You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ભારત માટે દુવિધા વધી જશે?

રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપી દીધી છે. તેમનું નિયંત્રણ રશિયા સમર્થિત અલગતાવાદીઓ કરી રહ્યા છે.

લાઇવ કવરેજ

  1. 'રશિયા ફરી સોવિયેત સંઘના જૂના સ્વરૂપને પુનર્જીવિત કરવા માગે છે' : યુક્રેનના સંરક્ષણ મંત્રી

    યુક્રેનના સંરક્ષણ મંત્રી ઓલેક્સી રેઝનીકોવે મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર સોવિયત સંઘના જૂના સ્વરૂપમાં લાવવાના પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો છે.

    કીવના સશસ્ત્રદળોને સંબોધિત કરીને પત્રમાં ઓલેક્સી રેઝનીકોવે લખ્યું છે કે પૂર્વીય યુક્રેનમાં બે અલગ-અલગ વિસ્તારોને સ્વીકાર કરવાનો નિર્ણય જણાવે છે કે રશિયા 1991માં તૂટી પડેલા સોવિયેત સંઘને પુનર્જીવિત કરવા તરફ એક પગલું આગળ વધી ગયું છે.

    તેમણે લખ્યું કે, “રશિયા સોવિયેત સંઘને પુનર્જીવિત કરવા તરફ વધી રહ્યું છે. નવા વૉરસોપૅક્ટ અને નવી બર્લિન વૉલની સાથે માત્ર યુક્રેન અને યુક્રેનની સરહદ આ દિશામાં છેલ્લો પડકાર છે.”

    “પોતાના દેશ, પોતાના ઘર અને સંબંધીઓની રક્ષા કરવાની દિશામાં અમારી સામે સરળ વિકલ્પ છે. અમારા માટે કંઈ નથી બદલાયું. અમારી સામે કેટલાક મોટા પડકારો છે."

    ઉલ્લેખનીય છે કે રશિયાના રષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના અલગતાવાદીઓના નિયંત્રણવાળા બે વિસ્તારોને માન્યતા આપી છે.

    આ દરમિયાન બ્રિટનના આરોગ્ય મંત્રી સાજિદ જાવેદે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થઈ ગયો છે અને આ ધ્યાનમાં રાખતા અત્યારે બ્રિટન રશિયા પર પ્રતિબંધ લાદશે.

  2. રશિયાના છેલ્લા ઝારને જ્યારે પરિવાર સામે જ પૉઇન્ટ બ્લેન્ક ઠાર કરવામાં આવ્યા

    1917ના ફેબ્રુઆરીમાં રશિયન ક્રાંતિ બાદ સત્તા પરથી પદભ્રષ્ટ થયા બાદ નિકોલસ દ્વિતીય અને તેમના આખા પરિવારને પહેલાં તબોલ્સ્ક મોકલવામાં આવ્યો હતો. પછી તેઓ ક્યારેય પાછા ન ફરી શક્યા.

    સાઈબેરિયામાં બૈકાલ સરોવરની દક્ષિણે આવેલા ઈરસ્કુક નામના એક નગરમાં 1916માં એક મોટા સમારંભ યોજવામાં આવ્યો હતો. તેના આયોજનનો હેતુ દુર્ગમ વિસ્તારોમાં વિશ્વ યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહેલા લોકોનું મનોબળ વધારવાનો હતો. રશિયાના ઝાર એટલે કે મહારાજા નિકોલસ દ્વિતીય એ સમારંભના મુખ્ય અતિથિ હતા.

    તેઓ એક જ વર્ષમાં ફરી સાઈબેરિયા આવશે અને એ પણ રશિયાના ઝારના સ્વરૂપમાં નહીં, પરંતુ એક કેદીના સ્વરૂપમાં, સામાન્ય નાગરિક તરીકે આવશે એવી કલ્પના કોઈએ કરી ન હતી.

    હજારો રાજકીય કેદીઓને સાઈબેરિયામાં બળજબરીથી મજૂરી કરાવવાની કે દેશનિકાલની સજા આપનારા નિકોલસ દ્વિતીય પોતે એક કેદીના સ્વરૂપમાં ત્યાં જશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું સુદ્ધાં ન હતું.

    1917ના ફેબ્રુઆરીમાં રશિયન ક્રાંતિ બાદ સત્તા પરથી પદભ્રષ્ટ થયા બાદ નિકોલસ દ્વિતીય અને તેમના આખા પરિવારને પહેલાં તબોલ્સ્ક મોકલવામાં આવ્યો હતો.

