You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

આણંદમાં વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ

ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી સેમિ-હાઈ સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ થયું છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ રેલવે પોલીસને ટાંકીને સંબંધિત માહીતી આપી છે.

લાઇવ કવરેજ

  1. કમલનાથના મંદિર જેવી કેક કાપવા અંગે વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન, કમલનાથના મંદિર જેવી કેક કાપવા પર વિવાદ, ભાજપે કહ્યું, હિન્દુઓનું અપમાન

    કૉંગ્રેસ પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથે પોતાના જન્મદિવસ પહેલા જે કેક કાપી હતી તેને લઈને વિવાદ ઉભો થયો છે.

    તેઓ એક કાર્યક્રમમાં મંદિરના આકારની કેક કાપતા જોવા મળ્યા હતા. કેકની ઉપર ‘હનુમાન ભગવાન’ની તસવીર પણ જોવા મળી રહી છે.

    તેમનો આ વીડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ભાજપે આઈટી સેલના પ્રભારી અમિત માલવીયાને કમલનાથ પર હિન્દુઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “મંદિર જેવી દેખાતી કેક પર ભગવો ઝંડો અને હનુમાન ભગવાનની તસવીર બનેલી છે અને તેઓ આ કેક પર ચપ્પુ ચલાવી રહ્યા છે. ચૂંટણી સમયે તેમણે હનુમાન ભક્ત હોવાનો દાવો કર્યો હતો અને હવે પોતાના દેવતાનું અપમાન કરીને કરોડો હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.”

    આ પહેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથ પર હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

    તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ કૉંગ્રેસીઓને ભગવાનની ભક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી, તેઓ બગલા ભક્તો છે. તેમની પાર્ટી એક સમયે શ્રીરામ મંદિરનો વિરોધ કરતી હતી. કેક પર બનેલા હનુમાનજી જોવે છે અને તેમ છતાં તેઓ કેક કાપી પણ રહ્યા છે. આ સનાતન પરંપરા અને હિન્દુ ધર્મનું અપમાન છે, જેનો આ સમાજ સ્વીકાર નહીં કરે.”

  2. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતોની મુક્તિના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી

    કેન્દ્ર સરકારે 11 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં દોષિત જાહેર થયેલાં નલિની શ્રીહરન સહિત તમામ છ દોષિતોને મુક્ત કરી દિધા હતાં.

    કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અરજી દાખલ કરી છે.

    કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ કેસ પૂર્વ વડા પ્રધાનની હત્યાનો છે એટલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો આપતા પહેલાં કેન્દ્ર સરકારનો પક્ષ સાંભળવો જોઈતો હતો.

    સરકારે કહ્યું છે છે આ મામલે જે અરજીઓ દાખલ કરવામાં આવી હતી, તે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવ્યા વિના દાખલ કરવામાં આવી હતી.

    સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ બી વી નાગરત્નની બૅન્ચે કહ્યું હતું કે, તમામ કેસમાં પણ આરોપી એ જી પેરારિવલનના કેસમાં આપવામાં આવેલો ચૂકાદો લાગુ થશે.

    આ વર્ષે 18 મેના દિવસે કોર્ટે બંધારણના અનુચ્છેદ 142માં આપવામાં આવેલી અસાધારણ શક્તિનો હવાલો આપીને પેરારિવલનને મુક્ત કરી દિધા હતા. તેઓ રાજીવ ગાંધી હત્યા કેસમાં 30 વર્ષ જન્મટીપની સજા કાપી ચૂક્યા હતા.

  3. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    17 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.

  4. આણંદમાં વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ

    ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી સેમિ-હાઈ સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' સાથે અથડાતાં એક મહિલાનું મૃત્યુ થયું છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ રેલવે પોલીસને ટાંકીને સંબંધિત માહીતી આપી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર બીટ્રિસ આર્ચીબૉલ્ડ પીટર નામનાં 54 વર્ષનાં આ મહિલા આણંદ રેલવેસ્ટેશન નજીક પાટા ઓળંગી રહ્યાં હતાં ત્યારે તેઓ ટ્રેન સાથે અથડાઈ ગયાં હતાં. મૂળે અમદાવાદનાં આ મહિલા આણંદમાં પોતાના સબંધીઓને મળવા આવ્યાં હતાં.

    'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેન ગાંધીનગર કેપિટલથી મુંબઈ સૅન્ટ્રલ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. આણંદ રેલવેસ્ટેશન પર આ ટ્રેન ઊભી રહેતી નથી.

    નોંધનીય છે કે ગત 30 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર કેપિટલ સ્ટેશન ખાતેની આ ટ્રેનને પહેલીવાર લીલી ઝંડી બતાવી હતી.

