You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેમાં એક દિવસમાં કોરોનાના એક લાખ નવા કેસ, ઓમિક્રૉને ચિંતા વધારી
મંગળવારે યુકેની હૉસ્પિટલોમાં કુલ 8,008 લોકો સારવાર મેળવી રહ્યા હતા, જે 22 નવેમ્બર બાદ સૌથી વધારે છે. જોકે, ગત શિયાળામાં સ્થિતિ આથી પણ ખરાબ હતી.
લાઇવ કવરેજ
હેડ ક્લાર્ક પેપર લીક મામલે જેમના રાજીનામાની માગ થઈ રહી છે, એ અસિત વોરા કોણ છે?
હેડ ક્લાર્ક ભરતી પરીક્ષામાં મંગળવારે અપેક્ષા મુજબનો જ વળાંક આવ્યો. રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી અને સાથે જ આગામી માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
પોલીસ દ્વારા આ કેસમાં પેપર લીક કરનાર, પ્રિન્ટિંગ પ્રેસના માલિક તથા પેપર ખરીદનારાઓને આરોપી બનાવ્યા છે. જેમની સામે ફાસ્ટ-ટ્રૅક કોર્ટમાં ખટલો ચલાવવામાં આવશે.
બીજી બાજુ, કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ (જીએસએસએસબી)ના ચૅરમૅન અસિત વોરાના રાજીનામાની માગ કરવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને છાવરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ટ્વિટર સહિતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પણ અસિત વોરાના રાજીનામાની માગ થઈ રહી છે.
યુકેમાં દૈનિક કોરોના કેસની સંખ્યા 1 લાખને પાર
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, યુકેમાં પ્રથમ વખત દૈનિક કોરોના કેસની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે.
બુધવારના રોજ યુકેમાં રૅકર્ડબ્રેક 1,06,122 નવા કેસ નોંધાયા હતા.
મંગળવારે યુકેની હૉસ્પિટલોમાં કુલ 8,008 લોકો સારવાર મેળવી રહ્યા હતા. જે 22 નવેમ્બર બાદ સૌથી વધારે છે. જોકે, ગત શિયાળામાં આનાંથી પણ વધુ કેસ આવતા હતા.
જોકે, વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું હતું કે ક્રિસ્ટમસ પહેલાં કોઈ નિયંત્રણો લાદવામાં નહીં આવે.
કેટલાક લોકો માટે ગાય ભલે ગુનો છે, પણ અમારા માટે પૂજ્ય છે : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકોએ આપણા દેશમાં ગાય અને ગૌધનની વાત કરવાને ગુન બનાવી દીધો છે, પરંતુ ગાય ભલે કેટલાક લોકો માટે ગુનો છે, પરંતુ અમારા માટે માતા છે, પૂજ્ય છે.
તેમણે કહ્યું કે, ભેંસનો મજાક ઉડાવનારા લોકો એ ભૂલી જાય છે કે દેશના 8 કરોડ પરિવારોનું ગુજરાન પશુધનથી જ ચાલે છે. જોકે, દેશના ડેરી સૅક્ટરને મજબૂત કરવું એ અમારી સરકારની સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક છે.
નરેન્દ્ર મોદીએ બનારસ અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની મદદ કરવા માટે “બનારસ ડેરી સંકુલ”નો પણ શિલાન્યાસ કર્યો હતો.
આ સાથે ઉત્તર પ્રદેશના 20 લાખથી વધુ લોકોને ગ્રામીણ આવાસ અધિકારના રૅકોર્ડ ઘરૌની પ્રદાન કર્યા હતા.
લુધિયાણા વિસ્ફોટ : એકનું મૃત્યુ અને ચારથી વધુ ઈજાગ્રસ્ત, મુખ્ય મંત્રી ચન્ની લુધિયાણા જવા રવાના
લુધિયાણાના પોલીસ અધિક્ષકને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે આ વિસ્ફોટ કોર્ટના બીજા માળે આવેલા રૅકોર્ડરૂમ પાસે થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકોને ઈજા થઈ છે.
વિસ્ફોટની તપાસ માટે બૉમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફૉરેન્સિક્સની ટીમને ચંડિગઢથી બોલાવાઈ છે.
જ્યારે બીબીસી પંજાબીના સહયોગીના જણાવ્યા પ્રમાણે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે.
પંજાબના મુખ્ય મંત્રી ચરણજિત ચન્નીએ કહ્યું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રવિરોધી તત્ત્વો આ પ્રકારનાં કૃત્યો કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે તેઓ હાલ લુધિયાણા જઈ રહ્યા છે અને આ ઘટનામાં સામેલ લોકો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. ઈજાગ્રસ્તો જલદી જ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના તેમણે કરી છે.
બ્રેકિંગ, લુધિયાણા કોર્ટમાં થયો વિસ્ફોટ, સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા
પંજાબનાં લુધિયાણામાં ગુરુવારે બપોરના સમયે વિસ્ફોટ થયો છે.