    તબોલ્સ્કમાં સાઈબેરિયાની સૌથી મોટી જેલ હતી, પરંતુ તેમને ક્ષેત્રીય ગવર્નરના આલિશાન બંગલામાં રાખવામાં આવ્યા હતા એ સંયોગની વાત હતી. થોડા દિવસ પછી તેમને એકાટેરિનબર્ગ મોકલી આપવામાં આવ્યા હતા. 1918ના જુલાઈમાં રશિયાના નેતૃત્વએ નિકોલસ દ્વિતીયને તેમના પરિવાર સાથે ખતમ કરી નાખવાનો નિર્ણય લીધો હતો.

  3. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નિર્ણયથી ભારત દુવિધામાં પડી ગયું?

    યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે.

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના નિર્ણયથી બંને દેશો યુદ્ધની આશંકા વધુ ઘેરી બની ગઈ છે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    પુતિને પૂર્વીય યુક્રેનના બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે.

    વ્લાદિમીર પુતિને આ વિસ્તારોમાં રશિયન સૈનિકોને જવાનો આદેશ પણ આપ્યો છે.

    પશ્ચિમી દેશો તરફથી આ નિર્ણયને લઈને કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમેરિકા તથા યુરોપ રશિયા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી શકે છે.

    યુક્રેન સંકટ ભારતમાં દુવિધાનો વિષય છે. ઐતિહાસિક રૂપે ભારત યુક્રેનના મામલામાં રશિયા સાથે રહ્યું છે પરંતુ હવે પરિસ્થિતિ 2014 કરતા અલગ છે.

    2014 માર્ચમાં રશિયાએ યુક્રેનના ક્રિમિયા વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો હતો ત્યારે ભારતે બહુ સાંચવીને પ્રતિક્રિયા આપી હતી અને જે આપી હતી અને તે રશિયાના પક્ષમાં હતી.

    માર્ચ 2014માં જ્યારે રશિયાએ ક્રિમિયાને પોતામાં ભેળવી લીધું ત્યારે ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહની સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા શિવ શંકર મેનનને કહ્યું હતું, ''રશિયાના ન્યાયસંગત હિતો ક્રિમિયામાં છે.'' એટલે ભારતે ક્રિમિયાને રશિયામાં ભેળવી લેવાનો વિરોધ નહોતો કર્યો.

    ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતના સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું, ''હું એ બધા જ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે ક્રિમિયામાં રશિયાની કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. ચીનનો પણ આભાર વ્યક્ત કરું છું, જેના નેતૃત્વમાં ક્રિમિયામાં રશિયાનાં પગલાંનું સમર્થન કર્યું. અમે ભારતના સંયમ અને નિષ્પક્ષતાની સરાહના કરીએ છીએ."

    ત્યારે ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવ નહોતો. ચીને એપ્રિલ 2020માં પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની 'યથાસ્થિતિમાં ફેરફાર' કરી દીધો હતો.

    આને લઈને બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અત્યારે પણ સરહદ પર તણાવ છે અને હજી પણ એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ એલએલસી પર નથી સ્થાપિત થઈ.

    સરહદ પર ચીનની આક્રામકતાને જોતાં ભારતને રશિયાની જરૂર છે એટલી જ અમેરિકા અને યુરોપની પણ છે.

    યુક્રેનને લઈને રશિયા અને પશ્ચિમના દેશો સામ-સામે છે એવામાં ભારત ન તો કોઈ એકનો પક્ષ લઈ શકે છે અને ન ચૂપચાપ પરિસ્થિત જોઈ શકે છે.

    ભારતની સાથે સરહદ પર ચીનની આક્રામકતાને લઈને અમેરિકા ભારતનું સમર્થન કરતું આવ્યું છે.

    રશિયાએ કોઈનો પક્ષ નથી લીધો.

    ભારતની ચૂપકિદી શું સંકેત આપે છે?

    એશિયા પ્રોગ્રામના ઉપનિદેશક અને ધ વિલસન સેન્ટરમાં સાઉથ એશિયાના એસોસિએટ માઇકલ કગલમૅને ટ્વીટ કરીને કહ્યું, ''રશિયાને લઈને ભારતનું વલણ ચોંકાવનારું નથી. આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પણ થઈ. 2014 માં રશિયાએ જ્યારે ક્રિમિયાને ભેળવી લીધું ત્યારે ભારતે મર્યાદિત પ્રતિક્રિયા આપી હતી. આને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ લાવવામાં આવ્યો તો ભારત વોટિંગથી બહાર રહ્યું હતું. ભારતનું વલણ આજે પણ એવું જ છે. મને ખબર છે કે અમેરિકા પણ આ વાતને કમને સ્વીકારે છે."

