વિસ્તારો પર રશિયા પહેલેથી દાવો કરી ચૂક્યું છે. આ સાથે જ ક્રાઇમિયાની સ્થિતિ પર પણ તેમનું જોર છે. બીજી વાત એ છે કે રશિયા માગ કરશે કે ક્રાઇમિયાને યુક્રેન ઔપચારિક રીતે સ્વીકારે. જેના પર 2014માં રશિયાએ કબજો કરી લીધો હતો.
યુક્રેન-રશિયા યુદ્ધના 22મા દિવસે શું-શું થયું?
રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા ઘણા દિવસોથી સંઘર્ષ સતત ચાલુ છે.
દરેક પસાર થતાં દિવસની સાથે યુક્રેન પર રશિયન સૈન્યદળોનું આક્રમણ વધુ તીવ્ર બનતું જઈ રહ્યા હોવાના અહેવાલ છે.
બીજી તરફ અમેરિકા દ્વારા યુક્રેનને નાણાકીય સહાયની સાથોસાથ શસ્ત્રસહાય તરીકે ડ્રોન પૂરા પાડવામાં આવશે તેવા અહેવાલ સામે આવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયાન સૈન્યને યુક્રેનમાં ભારે નુકસાન વેઠવું પડ્યું હોવાનો દાવો કર્યો છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ-દુનિયાના મહત્ત્વના સમાચારો અને અપડેટ રજૂ કરીશું.