યુક્રેને કહ્યું, ‘ભારત અમારા જીવના જોખમે રશિયાથી ક્રૂડ ઑઇલ લઈ રહ્યું છે’

ઇમેજ સ્રોત, REUTERS
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુબેલાએ મંગળવારે જાહેરમાં ભારત પર રશિયા-યુક્રેન યુદ્ધનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો.
અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલઅનુસાર, “કુબેલાએ ભારતના ‘યુક્રેન યુદ્ધ’ કહેવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.”
તેમણે કહ્યું હતું કે, “ભારતને ‘અમારી પીડા અને વેદના’થી લાભ થઈ રહ્યો છે, ત્યારે તે ઓછામાં ઓછું એટલું તો કરી શકે કે તેઓ અમારી મદદમાં વધારો કરે.”
આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું પછી ભારત સરકારે યુક્રેનને માનવીય સહાય પૂરી પાડી છે.ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન સામે આવ્યા પછી કુબેલાએ ભારત વિશે આ વાત કહી હતી.
જયશંકરે ફરી એકવાર કહ્યું હતું કે, “ભારત હજુ પણ યુરોપીય સંઘ કરતાં ઘણી ઓછી માત્રામાં રશિયા પાસે ક્રૂડઑઇલ ખરીદી રહ્યું છે.”
કુબેલાએ કહ્યું હતું કે, “માત્ર યુરોપીય સંઘ પર આંગળીચીંધવી અને ‘તેઓ પણ એવું જ કરી રહ્યા છે’ એવું કહેવું યોગ્ય નથી, કારણ કે ભારતને સસ્તા ભાવે રશિયન ક્રૂડ ખરીદીને પૈસા બચાવવાની તક મળી છે. તેનું કારણ એવું નથી કે યુરોપીય સંઘ પણ રશિયા પાસે ક્રૂડ ખરીદી રહ્યું છે, કારણ કે યુક્રેનના લોકો રશિયન યુદ્ધના કારણે પીડાઈ રહ્યા છે અને મરી રહ્યા છે.”
ભારતે પોતાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ સસ્તા ભાવે ઉપલબ્ધ રશિયન ક્રૂડની આયાતમાં વધારો કર્યો છે.
ધ હિન્દુના અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યુએન સિક્યૉરિટી કાઉન્સિલની મીટિંગમાં કહ્યું છે કે ભારત સતત વાતચીત શરૂ કરવાની દિશામાં આગળ વધવાની વાત કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, “ભારત એ કહેતું આવ્યું છે કે હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ. ભારતે બંને પક્ષોને કૂટનીતિ અને સંવાદ તરફ આગળ વધવાની અપીલ કરી છે. સતત કહ્યું છે કે, તેઓ સંઘર્ષ પૂરો કરવા તમામ કૂટનીતિક પ્રયાસોનું સમર્થન આપશે.”