    પોતાના બીજા ટ્વીટમાં માઇકલ કગલમૅને લખ્યું કે,'પરંતુ 2014ની સરખામણીમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત થયા છે. દિલ્હી પર હવે વધારે દબાણ છે. જો યુુક્રેન પર રશિયા હુમલો કરી દે અને યુદ્ધ શરૂ થઈ જાય તો ભારત માટે ખરાબ પરિસ્થિતિ ઊભી થશે.'

    ''ભારતની મૂકદર્શકની ભૂમિકા તેના માટે હવે સરળ રસ્તો નહીં રહે. પરંતુ યુક્રેન પર હુમલો નહીં પણ થાય તો પણ ભારત માટે પરિસ્થિતિ કપરી બનશે. જો રશિયા મર્યાદિત સૈન્ય કાર્યવાહી કરશે તો તેની પર પ્રતિબંધ લાદવામાં આવશે અને ચીન આનાથી મજબૂત બનશે અને અમેરિકાનું ધ્યાન પણ વહેંચાશે. આ પરિસ્થિતિઓ ભારતના હિતમાં નથી.''

    ઇન્ડો-પેસિફિક વિશ્લેષક ડેરેક જે ગ્રોસમૅને ટ્વીટ કરીને કહ્યું કે, "યુક્રેન પર રશિયાની આક્રામકતાની ટીકા નહીં કરવાનો ભારતનો નિર્ણય ચોંકાવનારો છે. ભારત રશિયાથી સાથેના દ્વિપક્ષીય સંબંધ ખરાબ નથી કરવા માગતું. ક્વૉડમાં ભારત એકમાત્ર દેશ છે જે રશિયાની આક્રામકતાની અવગણના કરે છે. ખરેખર આ એક વિચિત્ર વાત છે."

    "રશિયા અને યુક્રેનને લઈને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક થઈ રહી છે. અહીં જ ખબર નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈને ચીનનું વલણ શું છે. વધારે આશા રાખવાનો અર્થ નથી."

    ગ્રોસમૅને લખ્યું છે, "આજે પુતિને કહ્યું કે યુક્રેન રશિયાની આંતરિક બાબતો છે. અત્યાર સુધી ચીન તાઇવાનને લઈને કહેતું હતું."

  4. યુક્રેનના એ બે વિસ્તારોની સ્વતંત્રતાને રશિયાએ માન્યતા આપી

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના બે વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કની આઝાદીને માન્યતા આપીને હોબાળો મચાવી દીધો છે.

    આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયાના વલણને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    આ બે વિસ્તારો કયા છે?

    રશિયા નજીક પૂર્વીય યુક્રેનની સરહદ પાસે આ બે વિસ્તારો લોકો દ્વારા સ્વઘોષિત ગણતંત્રો દોનેત્સ્ક અને લુહાન્સ્ક આવેલા છે.

    બંને વિસ્તારોમાં રશિયાના સમર્થક અલગતાવાદીઓની બહુમતી છે જેઓ 2014થી યુક્રેનની સેના સામે લડી રહ્યા છે.

    પુતિનનું કહેવું છે કે તેઓ આ બંને વિસ્તારોમાં કથિત શાંતિ જાળવવા માટે રશિયન સૈનિકો મોકલશે પરંતુ પશ્ચિમના દેશો માને છે કે પુતિન યુક્રેન પર હુમલો કરવા માટે રસ્તો તૈયાર કરી રહ્યા છે જેનો નિશાનો સ્વઘોષિત ગણતંત્રોથી પણ આગળ છે.

    દોનેત્સ્ક અને લુહાન્સ્કના વિસ્તારોમાં મોટાભાગની જગ્યાઓ પર યુક્રેનનું નિયંત્રણ છે.

  5. રશિયા-યુક્રેન તણાવ : અત્યાર સુધી શું-શું થયું

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જે જાહેરાતો કરી ત્યાર બાદ તણાવ વધી ગયો છે.

    આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઇમર્જન્સી બેઠક બોલાવી પડી હતી જેમાં અનેક દેશોએ શાંતિ જાળવવાની વિનંતી કરી હતી. તો જાણો અત્યાર સુધી શું-શું થયું

    • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં રશિયાના સમર્થક અલગતાવાદીઓના નિયંત્રણવાળા બે વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપી છે.
    • તેમણે કહ્યું કે રશિયા લુહાન્સ્ક અને દોનેત્સ્ક નામના બે વિસ્તારોમાં સેના મોકલશે, આનાથી આ વિસ્તારોમાં સૈનિક ઘર્ષણ શરૂ થવાનો ભય છે.
    • પુતિને કહ્યું કે આ સૈન્યદળો શાંતિ જાળવવા માટે કામ કરશે પણ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પ્રતિનિધિએ આને “નૉનસેન્સ” (બેકાર) વાત ગણાવી છે. અમેરિકા માને છે કે પુતિન હુમલા માટે તૈયાર છે.
    • પુતિનના સંબોધન બાદ યુએન સુરક્ષા પરિષદની બેઠક મોડી રાત્રે ન્યૂ યૉર્કમાં યોજાઈ હતી, જ્યાં અનેક દેશોએ શાંતિ અને રાજદ્વારી વાટાઘાટો મારફતે યુદ્ધ ટાળવાની ભલામણ કરી હતી.
    • રશિયાના રાજદૂતે કહ્યું કે તેમનો દેશ રાજદ્વારી વાટાઘાટો મારફતે સમાધાન માટે તૈયાર છે પરંતુ યુક્રેન પર સ્થિતિને તણાવપૂર્ણ બનાવવાનો પુતિનનો આરોપ પણ તેમણે ઉચ્ચાર્યો હતો. આ આરોપને યુક્રેન ફગાવે છે.
    • વિશ્લેષકોનું કહેવું છે કે પુતિન તેમના ભાષણમાં સંભવિત હુમલા માટે ભૂમિકા તૈયાર કરી રહ્યા છે.
    • તેમણે કહ્યું, "યુક્રેન એક અલગ દેશ હોય તેવો કોઈ ઇતિહાસ નથી અને આધુનિક યુક્રેનનું જે સ્વરૂપ છે, તે રશિયાએ બનાવેલું છે."
    • તેમણે યુક્રેન પર અમેરિકાની કઠપૂતળી હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે પશ્ચિમી દેશોના સૈન્ય ગઠબંધ નાટો રશિયાની સુરક્ષા માટે ખતરો છે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું યુક્રેન રશિયાથી ડરતું નથી.
  6. રશિયા જો યુક્રેન પર હુમલો કરે તો ભારત પર શી અસર થશે?

  7. યુક્રેન પર રશિયાનું આક્રમણ શરૂ થઈ ગયું છે - યુકે

    યુકેના હૅલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું કે, "યુક્રેન પર રશિયા તરફથી આક્રમણની શરૂઆત થઈ ગઈ છે એટલે બ્રિટન રશિયા પર પ્રતિબંધો લાદશે."

    તેમણે ન્યૂઝ ચેનલ સ્કાઈ ન્યૂઝને કહ્યું કે, "તમે એવું તારણ કાઢી શકો છો કે યુક્રેનમાં આક્રમણની શરૂઆત થઈ ગઈ છે."

  8. યુક્રેન સંકટ પર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે શું કહ્યું?

    યુક્રેન સંકટ પર ચાલી રહેલી સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે કહ્યું કે, "તમામ પક્ષો આ મામલે સંયમ કેળવે."

    સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, "ભારત યુક્રેન સંબંધિત ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે."

    તેમણે કહ્યું કે, "યુક્રેનની પૂર્વ સરહદ પર ચાલી રહેલા ઘટનાક્રમ અને રશિયા તરફથી કરાયેલી જાહેરાત પર ભારતની નજર છે."

    રશિયા અને યુક્રેનની સીમા પર વધી રહેલો તણાવ ગાઢ ચિંતાનો વિષય છે. આ ઘટનાઓથી વિસ્તારની શાંતિ અને સુરક્ષા પર અસર પડી શકે છે.

    ટી. એસ. તિરુમૂર્તિએ ભારતનો પક્ષ મૂકતાં કહ્યું કે,"તમામ પક્ષ આ મામલે સંયમ કેળવે.

    તેમણે કહ્યું કે, "તમામ દેશોનાં સુરક્ષાના હિતો અને આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે તણાવને ઓછો કરવાની જરૂર છે. આ મુદ્દે માત્ર વાટાઘાટથી જ સમાધાન થઈ શકે છે."

    ટી. એસ. તિરુમૂર્તિએ કહ્યું કે, "હાલમાં સંબંધિત પક્ષોએ તણાવ ઓછો કરવા જે પહેલ કરી છે, તેના પર વિચારવાની જરૂર છે."

