બનાસકાંઠા: શું ગેનીબહેન ઠાકોર પોતાના મતવિસ્તાર સુધી સીમિત થઈ જશે?
ગુજરાતની વાવની બેઠક ભાજપ અને કૉંગ્રેસ માટે વર્ચસ્વની લડાઈ હતી. પાતળી બહુમતીથી અહીં ભાજપે જીત મેળવી છે.
છેક છેલ્લી ઘડી સુધી થયેલી રસાકસી બાદ આ બેઠક ભાજપે નજીવા માર્જિનથી જીતી હતી.
પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યા પછી પણ કૉંગ્રેસે આ બેઠક ગુમાવવી પડી તેનાં અનેક કારણો ગણાવાઈ રહ્યાં છે.
કેટલાક લોકો તેને ચૌધરી તથા ઠાકોરો વચ્ચેની પરંપરાગત રાજકીય લડાઈ ગણાવે છે તો કેટલાક લોકો અપક્ષ ઉમેદવાર માવજી પટેલને કારણ ગણે છે. તો ઘણા લોકો તેને કૉંગ્રેસની આંતરિક લડાઈ ગણાવે છે.
ભલે આ બેઠકથી રાજ્યમાં ભાજપની કે કૉંગ્રેસની સ્થિતિને સીધો ફર્ક ન પડવાનો હોય, પરંતુ તેનાથી ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર સાંસદ ગેનીબહેન ઠાકોરની રણનીતિ સામે સવાલ જરૂર કરે છે.
દિવસરાત પ્રચાર કર્યા પછી પણ કૉંગ્રેસને ગેનીબહેનનો ગઢ ગણાતા ભાભર વિસ્તારમાં જ ઓછા મત મળ્યા હતાં, જેના કારણે આ બેઠક પર કૉંગ્રેસની હાર થઈ છે.
જાણકારો એવું માને છે કે આ બેઠક પર કૉંગ્રેસની ફરી એક વાર જીત થઈ હોત તો ગેનીબહેનનો ઉત્તર ગુજરાતના રાજકારણમાં ઓબીસી નેતા તરીકે દબદબો વધ્યો હોત.

ઇમેજ સ્રોત, Geniben Thakor/FB
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