    ગત એક મહિનામાં આ ટ્રેનને ત્રણ વખતે પ્રાણીઓ સાથે અથડાવાથી નુકસાન પહોંચ્યું છે.

    6 ઑક્ટોબરે અમદાવાદના વટવા અને મણિનગર વચ્ચે ટ્રેન સાથે ભેંસ અથડાઈ હતી. 7 ઑક્ટોબરે ટ્રેન સાથે ગાય અથડાઈ હતી.

    જ્યારે ત્રીજી ઘટનામાં અતુલ રેલવેસ્ટેશન નજીક એક બળદ ટ્રેન સાથે અથઢાઈ ગયો હતો.

    મહત્ત્વપૂર્ણ છે કે 'વંદે ભારત' શ્રેણીની 'વંદે ભારત એક્સપ્રેસ' ત્રીજી સેમિ-હાઈ સ્પીડ છે.

  5. ઈસુદાન ગઢવી પત્રકારની કારકિર્દી છોડીને 'આપ'માં કેમ જોડાયા હતા?

  6. મોહનસિંહ રાઠવા ભાજપમાં કેમ જોડાયા?

    ભાજપમાં જોડાયા બાદ મોહનસિંહ રાઠવાએ પત્રકારપરિષદ યોજી હતી.

    પત્રકારપરિષદમાં મોહનસિંહ રાઠવાના ભાષણના મુદ્દા

    • સમય સમય બળવાન, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનૂષ, વહી બાણ. સમય બળવાન હોવાના લીધે આ જે પ્રસંગ ઉદ્ભવ્યો એને હું મારા જીવનનું સદભાગ્ય સમજું છું.
    • વિકાસનાં કામોની લાગણી મારા દિલમાં રહી છે.
    • મોદીસાહેબ પર વિશ્વાસ મૂકીને ભાજપમાં જોડાયો
    • મારે કોઈ પાર્ટી સાથે અણબનાવ નથી, કોઈનો વિરોધ નથી.
    • મારો પુત્ર રાજેશસિંહ સિવિલ એંજિનિયર છે. એણે મને કહ્યું એટલે ભાજપમાં જોડાયો છું.
  7. કૉંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા મોહનસિંહ રાઠવાનું રાજીનામું

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.

    વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને વરિષ્ઠ કૉંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

    તેઓ 11 વખત ચૂંટણી લડ્યા હતા અને 10 વખત ધારાસભ્ય બન્યા હતા.

    હવે એવી અટકળો વહેતી થઈ છે કે તેઓ તેમના પુત્ર સાથે ભાજપમાં જોડાઈ શકે છે.

    રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે 1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

    ગુજરાતમાં સતત 9 વખત ચૂંટાઈને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેનારા મોહનસિંહ રાઠવા 2012માં સતત વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો.

    ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે તેઓ 10મી વખત ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, 2017માં પોતાનો જ વિક્રમ પોતે તોડીને ગુજરાતના અવલ્લ નંબરના ધારાસભ્ય બન્યા હતા.

    છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાંથી રાઠવાનું પ્રભુત્વ રહેલું છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છેડાયો હતો.

    છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર ત્રણ નેતાનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા.

    ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે.

  8. ગુજરાત વિધાનસભા ચૂંટણી : આમ આદમી પાર્ટીએ વધુ સાત ઉમેદવારોની12મી યાદી જાહેર કરી

    ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વધુ સાત બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 12 યાદીમાં 157 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે.

    આઠ નવેમ્બરના રોજ જાહેર કરેલી યાદીમાં આપ દ્વારા અંજાર, ચાણસ્મા, દહેગામ, લીમડી, ફતેપુરા, સયાજીગંજ અને ઝગડિયા માટે ઉમેદવારો જાહેર કર્યા છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ અગાઉ જાહેર કરેલી યાદીમાં આપ દ્વારા દહેગામની બેઠક માટેવિદ્યાર્થી નેતા યુવરાજ સિંહનું નામ જાહેર કરાયું હતું. આજે જાહેર થયેલી યાદીમાં દહેગામ બેઠક પરથી યુવરાજ સિંહને બદલે હવે સુહાગ પંચાલને ઉમેદવાર બનાવાયા હતા.

  9. ગુજરાત ચૂંટણી : ભૂતપૂર્વ આઈપીએસ ડી જી વણઝારાએ રાજકીય પક્ષ સ્થાપ્યો

    ગુજરાત પોલીસના નિવૃત્ત આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લેવા માટે ‘પ્રજા વિજય પક્ષ’ની રચના કરી છે.