    તેમણે મિન્સ્ક સમજૂતીને ટાંકીને કહ્યું કે, આ સમજૂતી વાતચીતના માધ્યમથી સમાધાનને આધાર આપે છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, આ મામલો સૈન્ય સ્તર સુધી પહોંચે, તેવું જોખમ લઇ શકાય તેમ નથી.

    ટી. એસ. તિરુમૂર્તિએ વધુમાં કહ્યું કે, "તણાવ ઓછો કરવા માટે રચનાત્મક કૂટનીતિની આવશ્યકતા છે."

    યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ યુક્રેનમાં રહેતા અને અભ્યાસ કરતા 20 હજારથી વધુ ભારતીય નાગરિકોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતનું ધ્યાન તેમની સુરક્ષા પર પણ છે.

  9. રશિયાએ બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી જંગની તૈયારી કરી લીધી છે?

  10. યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોને પરત લાવવા વિશેષ વિમાનની વ્યવસ્થા કરાઈ

    યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને જોતા તેમને પાછા લાવવા માટે ઍર ઇન્ડિયાનું એક વિશેષ વિમાન રવાના થઈ ગયું છે.

    પીએનબીના સમાચાર અનુસાર, ઍર ઇન્ડિયા ભારત-યુક્રેન વચ્ચે ત્રણ વિમાનોને સંચાલિત કરશે.

    એક વિમાન આજે એટલે 22 ફેબ્રુઆરીના ઉડાન ભરશે, ત્યાં જ બીજું વિમાન 24 ફેબ્રુઆરીના અને ત્રીજું વિમાન 26 ફેબ્રુઆરીના ઉડાન ભરશે.

    ઍર ઇન્ડિયાને ટાંકતાં સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે યુક્રેનથી ભારત આવનારા નાગરિકો ઍર ઇન્ડિયાની બુકિંગ ઑફિસ, વેબસાઇટ, કૉલ સેન્ટર અથવા આધિકારિક ટ્રાવેલ એજન્ટ્સના માધ્યમથી બુકિંગ કરાવી શકે છે.

    ઍર ઇન્ડિયાના પ્રથમ વિમાને આજે સવારે યુક્રેનથી ઊડાન ભરી હતી. આ ડ્રીમલાઇનર બી-787 ઍરક્રાફ્ટ છે.

    જેને વિશેષ સેવાઓ માટે ઉપયોગમાં લેવાય છે. આ વિમાનમાં 200થી વધારે સીટો છે. આ વિશેષ વિમાન યુક્રેનથી આજે રાત્રે દિલ્હી ઍરપોર્ટ પહોંચશે.

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક આદેશ જારી કર્યો છે. જે મુજબ, રશિયાની સેના લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં શાંતિ જાળવી રાખવાનું કામ કરશે.

    રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના આ બે અલગતાવાદી ક્ષેત્રોને માન્યતા આપી છે. આ આદેશ બાદ યુદ્ધની આશંકા વધી ગઇ છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

  11. અમેરિકાની મહાસત્તાને પડકારનારો વિશ્વનો સૌથી મોટો દેશ અચાનક જ કેમ તૂટી ગયો?

    સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને દાયકાઓ સુધી માત્ર એક જ દેશ પડકારવાની તાકાત ધરાવતો હતો, પણ એનું અસ્તિત્વ 25 ડિસેમ્બર 1991એ દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું.

    એ દિવસે સોવિયેટ સંઘના તત્કાલીન રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે ક્રેમલિનમાંથી દેશને સંબોધન કરતાં કહેલું, "સોવિયેટ સંઘના રાષ્ટ્રપતિ તરીકે હું મારું કામ બંધ કરી રહ્યો છું."

    એમનું આ ભાષણ આખી દુનિયાએ સાંભળ્યું. ઘણા બધા લોકો માટે એ જ ક્ષણથી શીતયુદ્ધ અને એક કમ્યુનિસ્ટ શક્તિ પૂરાં થઈ ગયાં હતાં. પરંતુ બીજી તરફ એવા લોકો પણ હતા જેઓ એમ માનતા હતા કે સોવિયેટ સંઘનું અસ્તિત્વ બેલાવેઝા ટ્ર્રીટીનાં અઠવાડિયાં પહેલાં જ નષ્ટ થઈ ગયું હતું.

