ગુજરાતના ચૂંટાયેલા 182 ધારાસભ્યમાંથી 40 સામે ગુનાહિત કેસ- એડીઆર
ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછા 40 નવા ધારાસભ્યો સામે ગુનાહિત કેસ દાખલ છે. આ માહિતી એડીઆરે ઉમેદવારોની એફિડેવિટને આધારે આપી છે.
આ 40 ધારાસભ્યોમાંથી 29 સામે ગંભીર કેસ દાખલ છે. તેમાં હત્યાના પ્રયાસ અને બળાત્કારના આરોપ પણ સામેલ છે.
આ 29 ધારાસભ્યોમાંથી 20 ભાજપના, ચાર કૉંગ્રેસના અને બે આમ આદમી પાર્ટીના છે, બે અપક્ષ અને એક સમાજવાદી પાર્ટીના છે.
ગુજરાતમાં થયેલી ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવીને 182માંથી 156 સીટ જીતી છે.
એડીઆરની તપાસ અનુસાર, ગુનાહિત કેસનો સામનો કરી રહેલા ધારાસભ્યોની સંખ્યા 2017 કરતાં ઓછી થઈ છે, ત્યારે 47 ધારાસભ્યો પર ગુનાહિત કેસ નોંધાયેલા હતા.
ધારાસભ્ય બનેલા કમસે કમ ત્રણ સભ્યોએ પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે હત્યાનો પ્રયાસ જેવા ગંભીર કેસ ચાલી રહ્યા છે. આ ધારાસભ્ય વાંસદાના કૉંગ્રેસના અનંત પટેલ, પાટણના કૉંગ્રેસના કીર્તિ પટેલ અને ઉનાના ભાજપના કાળુ રાઠોડ છે.
તપાસ અનુસાર, ચૂંટણી જીતનારા ચાર ધારાસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસ પણ ચાલી રહ્યા છે.
આ ચાર ધારાસભ્યોમાં ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે બળાત્કારનો કેસ છે, જ્યારે કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર આઈપીસીની કલમ 254 હેઠળ કેસ છે.

ઇમેજ સ્રોત, lpd.gujarat.gov.in