    નોંધપાત્ર બાબત એ છે પોતાના વિવાદાસ્પદ કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં થયેલા ઇશરત જહાં, સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના થયેલાં ઍન્કાઉન્ટરોમાં વણઝારાની ભૂમિકા બદલ તેમની સામે પોલીસ કેસ થયા હતા. જેને કારણે તેમણે લગભગ 8 વર્ષ સુધી અમદાવાદની સાબરમતી ઍન્ટ્રલ જેલમાં અને એક વર્ષ મુંબઈની જેલમાં રહેવું પડ્યું હતું.

    તેમના નવરચિત પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “દેશ આઝાદ થયા પછી અને ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પહેલા કોંગ્રેસ અને હવે ભાજપનો એક પક્ષીય પ્રભાવ દેશના અને રાજ્યના રાજકીય, આર્થિક અને સામાજિક જીવન પર રહ્યો છે.”

    પક્ષના મહામંત્રી સામંતસિંહ ચૌહાણે નિવેદનમાં જણાયું છે કે, “આ એક પક્ષ પ્રભાવ કોઈપણ પક્ષનો હોય તો તેનાથી એક પક્ષીય ઈજારાશાહી ચાલુ થાય છે, જે વહીવટી બિન કાર્યક્ષમતા તેમજ જોહુકમી, ભ્રષ્ટાચાર અને દુરાચારની જનનીછે.જેનાથી રાજકારણ ફક્ત સત્તા અને સંપત્તિનો ખેલ બની જાય છે. આ જ સ્થિતિ છેલ્લા ૨૭ વર્ષથી એક જ પક્ષના શાસનના કારણે ગુજરાતમાં ઊભી થઈ છે.”

    પક્ષની સ્થાપના પાછળનું કારણ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, “આવા પરિપ્રેક્ષમાં યુ.કે અને યુ.એસ.એની માફક રાજ્યમાં તુલ્યબળવાળી દ્વિ-પક્ષ પ્રથાસ્થાયી સ્વરૂપ લે તે સમયની માંગ છે અને તે સંદર્ભમાં ગુજરાતમાં પ્રજા વિજય પક્ષનો અર્વિભાવ થયો છે.”

    ચૌહાણના જણાવ્યા અનુસાર પ્રજા વિજય પક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો મૂકવાનો ઇરાદો ધરાવે છે.

  10. 'કૉંગ્રેસનું ટ્વિટર હૅન્ડલ થોડા સમય માટે બ્લૉક કરો', કોર્ટનો ટ્વિટરને આદેશ

    બેંગલુરુની એક કોર્ટે મ્યુઝિક કૉપીરાઇટ મામલે કૉંગ્રેસ પાર્ટી અને 'ભારત જોડો યાત્રા'ના ટ્વિટર હૅન્ડલને અસ્થાયી રૂપે બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે.

    એમઆરટી મ્યુઝિકે આરોપ લગાવ્યો હતો કે આ ટ્વિટર હૅન્ડલ ગેરકાયદે ફિલ્મ કેજીએફ ચૅપ્ટર-2ના મ્યુઝિકનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કૉપીરાઇટ કંપની પાસે છે.

    લાઇવ લૉ વેબસાઇટઅનુસાર, એમઆરટી મ્યુઝિકે કોર્ટમાં એક સીડી ચાલુ કરીને દર્શાવી હતી, જેમાં એક તરફ ઓરિજિનલ કૉપીરાઇટવાળું કામ દેખાડવામાં આવ્યું હતું અને બીજી તરફ તેની નકલ કરીને બનાવેલી સામગ્રી પણ રાખવામાં આવી હતી.

  11. મોરબી પુલ દુર્ઘટના એ ગુજરાતના નામ પર કાળી ટીલી : ચિદમ્બરમ

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ગુજરાતમાં પત્રકારપરિષદ યોજી, ભાજપ સરકારો પર આકરા પ્રહારો કર્યા

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે અમદાવાદમાં પત્રકારપરિષદ યોજી ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.

    પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ગુજરાતના ઊજળા નામ પર મોરબી પુલ દુર્ઘટના એ કાળી ટીલી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ તારાજી મામલે ગુજરાત સરકાર તરફથી કોઈએ માફી નથી માગી. કોઈએ જવાબદારી લઈને રાજીનામું નથી આપ્યું."

    આ દરમિયાન તેમણે આ વખતે વિધાસભામાં ત્રીપાંખિયો જંગ સર્જી રહેલી આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર કર્યા હતા.

    તેમણે કહ્યું, "હું દિલ્હીમાં રહ્યો છું અને જો તમે પણ દિલ્હીમાં રહો, દિલ્હીમાં હવાની ગુણવત્તા જુઓ તો તમે કેજરીવાલને મત નહીં આપો. "

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે. અહીં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપરાંત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારોની અપડેટ રજૂ કરાશે.