    જોકે, એ જ વર્ષના ઑગસ્ટમાં થયેલા સત્તાપલટાના પ્રયાસ પછી એક મોટો ભાગ એવું સમજી ગયો હતો કે સોવિયેટ સંઘના ગણતરીના દિવસો બાકી છે.

    એ વરસની વસંતમાં જ ગોર્બાચોવ અને સંઘીય સરકારમાંના એમના સહયોગીઓ એક નવી સમજૂતી અંગે વાટાઘાટ કરતા હતા. સોવિયેટ સંઘના ઘટક દેશો સમક્ષ એક વધારે પરિવર્તનક્ષમ (ફ્લેક્સિબલ) સંઘનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેઓ માનતા હતા કે સોવિયેટ સંઘને બચાવી-જાળવી રાખવાનો આ જ આખરી માર્ગ બાકી બચ્યો છે.

  12. યુક્રેનમાં યુદ્ધના ભણકારા, રશિયાએ યુક્રેનને ચોતરફથી ઘેરવા કેવી સૈન્ય તૈયારી કરી છે?

    યુક્રેને રશિયા પર સમુદ્રમાં નાકાબંધી કરવાનો આક્ષેપ કર્યો છે. રશિયન નૌકાદળની કવાયતમાં 140 જહાજો અને સહાયક જહાજો, 60 વિમાન, 10,000 જવાનોનો સમાવેશ થાય છે.

  13. રશિયા પર પ્રતિબંધની માગ

    યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ રશિયા પર કડક પ્રતિબંધ લાદવાની માગ કરી છે.

    તેમણે કહ્યું કે, "અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકન સાથે વૉશિંગ્ટનમાં થનારી મુલાકાત પહેલાં તેમણે તેમની સાથે વાત કરી છે."

    ટ્વિટરના માધ્યમથી તેમણે જણાવ્યું કે, “મુખ્ય વિષય – પ્રતિબંધ. હું રશિયાની ગેરકાયેદસર કાર્યવાહીના વિરોધમાં તેમના પર કડક પ્રતિબંધોની માગ કરું છું.”

    યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ આ પહેલા પોતાના ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે, યુક્રેન માત્ર વાતચીત નહીં, તેનાથી વધારે આશા રાખે છે.

    તેમણે કહ્યું કે, "હવે આ જોવું મહત્વનું છે કે કોણ અમારું સાચું મિત્ર અને સહયોગી છે અને કોણ રશિયન સંઘને પોતાના શબ્દોથી ડરાવી શકે છે."

  14. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેના ગણતરીના કલાકોમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

    પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું કે," રશિયાની કાર્યવાહી યુક્રેનની અખંડિતતા અને સંપ્રભુતાનું ઉલ્લંઘન છે."

    તેમણે કહ્યું કે, "આપણી સીમાઓ પહેલાં જેવી જ છે અને તેવી જ રહેશે. કારણ કે રશિયાનાં નિવેદનોથી કોઈ ફરક નથી પડતો."

  15. યુક્રેનના બે વિસ્તારોની સ્વતંત્રતાને પુતિનની માન્યતા

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગતરાત્રે ટેલિવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, રશિયન સેના પૂર્વ યુરોપમાં દાખલ થશે અને અલગતાવાદી ક્ષેત્રોમાં શાંતિ સ્થાપવાનું કામ કરશે.

    રાષ્ટ્રપતિના આદેશાનુસાર રશિયન સેનાઓ લુહાન્સ્ક અને દોનેત્સ્કમાં શાંતિ સ્થાપવાનું કામ કરશે.

    રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારો દોનેત્સ્ક અને લુહાન્સ્કને માન્યતા આપી દીધી છે. તેમનું નિયંત્રણ રશિયા સમર્થિત અલગતાવાદીઓ કરી રહ્યા છે.

    પુતિને યુક્રેનની નિંદા કરતાં કહ્યું કે, "ત્યાં એક કઠપૂતળી શાસન છે અને યુક્રેન અમેરિકાની કૉલોની બની ગયું છે."

    તેમણે દાવો પણ કર્યો હતો કે, "યુક્રેન એક અલગ દેશ હોય તેવો કોઇ ઇતિહાસ નથી અને આધુનિક યુક્રેનનું જે સ્વરૂપ છે, તે રશિયાએ બનાવેલું છે."

    વ્લાદિમીર પુતિનના રાષ્ટ્રજોગ સંબોધન બાદ તેમણે ઘણા મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.

  16. ગુડ મૉર્નિગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે

    રશિયા-યુક્રેન તણાવ પર માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.