આ વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્થ થયા હોવાની શક્યતા સેવાઈ રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
ઇઝરાયલની રા’મ પાર્ટીના મંસૂર અબ્બાસનું ચોંકાવનારું નિવેદન
ઇઝરાયલમાં રા’મ (યુનાઇટેડ આરબ લિસ્ટ) પાર્ટીના નેતા મંસૂર અબ્બાસનું એક નિવદેન ચર્ચામાં છે. મંસૂર અબ્બાસ આરબ પાર્ટીના પહેલા એવા પ્રમુખ છે, જે ઇઝરાયલની ગઠબંધન સરકારનો ભાગ છે.
તેમણે મંગળવારે કહ્યું કે ઇઝરાયલ એક યહૂદી રાષ્ટ્ર છે અને તેને બદલી શકાય નહીં. અબ્બાસનું આ નિવેદન ઇઝરાયલનાં તમામ પ્રમુખ સમાચારપત્રોમાં પ્રમુખતાથી છાપવામાં આવ્યું છે.
'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ' અનુસાર અબ્બાસે આરબ સમુદાયને સલાહ આપી છે કે તેમણે ઇઝરાયલની ઓળખને પડકારવા ને બદલે વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ.
મંસૂર અબ્બાસે આ નિવેદન તેલ અવીવમાં 'ગ્લોબ્સ ન્યૂઝ મૅગેઝીન'ની એક કૉન્ફરન્સમાં આપ્યું હતું. અબ્બાસની છબિ પહેલાંથી જ એવી છે કે તેઓ સરકારની સાથે રહીને પોતાના લોકો માટે કામ કરે છે.
મંગળવારે ઇસ્લામિક રા’મ પાર્ટીના અધ્યક્ષ અબ્બાસે કહ્યું હતું કે,“ઇઝરાયલનો જન્મ એક યહૂદી રાષ્ટ્ર તરીકે થયો હતો. યહૂદીઓએ જ યહૂદી રાષ્ટ્ર બનાવવાનો નિર્ણય લીધો હતો. તેના પછી સવાલ જ નથી બચતો કે રાષ્ટ્રની ઓળખ શું છે? જે રૂપે ઇઝરાયલનો જન્મ થયો, તે જ સ્વરૂપે રહેશે.”
દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ
ઓમિક્રૉન વૅરિયન્ટનાં કેસ વધતા રાજધાની દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એનડીટીવીના અહેવાલ મુજબ દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા ઑર્ડર મુજબ ક્રિસમસ તેમજ નવા વર્ષની ઉજવણી માટે થતા મેળાવડા કોરોના વાઇરસના સુપરસ્પ્રેડર બની શકે છે.
જેથી તમામ સત્તાધીશોને પોતાના સંલગ્ન વિસ્તારોમાં આવા સ્થળોની તપાસ કરીને ઉજવણી ન થાય તે માટે તકેદારી રાખવા સૂચના આપી છે.
આ ઉપરાંત બાર અને રૅસ્ટોરાંને પણ અડધી કૅપેસિટી સાથે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
જ્યારે સિનેમા, થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સ 100 ટકા કૅપેસિટી સાથે અને ઑડિટોરિયમ્સને 50 ટકા કૅપેસિટી સાથે ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
કોરોનાને લઈને ગુજરાતમાં પરીક્ષાઓ પાછી ઠેલવાઈ
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનને લઈને ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા પાછી ઠેલવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
'ઇન્ડિયન ઍક્સપ્રેસ'નાં અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે બુધવારે ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પાછી ઠેલવવાનો નિર્ણય લીધો છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નિયત તારીખ કરતાં બે અઠવાડિયાં મોડી યોજાશે. જ્યારે ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ 10 દિવસ પાછી ઠેલવાઈ છે.
બોર્ડનાં પરિપત્ર મુજબ નવું શૈક્ષણિક સત્ર 6 જૂનની જગ્યાએ 13 જૂનથી શરૂ થશે.
કોરોના સંક્રમણ વધતાં ચીનનાં શહેરમાં લૉકડાઉન
કોરોના સંક્રમણના વધતાં ચીનના શહેર શિયાનમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
એક કરોડ 30 લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરમાં લોકોને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
શાનશી પ્રાંતમાં સ્થિત શિયાન શહેરમાં 9 ડિસેમ્બર બાદથી 143 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
શહેરમાં બુધવારથી લાદવામાં આવેલા નવા પ્રતિબંધો પ્રમાણે, દર બે દિવસે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ જીવન જરૂરિયાતની સામગ્રીઓ ખરીદવા માટે બહાર જઈ શકશે.
ચીન કોરોના સંક્રમણ પ્રસરવાથી અટકાવવા માટે મોટા પાયે ટેસ્ટ કરવાની અને લૉકડાઉન લગાવવાની રણનીતિ અપનાતું રહ્યું છે.
ચીનમાં ફેબ્રુઆરી 2022માં યોજાનાર વિન્ટ ઑલિમ્પિક્સને લઈને પણ સતર્કતા વધી હોવાનું જણાઈ રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ શહેરમાં ડેલ્ટા વૅરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે ઓમિક્રૉનનાં કેસ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર આપનું સ્વાગત છે. અહીં આપને દિવસના તમામ મોટા સમાચારો અને અપડેટ રજૂ કરવામાં આવશે.