અમદાવાદ : કોરોના વધતાં ક્યાં રાત્રે દસ વાગ્યા પછી બંધ રહેશે મૉલ, શોરૂમ અને રેસ્ટરાં?
અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધતાં કેટલાક વિસ્તારોમાં રાત્રે દસ વાગ્યા પછી ધંધાકીય એકમોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
શહેરના આઠ વૉર્ડમાં કોરોના સંક્રમણના કેસ વધતાં રેસ્ટોરાં, મૉલ, શોરૂમ, ટી-સ્ટૉલ, ફરસાણની દુકાનો તેમજ અન્ય દુકાનોને રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત જિમ, ક્લબ, હૅયર સલૂન અને સ્પા વગેરે બંધ રાખવાનું સૂચન કરાયું છે. જે આઠ વિસ્તાર માટે નિષેધાત્મક આદેશ આપવામાં આવ્યા છે, તેમાં જોધપુર ચાર રસ્તા, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરનો સમાવેશ થાય છે.
એ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરના ખાડિયા વિસ્તારમાં ભરાતી રાત્રીબજાર, માણેકચોક અને રાયપુર દરવાજા પાસે આવેલી ખાણીપીણીની બજારને પણ રાત્રે 10 વાગ્યા પછી બંધ રાખવાના આદેશ આપ્યાં છે.